ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર સામેની મોટી કાર્યવાહી દરમિયાન વિજિલન્સ વિભાગે નિવૃત્ત ARTO લલિત કુમારના લખનઉ સ્થિત નિવાસસ્થાને દરોડો પાડી આશરે ₹35 કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમને 13 કિલો સોનું, 9 કિલો ચાંદી, ₹1.62 કરોડ રોકડ, હીરાજડિત ઘરેણાં, કરોડોના રોકાણના દસ્તાવેજો અને અનેક સ્થાવર મિલકતોના કાગળો મળી આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ઘરની દિવાલો, ફર્નિચર, બેડ અને ફોલ્સ પેનલમાં બનાવેલી ગુપ્ત તિજોરીઓમાંથી પણ રોકડ અને કિંમતી સામાન મળી આવ્યો.
6 વર્ષ જૂની ફરિયાદ બાદ મોટી કાર્યવાહી
વિજિલન્સની આ કાર્યવાહી એક દિવસની તપાસનું પરિણામ નથી. વર્ષ 2020માં કાનપુરમાં વિભાગીય નિરીક્ષક (ટેકનિકલ) તરીકે ફરજ બજાવતા લલિત કુમાર વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. પરિવહન કમિશનરની મંજૂરી બાદ ભ્રષ્ટાચાર નિવારણ સંગઠને વિગતવાર તપાસ શરૂ કરી હતી.
તપાસ પૂર્ણ થયા બાદ વર્ષ 2024માં તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં કાર્યવાહી અટકી ગઈ હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ મંજૂરી મળતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR નોંધાઈ અને વિજિલન્સે કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવી 7 અને 8 જુલાઈએ લખનઉના અલીગંજ સ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો.
દિવાલો અને ફર્નિચરમાં બનાવેલી હતી સિક્રેટ તિજોરીઓ
સર્ચ દરમિયાન અધિકારીઓએ માત્ર કબાટ અને લોકર જ નહીં પરંતુ ઘરની દરેક દીવાલ, બેડ, ફોલ્સ પેનલ, ફર્નિચર અને સ્ટોર રૂમની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન દિવાલોમાં બનાવેલી નાની-નાની ગુપ્ત તિજોરીઓ મળી આવી, જેમાં રોકડ, સોનાના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો છુપાવવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સિક્રેટ તિજોરીઓ વિશે માત્ર લલિત કુમારને જ જાણકારી હતી.
ઓટોમેટિક લોકવાળી તિજોરી ખોલવામાં લાગ્યા બે કલાક
દરોડા દરમિયાન સૌથી મોટો પડકાર ઘરમાં રહેલી ઓટોમેટિક લોકવાળી તિજોરી ખોલવાનો હતો. અધિકારીઓએ વારંવાર પાસવર્ડ પૂછ્યો છતાં લલિત કુમારે પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યું. જેના કારણે લગભગ બે કલાક સુધી કાર્યવાહી અટકી રહી. બાદમાં ટેકનિકલ મદદથી તિજોરી ખોલવામાં સફળતા મળી.
તિજોરી ખુલતા જ તેમાંમાંથી સોનાના બિસ્કિટ, ચાંદીના બિસ્કિટ, હીરાજડિત આભૂષણો અને કિંમતી દાગીના મળી આવ્યા. સરકાર માન્ય વેલ્યુઅર દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ આ સંપત્તિની કિંમત આશરે ₹20 કરોડ હોવાનું સામે આવ્યું છે.
પેકેટોમાં સંતાડેલા ₹1.62 કરોડ રોકડા
તિજોરી બાદ સમગ્ર ઘરની ફરી તપાસ કરતાં અલગ-અલગ રૂમોમાં પેકેટોમાં સંતાડીને રાખવામાં આવેલા ₹1.62 કરોડ રોકડા મળી આવ્યા. આ ઉપરાંત બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ રોકાણ અને અન્ય નાણાકીય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આવક કરતાં 73.6 ટકા વધુ ખર્ચ
તપાસમાં જાણવા મળ્યું કે લલિત કુમારની કાયદેસરની કુલ આવક ₹93.26 લાખ હતી, જ્યારે સંપત્તિ ખરીદી અને અન્ય ખર્ચ મળીને ₹1.61 કરોડ સુધી પહોંચ્યો હતો. એટલે કે તેમણે પોતાની જાહેર કરેલી આવક કરતાં ₹68.66 લાખ વધુ ખર્ચ કર્યો હતો, જે તેમની કાયદેસરની આવકના આશરે 73.6 ટકા જેટલો હતો. તપાસ દરમિયાન તેઓ આ વધારાના ખર્ચ અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
ચાર શહેરોમાં 15 મિલકતોના દસ્તાવેજો મળ્યા
વિજિલન્સને તપાસ દરમિયાન લખનઉ, નોઈડા, બારાબંકી અને રાયબરેલીમાં આવેલા મકાન, પ્લોટ, કૃષિ જમીન અને ફ્લેટ બુકિંગ સહિત કુલ 15 સ્થાવર મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. આ મિલકતોની અંદાજિત કિંમત લગભગ ₹13 કરોડ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i20 કાર, એક રિવોલ્વર અને એક કરોડ રૂપિયાથી વધુના રોકાણના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વિજિલન્સે શું-શું જપ્ત કર્યું?
- 13 કિલો સોનું અને 9 કિલો ચાંદી, અંદાજિત કિંમત ₹20 કરોડ
- ₹1.62 કરોડ રોકડ
- હીરાજડિત ઘરેણાં અને સોનાના-ચાંદીના બિસ્કિટ
- બેંક, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ અને FD સહિત એક કરોડથી વધુના રોકાણના દસ્તાવેજો
- લખનઉ, નોઈડા, બારાબંકી અને રાયબરેલીમાં 15 મિલકતોના દસ્તાવેજો, અંદાજિત કિંમત ₹13 કરોડ
- ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i20 અને એક લાયસન્સવાળી રિવોલ્વર
હવે નેટવર્કની તપાસ
વિજિલન્સ વિભાગ હવે તપાસ કરી રહ્યો છે કે લલિત કુમારે આટલી મોટી સંપત્તિ કયા સ્ત્રોતોમાંથી એકત્રિત કરી હતી અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ અથવા સંગઠિત નેટવર્ક સંડોાયેલું હતું કે નહીં. આ કેસને ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક માનવામાં આવી રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this