મધ્યપૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના રાજકીય અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ મોકલ્યું છે. બીજી તરફ, અમેરિકી સેનેટે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી રોકવાની માગ સાથે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધાર્યું છે.
ખામેનીનું ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી-ઈઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો 4 જુલાઈથી શરૂ થઈને 9 જુલાઈ સુધી ચાલશે. જોકે, ભારત તરફથી આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે હાજરી આપશે કે પછી કોઈ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ખામેનીના નિધન બાદ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોક વ્યક્ત કર્યો હતો.
અમેરિકી સેનેટમાં ટ્રમ્પને ઝટકો
ઈરાન મુદ્દે અમેરિકાની અંદર રાજકીય મતભેદો વધુ સ્પષ્ટ બન્યા છે. અમેરિકી સેનેટે 50-48 મતોથી એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી બંધ કરવાની માગ કરવામાં આવી છે. આ પહેલાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પણ સમાન પ્રસ્તાવને મંજૂરી આપી ચૂક્યું છે.
1973ના વોર પાવર્સ એક્ટ પછી આ પ્રથમ વખત બન્યું છે કે અમેરિકી કોંગ્રેસના બંને ગૃહોએ કોઈ રાષ્ટ્રપતિને યુદ્ધ જેવી કાર્યવાહી સમાપ્ત કરવાની માંગ કરી હોય. ખાસ વાત એ છે કે ચાર રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ્સ સાથે મળીને પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું, જેના કારણે ટ્રમ્પની પોતાની પાર્ટીમાં પણ અસંતોષ સામે આવ્યો છે.
જોકે, વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવને માત્ર પ્રતીકાત્મક ગણાવ્યો છે અને જણાવ્યું છે કે તેની કોઈ કાનૂની અસર નહીં થાય. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ અમેરિકાની સૈન્ય કાર્યવાહી પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી છે.
અમેરિકા-ઈરાન કરારને લઈને ખાડી દેશોમાં ચિંતા
અમેરિકી વિદેશ મંત્રી Marco Rubio હાલમાં UAE, બહેરીન અને કુવૈતની મુલાકાતે છે. તેમનો હેતુ અમેરિકા-ઈરાન કરાર અંગે ખાડી દેશોની ચિંતાઓ દૂર કરવાનો છે. આ દેશોને આશંકા છે કે નવા કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો પ્રભાવ વધી શકે છે. ઉપરાંત, કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોવાથી પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
300 અબજ ડોલરના પુનર્નિર્માણ ફંડ પર ચર્ચા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં ઈરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરના સંભવિત ફંડ અંગે પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલો મુજબ આ માટે ખાડી દેશો પાસેથી આર્થિક સહયોગ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા પોતાના સાથી દેશોનો વિશ્વાસ જીતવા માટે સક્રિય કૂટનીતિ અપનાવી રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ ફરી સામાન્ય બનવાની દિશામાં
અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ઝડપથી વધી રહી છે. ભારત સાથે સંકળાયેલા 11 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરીને ભારત તરફ રવાના થઈ ચૂક્યા છે. શિપિંગ ડેટા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં આ માર્ગેથી પસાર થતા જહાજોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં રાહતનો માહોલ સર્જાયો છે.
પરમાણુ કાર્યક્રમ મુદ્દે મતભેદ યથાવત
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી છતાં પરમાણુ નિરીક્ષણ મુદ્દે બંને દેશોના દાવા અલગ-અલગ છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી IAEAને પોતાના પરમાણુ મથકોની તપાસ કરવાની મંજૂરી આપી છે, જ્યારે ઈરાને આ દાવાનો ઇનકાર કર્યો છે. જોકે IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે નિરીક્ષકો ભવિષ્યમાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓની મુલાકાત લેશે.
ટ્રમ્પની નવી ચેતવણી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન પરમાણુ મથકોની તપાસ માટે સહકાર નહીં આપે તો અમેરિકા ચાલી રહેલી વાટાઘાટો બંધ કરી શકે છે. બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેના મિસાઈલ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નહીં થાય અને દેશ પોતાની સુરક્ષા ક્ષમતાઓ સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી.
આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે અમેરિકા-ઈરાન સંબંધોમાં ભલે તણાવ ઓછો થયો હોય, પરંતુ મધ્યપૂર્વની રાજનીતિ હજુ પણ અત્યંત સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. PM મોદીને મળેલું આમંત્રણ, અમેરિકી સેનેટનો ઐતિહાસિક પ્રસ્તાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતી રાજદ્વારી હલચલ આગામી દિવસોમાં વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બની શકે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this