ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગને નવી ઊંચાઈ આપતા અનેક મહત્વપૂર્ણ કરારો પર મહોર લાગી છે. જકાર્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ફિલિપાઇન્સ પછીનો બીજો દેશ બનશે.
આ ઉપરાંત, ભારતની સ્વદેશી ‘અસ્ત્ર’ એર-ટુ-એર મિસાઇલ પણ ઇન્ડોનેશિયા ખરીદશે. આ જ મિસાઇલનો ઉપયોગ ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કર્યો હોવાનું માનવામાં આવે છે.
બ્રહ્મોસ ડીલથી રક્ષા સંબંધો વધુ મજબૂત
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલી બ્રહ્મોસ ડીલને બંને દેશોના રક્ષા સહયોગમાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલના વધારાના યુનિટ સપ્લાય કરશે. વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રુઝ મિસાઇલોમાં સામેલ બ્રહ્મોસને તેની ઝડપ, ચોકસાઈ અને ઘાતક ક્ષમતાને કારણે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન મળ્યું છે.
બ્રહ્મોસ મિસાઇલનું સંયુક્ત વિકાસ ભારતના DRDO અને રશિયાની એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયા દ્વારા કરવામાં આવ્યું છે.
‘અસ્ત્ર’ મિસાઇલ ખરીદવાનો પણ નિર્ણય
દ્વિપક્ષીય બેઠકમાં ઇન્ડોનેશિયાએ ભારતની સ્વદેશી ‘અસ્ત્ર’ એર-ટુ-એર મિસાઇલ ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. આ મિસાઇલ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક શસ્ત્રોમાંની એક છે અને લાંબા અંતરે હવામાં જ દુશ્મનના લડાકુ વિમાનોને નિશાન બનાવી શકે છે.
ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે આ નિર્ણયને મોટી નિકાસ સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ઇન્ડોનેશિયાને EVM બનાવવામાં ભારત કરશે મદદ
બંને દેશો વચ્ચે ચૂંટણી વ્યવસ્થામાં સહયોગ વધારવા પર પણ સહમતિ થઈ છે. ભારત ઇન્ડોનેશિયાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિકસાવવા અને તેની ટેક્નોલોજી સંબંધિત સહાય પૂરી પાડશે.
આને ભારતની ચૂંટણી પ્રણાલી અને EVM ટેક્નોલોજી પર ઇન્ડોનેશિયાના વિશ્વાસનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
ખનિજ અને બંદર વિકાસમાં પણ ભાગીદારી
દ્વિપક્ષીય બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ખનિજો માટે સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર પણ ભાર મૂકાયો હતો. ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર અર્થ મેગ્નેટ્સના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરશે.
આ ઉપરાંત, બંને દેશોએ સંયુક્ત રીતે સાબાંગ બંદરના વિકાસ માટે પણ સહમતિ દર્શાવી છે. આ બંદર ભારતના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટથી આશરે 100 માઇલના અંતરે આવેલું હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
પ્રમ્બાનન મંદિરની મુલાકાત લેશે મોદી
દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનનની મુલાકાત લેશે. નવમી સદીમાં બનેલું આ ભવ્ય મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.
મોદીનો આ પ્રમ્બાનન મંદિરનો પ્રથમ પ્રવાસ છે.
2,000 વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધો
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી કે વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ બંને દેશો લગભગ બે હજાર વર્ષથી સાંસ્કૃતિક રીતે જોડાયેલા રહ્યા છે.
દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં આજે પણ હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિની ગાઢ અસર જોવા મળે છે. બાલી અને જાવામાં રામાયણ તથા મહાભારત પર આધારિત નૃત્ય-નાટકો યોજાય છે, ગરુડ નામની રાષ્ટ્રીય એરલાઇન છે અને દેશની કરન્સી પર ભગવાન ગણેશની તસવીર પણ અગાઉ છપાઈ ચૂકી છે.
મોદીનો 102મો વિદેશ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ 102મો વિદેશ પ્રવાસ છે અને તેઓ ત્રીજી વખત ઇન્ડોનેશિયાની મુલાકાતે પહોંચ્યા છે. જકાર્તામાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓ વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય ચર્ચા યોજાઈ.
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા આ કરારોને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this