અમેરિકા સાથે થયેલા સમજૂતી કરાર (MoU) બાદ પણ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાના અધિકાર અંગે કડક વલણ અપનાવ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલીબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે અને તેના પર દેશનો અધિકાર યથાવત રહેશે. તેમણે જણાવ્યું કે દરિયાઈ સેવાઓના ટોલમાં 60 દિવસની છૂટ માત્ર એક અસ્થાયી વ્યવસ્થા છે, તેનો અર્થ એ નથી કે ઈરાને પોતાના અધિકારો છોડી દીધા છે.
ઈરાની સરકારી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ગાલીબાફે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના પ્રાદેશિક જળનો અભિન્ન ભાગ છે. તેમણે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે ઈરાને હોર્મુઝનું સૈન્યીકરણ કર્યું હોવાના દાવા કરીને કોઈ પણ દેશ વિવાદ ઊભો કરી શકશે નહીં.
તેમણે કહ્યું, “ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો અધિકાર છોડ્યો નથી અને ભવિષ્યમાં પણ છોડશે નહીં. કોઈપણ સંજોગોમાં અમે અમારા વલણથી પીછેહઠ નહીં કરીએ.” ગાલીબાફે હોર્મુઝને યુદ્ધ દરમિયાન ઈશ્વર તરફથી મળેલી સૌથી મોટી વ્યૂહાત્મક ભેટ ગણાવી.
હોર્મુઝમાં ફરી વધી જહાજોની અવરજવર
દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી કંપની કેપ્લરના આંકડા મુજબ, સોમવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુલ 40 જહાજો પસાર થયા હતા. તેમાંથી 16 જહાજોએ ઈરાનના દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલી સમજૂતી બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવર ફરી સામાન્ય થવા લાગી છે. જોકે, સમગ્ર વિસ્તારમાં તણાવ હજુ પણ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.
ઈરાનની શરત: પહેલા 6 અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરો
ઈરાને અમેરિકા સમક્ષ શરત મૂકી છે કે વિદેશોમાં અટવાયેલા તેના અંદાજે 6 અબજ ડોલર (લગભગ ₹57 હજાર કરોડ)ના ભંડોળને પહેલાં મુક્ત કરવામાં આવે. ત્યારબાદ જ તે શાંતિ કરારના આગામી તબક્કા પર આગળ વધવા તૈયાર થશે.
ઈરાનનું કહેવું છે કે આર્થિક પ્રતિબંધોમાં રાહત અને અટવાયેલા ભંડોળની મુક્તિ વિના કરારને સંપૂર્ણ રીતે અમલમાં મૂકી શકાય નહીં.
રાષ્ટ્રપતિ પજશકિયાનનો દાવો
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને જણાવ્યું કે અમેરિકા સાથે થયેલો સમજૂતી કરાર દેશના સર્વોચ્ચ નેતાની મંજૂરી બાદ જ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તમામ મહત્વપૂર્ણ નિર્ણયો ઈરાનના ઉચ્ચ નેતૃત્વની સંમતિથી લેવામાં આવ્યા છે.
દોહાની બેઠક અંગે અસમંજસ
મીડલ ઈસ્ટ ઈન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ સંશોધક એલેક્સ વાતાંકાના જણાવ્યા મુજબ, કરારની અમલવારીમાં વિલંબને કારણે ઈરાનમાં અસંતોષ વધી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વિદેશોમાં ફસાયેલી સંપત્તિ હજુ સુધી કેમ મુક્ત થઈ નથી અને હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ કેમ મળ્યું નથી.
રિપોર્ટ અનુસાર, ઈરાનના કેટલાક ટોચના નેતાઓ હાલ દોહા જઈને જાહેરમાં દેખાવાનું ટાળી રહ્યા છે, કારણ કે જો કરારના પરિણામો નહીં મળે તો તેમને દેશની અંદર ટીકાનો સામનો કરવો પડી શકે છે.
દોહામાં ટેકનિકલ સ્તરની વાટાઘાટો
અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો કતારની રાજધાની દોહામાં ટેકનિકલ સ્તરની બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો તાજેતરમાં થયેલા MoUને અમલમાં મૂકવાની પ્રક્રિયા પર ચર્ચા કરશે.
આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ સીધા સામસામે નહીં મળે. કતાર મધ્યસ્થી તરીકે બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવશે.
આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે
- ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત
- હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર
- ઈરાનના પરમાણુ કાર્યક્રમનું ભવિષ્ય
- વિદેશોમાં ફસાયેલી ઈરાની સંપત્તિ મુક્ત કરવાની પ્રક્રિયા
- પશ્ચિમ એશિયાની પ્રાદેશિક સુરક્ષા
ઈરાનનું ફ્રાન્સને પણ સ્પષ્ટ સંદેશ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત મુદ્દાઓમાં કોઈપણ વિદેશી દેશના હસ્તક્ષેપની જરૂર નથી. તેમણે ફ્રાન્સના તાજેતરના નિવેદનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હોર્મુઝ વિસ્તારની સુરક્ષા અંગે નિર્ણય લેવાનો અધિકાર માત્ર પ્રાદેશિક દેશો પાસે જ છે.
મોદી-પજશકિયાન વચ્ચે પણ વાતચીત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદીએ વિસ્તારમાં થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું અને કાયમી શાંતિ તથા સ્થિરતા માટે સતત રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
તણાવ છતાં હોર્મુઝનું વ્યૂહાત્મક મહત્વ યથાવત
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક કાચા તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. તેથી અહીંની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર રહે છે.
અમેરિકા સાથેની સમજૂતી છતાં ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે ટોલમાં આપવામાં આવેલી 60 દિવસની છૂટ માત્ર અસ્થાયી છે અને હોર્મુઝ પરના પોતાના અધિકાર કે વ્યૂહાત્મક નિયંત્રણમાં કોઈ ફેરફાર નહીં થાય.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this