આપણું ગુજરાત

સુરત ખાડી પૂર બાદ સરકાર એક્શનમાં: હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ; 800થી વધુને ₹6,800ની સહાય

સુરત: સુરત શહેરમાં 7 જુલાઈના ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈલેવલ રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવા અને વેપારીઓના નુકસાન અંગે વિશેષ આયોજન જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને ઘરવખરીના નુકસાન અને કેશડોલ પેટે પ્રતિ પરિવાર ₹6,800ની સહાય ચૂકવવામાં આવી છે.

બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને પણ આજ સાંજ સુધીમાં તેમની સોસાયટીમાં જઈને રોકડ સહાય પહોંચાડવા માટે વહીવટી તંત્રની અલગ-અલગ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.

કોઈ વિસ્તાર રહી ગયો હોય તો કંટ્રોલ રૂમમાં જાણ કરો

હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરેક ઝોનલ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જો હજુ પણ કોઈ સોસાયટી અથવા વિસ્તારનો સર્વે બાકી રહ્યો હોય તો કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરીને માહિતી આપી શકાય છે. માહિતી મળતાની સાથે જ ટીમ મોકલી સર્વે પૂર્ણ કરવામાં આવશે.

વેપારીઓ માટે પણ વિશેષ રાહત યોજના

પૂરના કારણે સુરતના વેપારીઓને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને શહેરના 58 મુખ્ય કોમર્શિયલ વિસ્તારોમાં વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેના આધારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વેપારીઓ માટે અલગ રાહત પેકેજ અને નીતિ જાહેર કરવામાં આવશે.

સરકારે જણાવ્યું કે વેપારીઓને આર્થિક નુકસાનમાંથી બહાર લાવવા માટે સર્વેના આધારે યોગ્ય સહાયની વ્યવસ્થા કરવામાં આવશે.

ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ઓનલાઈન ડેશબોર્ડ

વીમો ધરાવતા વેપારીઓને ક્લેમ મેળવવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા વિશેષ ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. સુરત RTO અને લીડ બેન્કરને સમગ્ર પ્રક્રિયાના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

દર 15 દિવસે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજીને તમામ ઇન્સ્યોરન્સ ક્લેમની સમીક્ષા કરવામાં આવશે, જેથી વેપારીઓને સમયસર વળતર મળી શકે.

4,500 સ્વચ્છતા દૂતો મેદાનમાં

પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા અને વિવિધ ઉદ્યોગોમાંથી આવેલી ટીમો સહિત કુલ 4,500થી વધુ સ્વચ્છતા કર્મચારીઓ શહેરમાં દિવસ-રાત સફાઈ, કચરો ઉઠાવવાની અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી કરી રહ્યા છે.

ડોર-ટુ-ડોર હેલ્થ સર્વે અને વીજ પુરવઠાની સમીક્ષા

પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કલેક્ટર અને મનપા કમિશનર દરરોજ સાંજે તેની સમીક્ષા કરી રહ્યા છે.

ડ્રેનેજ લાઇનની સફાઈ માટે અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે DGVCL અને ટોરેન્ટ પાવર સાથે વીજ પુરવઠાની સ્થિતિની સતત સમીક્ષા ચાલી રહી છે. હજુ પણ જ્યાં પાણી ભરાયેલું છે તેવી અંદાજે 6 સોસાયટીઓમાં સુરક્ષાના કારણોસર પાણી સંપૂર્ણપણે ઉતર્યા બાદ જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.

બેઝમેન્ટમાંથી પાણી કાઢવા 50થી વધુ હાઈ-કેપેસિટી પંપ કાર્યરત

રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીના નિકાલ માટે મહાનગરપાલિકાએ 50થી વધુ હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ કાર્યરત કર્યા છે. ખાનગી મિલકતોમાં પણ નિઃશુલ્ક પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી માટે GIDC, GPCC અને DICના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ ઉદ્યોગોમાંથી મોટા પંપ મેળવીને મનપાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આગામી 24થી 48 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાનો વિશ્વાસ

વહીવટી તંત્રએ જણાવ્યું છે કે રાહત, સફાઈ, આરોગ્ય અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સરકારને વિશ્વાસ છે કે આગામી 24થી 48 કલાકમાં સુરત શહેરની સ્થિતિ મોટા ભાગે સામાન્ય થઈ જશે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video