ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓની નજર માત્ર એક નામ પર હતી – 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી. દરેકને આશા હતી કે આ મેચથી વૈભવ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરશે, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 જાહેર થઈ ત્યારે તેમાં વૈભવનું નામ ન હોવાથી ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી. સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ કે આખરે આટલી પ્રતિભાશાળી ખેલાડીને તક કેમ ન મળી?
ટોસ સમયે શ્રેયસ અય્યરે સ્પષ્ટ કર્યું કારણ
બેલફાસ્ટમાં ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ પહેલાં વૈભવના ડેબ્યૂ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ટીમમાં હાલ એવા અનુભવી ખેલાડીઓ છે જેમણે છેલ્લા કેટલાક સમયથી સતત સારું પ્રદર્શન કર્યું છે, તેથી તેમને જ તક આપવામાં આવી છે.
શ્રેયસે કહ્યું કે વૈભવ એક શાનદાર અને પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ યોગ્ય સમય આવતાં તેને ચોક્કસ તક મળશે. સાથે જ તેમણે જણાવ્યું કે હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને પોતાની રમત પર વિશ્વાસ રાખીને નિડર ક્રિકેટ રમવાની સલાહ આપી છે.
અનુભવને પ્રાથમિકતા આપતું ટીમ મેનેજમેન્ટ
શ્રેયસ અય્યરના નિવેદનથી સ્પષ્ટ થયું કે હાલ ટીમ મેનેજમેન્ટ યુવા પ્રતિભા કરતાં અનુભવને વધારે મહત્વ આપી રહ્યું છે. ભારતના ટોપ ઓર્ડરમાં સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવા બેટર્સ સતત સારું પ્રદર્શન કરી રહ્યા હોવાથી નવા ખેલાડીને જગ્યા બનાવવી સરળ નથી.
ભારતીય ક્રિકેટમાં હવે માત્ર પ્રતિભા અથવા વર્તમાન ફોર્મ પૂરતું નથી. ટીમ બેલેન્સ, ખેલાડીની ભૂમિકા, ફિટનેસ, સતત પ્રદર્શન અને ડ્રેસિંગ રૂમની સ્થિરતા જેવા અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ-11 નક્કી કરવામાં આવે છે.
છતાં પણ ઉઠે છે એક મોટો સવાલ…
ક્રિકેટપ્રેમીઓનું માનવું છે કે વૈભવ સામાન્ય ખેલાડી નથી. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને IPL સુધી પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. વિશ્વના શ્રેષ્ઠ બોલરો સામે તેણે નિડર બેટિંગ કરી છે અને અનેક મોટી ઇનિંગ્સ રમી છે.
આવા ખેલાડી માટે પણ જો અપવાદ ન કરવામાં આવે તો પછી અપવાદ કોના માટે? આ પ્રશ્ન હવે સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બની ગયો છે.
જો રમાડવાનો વિચાર નહોતો તો સ્ક્વોડમાં કેમ પસંદ કર્યો?
ચર્ચાનો બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે જો ટીમ મેનેજમેન્ટ પહેલેથી જ જાણતું હતું કે ઓપનિંગ જોડીને બદલવાની કોઈ યોજના નથી, તો પછી વૈભવને સ્ક્વોડમાં સામેલ કરવાનો હેતુ શું હતો?
શું માત્ર ડ્રેસિંગ રૂમનો અનુભવ આપવા માટે? શું માત્ર નેટ પ્રેક્ટિસ કરાવવા માટે? ઘણા ક્રિકેટપ્રેમીઓનું માનવું છે કે અનુભવનો સૌથી મોટો શિક્ષક મેચ હોય છે, ડ્રેસિંગ રૂમ નહીં.
બેટિંગ કોચ સિતાંશુ કોટકનું પણ સ્પષ્ટ નિવેદન
ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પણ વૈભવને લઈને ટીમ મેનેજમેન્ટનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે માત્ર નવા ખેલાડીને તક આપવા માટે સતત રન બનાવતા ખેલાડીને બહાર કરવો યોગ્ય નથી.
કોટકે કહ્યું કે ભારતીય ક્રિકેટમાં પ્રતિભાની કોઈ કમી નથી અને સિલેક્ટર્સ માટે ટીમ પસંદ કરવી સૌથી મુશ્કેલ જવાબદારી બની ગઈ છે. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે વૈભવ અસાધારણ પ્રતિભા ધરાવે છે.
તેમણે કહ્યું કે IPL દરમિયાન વૈભવે જોફ્રા આર્ચર જેવા ઝડપી બોલરો સામે જે નિડર બેટિંગ કરી તે દર્શાવે છે કે તે મોટા મંચના દબાણથી ડરતો નથી.
વૈભવનું પ્રદર્શન પોતે જ બોલે છે
વૈભવ સૂર્યવંશીએ માત્ર ડોમેસ્ટિક ક્રિકેટમાં જ નહીં પરંતુ વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
માત્ર 15 વર્ષની ઉંમરે આ પ્રકારનું પ્રદર્શન કોઈ સામાન્ય સિદ્ધિ નથી. તેથી જ ફેન્સ સતત તેના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર ફેન્સનો ફાટ્યો ગુસ્સો
પ્લેઇંગ-11 જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર વૈભવના સમર્થકોની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો. અનેક લોકોએ લખ્યું કે તેઓ માત્ર વૈભવનું ડેબ્યૂ જોવા માટે મેચ જોવાના હતા, પરંતુ તેને તક ન મળતાં મેચ જોવાનો ઉત્સાહ જ ઘટી ગયો.
કેટલાક ફેન્સે કેપ્ટન શ્રેયસ અય્યર અને ટીમ મેનેજમેન્ટના નિર્ણયની ટીકા કરી તો કેટલાકે તિલક વર્મા અથવા અન્ય ખેલાડીને બદલે વૈભવને તક આપવાની માંગ કરી.
હવે બીજી મેચ પર સૌની નજર
પ્રથમ T20માં તક ન મળતાં વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ફરી એકવાર ટળી ગયું છે. હવે તમામ ક્રિકેટપ્રેમીઓની નજર સિરીઝની આગામી મેચો પર રહેશે. જો ભારત ટીમમાં ફેરફાર કરે તો કદાચ વૈભવને આખરે બ્લૂ જર્સીમાં દેશ માટે રમવાની તક મળી શકે છે.
હાલ માટે તો એક વાત સ્પષ્ટ છે કે વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની રાહ માત્ર ટીમ મેનેજમેન્ટ જ નહીં, પરંતુ કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ પણ આતુરતાથી જોઈ રહ્યા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this