અન્ય આપણું ગુજરાત

અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ દુકાનો પર બુલડોઝર: વેપારીઓનો આક્રંદ- ‘રોજી-રોટી છીનવાઈ ગઈ, હવે ક્યાં જઈએ?’

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભાવિ ઓલિમ્પિક્સની તૈયારીઓને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારના વિકાસનું કામ તેજ બન્યું છે. આ યોજના હેઠળ ગુરુવારે (9 જુલાઈ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધી રોડલાઈન અમલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રોડ પહોળો કરવા માટે 50થી વધુ કોમર્શિયલ મિલકતોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું, જેના કારણે વર્ષોથી અહીં ધંધો કરતા વેપારીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી.

18 મીટરનો રોડ હવે 61 મીટરનો બનશે

AMCના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ 18 મીટર પહોળો રોડને વધારીને 61 મીટરનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત આયોજન દરમિયાન ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વધુ સારી બની શકે.

50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડી પાડવાની કાર્યવાહી

સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીના લગભગ 500 મીટર વિસ્તારમાં આવેલી 50થી વધુ દુકાનો અને અન્ય કોમર્શિયલ મિલકતો પર JCB ફેરવવામાં આવ્યા. અગાઉ બે વખત નોટિસ આપ્યા બાદ આ ડિમોલિશન હાથ ધરાયું હોવાનું AMCએ જણાવ્યું છે.

હાલમાં માત્ર કોમર્શિયલ મિલકતોને જ તોડવામાં આવી રહી છે. રહેણાંક મકાનોને અત્યારે આ કાર્યવાહીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

વેપારીઓનો આક્રંદ- ‘રોજી-રોટી છીનવાઈ ગઈ’

ડિમોલિશન દરમિયાન વર્ષોથી ધંધો કરતા વેપારીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા. દુકાનદારોનું કહેવું છે કે વિકાસ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ યોગ્ય વળતર અથવા વૈકલ્પિક દુકાન મળવી જોઈએ.

35 વર્ષથી દુકાન ચલાવતા સૂર્યાબેન રાઠોડે જણાવ્યું કે,
“અમારી દુકાન જ અમારા પરિવારનું ગુજરાન હતી. અમે પૈસા ભરવા તૈયાર છીએ, પરંતુ અમને સામે દુકાન આપો. હવે ધંધા વગર ક્યાં જઈશું?”

’60-70 વર્ષથી ધંધો હતો, હવે બધું ખતમ’

વેપારી બીપીન ચાવડાએ કહ્યું કે,
“અમારી 60થી 70 વર્ષ જૂની દુકાન હતી. વિકાસનો વિરોધ નથી, પરંતુ વળતર વિના દુકાન તોડી દેતાં અમારી રોજી-રોટી છીનવાઈ ગઈ છે. હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું?”

તેમણે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે મેયર સહિત અનેક અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી.

‘એક મહિનાની નોટિસ આપી, હવે શું કરીએ?’

વીર ઓટો નામની દુકાન ધરાવતા જોમેશ પટેલે જણાવ્યું કે,
“25 વર્ષથી અહીં દુકાન ચલાવતા હતા. એક મહિનાની નોટિસ આપીને દુકાન તોડી પાડવામાં આવી. હવે આ ઉંમરે ફરીથી ક્યાંથી ધંધો શરૂ કરીએ? કોઈ વળતરની પણ વાત કરવામાં આવી નથી.”

‘ભાડું ભરી શકીએ તેમ નથી, નાની દુકાન આપો’

દરજીની દુકાન ધરાવતા મીનાક્ષીબેને જણાવ્યું કે,
“45 વર્ષથી અમારી દુકાન હતી અને એ જ અમારી આવકનું એકમાત્ર સાધન હતું. આજના સમયમાં ભાડે દુકાન લેવી પણ શક્ય નથી. સરકાર અમને વળતર આપે અથવા નાની દુકાન ફાળવે તેવી અમારી માંગ છે.”

ડી-માર્ટ બાદની મિલકતો પર હાલ નહીં થાય કાર્યવાહી

AMCના જણાવ્યા મુજબ ડી-માર્ટ પછી આવેલી કેટલીક કોમર્શિયલ અને રહેણાંક મિલકતો અંગે હાલ ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેથી ત્યાં હાલમાં કોઈ ડિમોલિશન કરવામાં આવશે નહીં. ઉપરાંત ONGCની ઓફિસને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાકી હોવાથી તે વિસ્તારમાં પણ કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારીના ભાગરૂપે મોટેરા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના રસ્તાઓ, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપક વિકાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ બળદેવનગર સહિતના વિસ્તારોમાં રોડલાઈન અમલ માટે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

વેપારીઓની એક જ માંગ

ડિમોલિશનથી અસરગ્રસ્ત વેપારીઓનું કહેવું છે કે તેઓ વિકાસનો વિરોધ કરતા નથી, પરંતુ વર્ષોથી ચાલતો ધંધો બંધ થતાં પરિવારો સામે આર્થિક સંકટ ઊભું થયું છે. તેમની મુખ્ય માંગ છે કે સરકાર અથવા AMC યોગ્ય વળતર આપે અથવા વૈકલ્પિક દુકાન ફાળવે, જેથી તેમની રોજી-રોટી ફરી શરૂ થઈ શકે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video