તમિલનાડુની રાજનીતિમાં મોટો વિવાદ સામે આવ્યો છે. અભિનેતા અને તમિલગા વેત્રી કડગમ (TVK)ના નેતા વિજયની આગેવાની હેઠળની સરકારને અસ્થિર કરવા માટે પક્ષના ધારાસભ્યોને કરોડોની લાંચ આપવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના ગુપ્તચર વિભાગે દાવો કર્યો છે કે સરકારને અસ્થિર કરવાના કથિત ષડયંત્રને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, TVKના 15 ધારાસભ્યોના એકસાથે રાજીનામા કરાવી સરકારને બહુમતી ગુમાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ મામલે ઉથંગુરૈ બેઠકના TVK ધારાસભ્ય ડૉ. એન. ઇલૈયા રાજાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ધારાસભ્યનો આરોપ- મત બદલ ₹35 કરોડની ઓફર
ડૉ. એન. ઇલૈયા રાજાએ 29 જૂને ચેન્નઈ પોલીસ કમિશનરને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે થિરુનાવુક્કરાસુ નામના વ્યક્તિએ ફોન કરીને પોતાને ઇન્ડિયન પોલિટિકલ ડેમોક્રેટિક સ્ટ્રેટેજીસ (IPDS) નામની સંસ્થાનો પ્રમુખ હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ, ફોન કરનારે કહ્યું હતું કે વિધાનસભાના સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે અને જો તેઓ પક્ષની લાઇનથી અલગ જઈને મતદાન કરશે તો તેના બદલામાં ₹35 કરોડ આપવામાં આવશે.
ધારાસભ્યએ જણાવ્યું કે તેમણે આ ઓફર ફગાવી દીધી હતી અને ફરી સંપર્ક ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ફોન કરનારે તેમને અને તેમના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ત્રણ લોકોની ધરપકડ
ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચેન્નઈની એક કન્સલ્ટન્સી કંપની સાથે જોડાયેલા ત્રણ લોકો—થિરુનાવુક્કરાસુ, નરેશ અને ત્યાગરાજનની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ ત્રણેયના ડીએમકે સાથે સંકળાયેલા નેતા સેંથિલ બાલાજી સાથે સંપર્ક હોવાની માહિતી સામે આવી હોવાનું કહેવાય છે. જોકે, આ દાવાઓની તપાસ હજુ ચાલુ છે.
TVKનો આરોપ- અમારા તમામ ધારાસભ્યોનો સંપર્ક થયો
તમિલનાડુ સરકારના મંત્રી સીટી નિર્મલ કુમારે આરોપ લગાવ્યો કે ડીએમકેના કેટલાક નેતાઓ અને એઆઈએડીએમકેના પ્રમુખ એડપ્પડી કે. પલાનીસ્વામી મળીને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે દાવો કર્યો કે TVKના અનેક ધારાસભ્યોને પક્ષ છોડવા માટે ₹20 કરોડથી ₹50 કરોડ સુધીની ઓફર કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, પક્ષનો એવો કોઈ ધારાસભ્ય નથી કે જેનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હોય.
ડીએમકેનો ઇનકાર
આ સમગ્ર મામલે ડીએમકેના પ્રવક્તા એ. સરવનને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે TVK કોઈ પુરાવા વિના સનસનાટી ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે અને રાજકીય નેરેટિવ ઊભું કરવા માટે તપાસ સંબંધિત માહિતી જાહેર કરી રહી છે.
તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો TVK પાસે કોઈ નક્કર પુરાવા હોય તો તે જાહેર કરવા જોઈએ. માત્ર આરોપો લગાવવાથી સત્ય બદલાઈ જતું નથી.
વિજય અને સેંથિલ બાલાજી વચ્ચે પહેલાથી જ મતભેદ
ડીએમકે પ્રવક્તાએ જણાવ્યું કે વિજય અને પૂર્વ મંત્રી સેંથિલ બાલાજી વચ્ચે અગાઉથી રાજકીય મતભેદ રહ્યા છે. કરૂરમાં વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી નાસભાગ બાદ વિજયે બાલાજી પર રાજકીય કાવતરાનો આરોપ લગાવ્યો હતો, જોકે બાલાજીએ તે આરોપોને ફગાવી દીધા હતા.
ઉદયનિધિ સ્ટાલિનનું નિવેદન
વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને તાજેતરમાં કહ્યું હતું કે TVK પાસે એકલા સરકાર ચલાવવા માટે પૂરતું જનસમર્થન નથી. તેમના કહેવા મુજબ વર્તમાન સરકાર સહયોગી પક્ષોના સમર્થન પર ટકી છે અને આવી રાજકીય વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલશે નહીં.
તપાસ ચાલુ
પોલીસ અને ગુપ્તચર વિભાગ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછના આધારે વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, TVK આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી રહી છે, જ્યારે ડીએમકે તમામ આરોપોને રાજકીય પ્રચાર ગણાવી રહી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this