વિશ્વપ્રસિદ્ધ અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય જળયાત્રા સાથે ઉત્સવોનો પ્રારંભ થયો હતો. જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી વહેલી સવારે બેન્ડ-વાજા, ઢોલ-નગારા, ધજા-પતાકા અને ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદ વચ્ચે જળયાત્રા નીકળી હતી. સૌપ્રથમ 12 શણગારેલા હાથીઓએ યાત્રાનું નેતૃત્વ કર્યું, ત્યારબાદ બળદગાડા, સંત-મહંતો, મહિલાઓ કળશ લઈને અને હજારો ભક્તો ભક્તિમય વાતાવરણમાં જોડાયા હતા.
સાબરમતીમાંથી 108 કળશમાં ભરાયું પવિત્ર જળ
જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના કિનારે પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રોક્ત રીતે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અવિચલદાસજી મહારાજ સહિત સંતો અને આગેવાનો રિવર ક્રૂઝ દ્વારા નદીના મધ્યમાં પહોંચ્યા હતા. ત્યાંથી 108 પવિત્ર કળશમાં જળ ભરીને ફરી જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પરત ફર્યા હતા.
પંચામૃતથી ભગવાનનો ભવ્ય જળાભિષેક
મંદિરે પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની શોડશોપચાર પૂજા શરૂ થઈ હતી. ત્યારબાદ સાબરમતીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળ વડે ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જળાભિષેક દરમિયાન સૌપ્રથમ દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડના પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. પંચામૃત પછી અબીલ, ગુલાલ અને ચંદનયુક્ત પવિત્ર જળ વડે પણ ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.
હવે ભગવાન ધારણ કરશે ગજવેશ
જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પરંપરા મુજબ ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. દર વર્ષે જળયાત્રા બાદ ભગવાનના ગજવેશ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને આ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે.
સાંજે ભગવાન જશે મોસાળ
આજના ધાર્મિક કાર્યક્રમ અનુસાર સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજી ભવ્ય શોભાયાત્રા સાથે સરસપુર સ્થિત રણછોડરાયજી મંદિર, એટલે કે પોતાના મોસાળ પહોંચશે. મામાના ઘરે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આગામી 15 દિવસ સુધી ભગવાન અહીં નિવાસ કરશે, જ્યાં હજારો ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.
રાજકીય આગેવાનો પણ જોડાયા
જળયાત્રા અને જળાભિષેક પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાબરમતી નદીની પૂજા તેમજ ભગવાનના જળાભિષેકમાં ભાગ લીધો હતો.
કડક સુરક્ષા વચ્ચે ભવ્ય આયોજન
જળયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો રૂટ પર તૈનાત રાખવામાં આવ્યા હતા. સમગ્ર માર્ગ પર CCTV દ્વારા સતત નજર રાખવામાં આવી હતી, જ્યારે ડ્રોનથી એરિયલ સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ પર રાતથી જ ઇ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
હાથીઓ અને બળદગાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર
જળયાત્રામાં 12 શણગારેલા હાથીઓ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. તેમની સુરક્ષા માટે હાથીઓની આગળ અને પાછળ પોલીસ તેમજ મહાવતોને તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રામાં પરંપરાગત બળદગાડા, રંગબેરંગી ધજા-પતાકા, ઢોલ-નગારા, ભજન-કીર્તન અને હાથમાં કળશ લઈને ચાલતી મહિલાઓએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
પ્રસાદની વિશેષ વ્યવસ્થા
જળયાત્રામાં મગ, જાંબુ, કેરી, દાડમ અને કાકડી સહિતના વિવિધ ફળો અને પ્રસાદ પણ લઈ જવામાં આવ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન સાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો.
અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જળયાત્રા અને ગજવેશ દર્શન સાથે ધાર્મિક ઉત્સવોની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે, જ્યારે આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this