ક્રાઇમ ધર્મ દર્શન

રામમંદિરમાં દાન ઘટ્યું! દાનપેટીમાં ₹500ની નોટોનો મોટો ઘટાડો, 23 કર્મચારીઓએ આપ્યાં રાજીનામા

અયોધ્યાના રામમંદિરમાં દાન અને ચોરીના વિવાદને લઈને હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ આ કેસની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ત્રણ અલગ-અલગ અરજીઓ પર સુનાવણી થવાની છે. અરજીઓમાં સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવાની, વિશેષ SITની રચના કરવાની તેમજ મંદિરના દાન વ્યવસ્થાપનની સમીક્ષા માટે નિષ્ણાત સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે.

આ દરમિયાન દાનની ગણતરીનું કામ સંભાળતા 23 કર્મચારીઓએ એકસાથે રાજીનામું આપી દીધું છે, જેના કારણે સમગ્ર વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

દાનની પેટર્નમાં મોટો ફેરફાર

દાનની ગણતરી કરતા કર્મચારીઓના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના બાદ દાનની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ દરરોજ ₹500ની નોટોની 70થી 80 ગડ્ડીઓ તૈયાર થતી હતી, જ્યારે હવે માત્ર 15 જેટલી ગડ્ડીઓ જ બને છે. બીજી તરફ ₹10 અને ₹20ની નોટોની સંખ્યા વધી જતાં ગણતરીમાં વધુ સમય લાગી રહ્યો છે.

કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ બે શિફ્ટમાં કામ થતું હતું, પરંતુ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે. કામના કલાકો વધ્યા હોવા છતાં વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજીનામા બાદ હવે બેંક પાસે માત્ર 13 ગણતરી કર્મચારીઓ જ બાકી રહ્યા છે.

દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં દાન ચોરીની સ્વતંત્ર તપાસ CBIને સોંપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના અને મંદિરના દાનના સંચાલન, સુરક્ષા તથા પારદર્શિતાની સમીક્ષા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.

જનકપુરમાં પણ વ્યથા

માતા સીતાનું મોસાળ ગણાતા નેપાળના જનકપુર સ્થિત જાનકી મંદિરના મહંત રોશન દાસે આ ઘટનાને દુઃખદ ગણાવી છે. તેમણે જણાવ્યું કે ભગવાન શ્રીરામના કોઈ પણ મંદિરમાં આવી ઘટના અગાઉ ક્યારેય સાંભળવા કે જોવા મળી નથી.

મહંતે જણાવ્યું કે શ્રાવણ મહિનામાં જનકપુરથી 5થી 7 લોકોની ટીમ અયોધ્યા જશે. તેઓ રામલલાના દર્શન કરશે અને મંદિર ટ્રસ્ટને સાંત્વના પાઠવશે.

નિર્માણ સમિતિના અધ્યક્ષ અયોધ્યા પહોંચ્યા

દાન વિવાદ વચ્ચે રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા છે. રામલલાના દર્શન કર્યા બાદ તેઓ મંદિર પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કરશે.

રાજકીય પ્રતિક્રિયાઓ તેજ

દાન ચોરીના મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ તપાસ સમિતિ બનાવવાની માંગ ઉઠાવી છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભામાં વિપક્ષ પર પ્રહાર કરતાં અયોધ્યાના વિકાસ અને ધાર્મિક આસ્થાના મુદ્દે સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

આરોપીઓ પાસેથી દાગીના અને રોકડ જપ્ત

દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેની પૂછપરછ દરમિયાન પોલીસને સ્વિફ્ટ ડિઝાયર કાર, આશરે ₹10 લાખના સોના-ચાંદીના દાગીના અને ₹2 લાખ રોકડા મળી આવ્યા છે. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આગામી 13 જુલાઈએ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

જમીનના દસ્તાવેજો પણ મળ્યા

તપાસ દરમિયાન આરોપી અનુકલ્પ મિશ્રાના નિવાસસ્થાનેથી આશરે એક એકર જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. દસ્તાવેજો મુજબ જમીનની ખરીદી સમયે તેની કિંમત લગભગ ₹6.70 લાખ દર્શાવવામાં આવી હતી, જોકે હાલ તેનું બજાર મૂલ્ય અનેક ગણું વધારે હોવાનું માનવામાં આવે છે.

હાલ સમગ્ર દેશની નજર 13 જુલાઈએ થનારી સુપ્રીમ કોર્ટની સુનાવણી પર છે. આ સુનાવણીમાં તપાસની દિશા, દાન વ્યવસ્થાપનની પારદર્શિતા અને ભવિષ્યની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય થઈ શકે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video