લંડનમાં વિજય માલ્યાની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ, લલિત મોદીએ કહ્યું—‘અમે ભારતના બે સૌથી મોટા ભાગેડુ’
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વીડિયોમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ‘ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ તરીકે સંબોધે છે. આ વીડિયો લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયો પોસ્ટ કરતાં લલિત મોદીએ લખ્યું, “ચાલો, ફરીથી ઇન્ટરનેટ હલાવી દઉં. ખાસ કરીને તમારા મીડિયાવાળાઓ માટે. ઈર્ષ્યા સાથે જોતા રહો.” વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અનેક યુઝર્સે ભારતીય તપાસ એજન્સીઓ અને સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે.
બોમ્બે હાઈકોર્ટનો સવાલ: માલ્યા ક્યારે ભારત આવશે?
આ મામલા વચ્ચે બોમ્બે હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને પૂછ્યું કે તેઓ ભારત ક્યારે પરત ફરશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભારત આવ્યા વિના અને કોર્ટના અધિકારક્ષેત્રમાં હાજર થયા વિના માલ્યાની અરજી પર સુનાવણી શક્ય નથી. માલ્યાએ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અને પોતાને ભાગેડુ જાહેર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
વિજય માલ્યા 2016થી બ્રિટનમાં રહે છે અને 2019માં તેને સત્તાવાર રીતે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લલિત મોદી 2010થી વિદેશમાં રહે છે અને તેના પર ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ તથા IPL સંબંધિત ગંભીર આરોપો છે.
EDની દલીલ: વિદેશમાં રહીને કાયદાને પડકારી શકાય નહીં
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાડની બેન્ચ સમક્ષ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે વિદેશમાં રહીને ભારતીય કાયદાને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.
માલ્યાના વકીલે દાવો કર્યો કે બેંકોની મોટાભાગની રકમ વસૂલ થઈ ગઈ છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ગુનાહિત જવાબદારી કોર્ટ સમક્ષ હાજર થયા વિના સમાપ્ત થઈ શકતી નથી. હવે આ કેસની આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થવાની છે.
નીરવ મોદી કેસ: પ્રત્યાર્પણ રોકવા નવી અપીલ
આ પહેલાં 16 ડિસેમ્બરે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ લંડનની કોર્ટમાં પોતાના પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે નવી અપીલ દાખલ કરી હતી. ભારતની ED અને CBIની ટીમો લંડનમાં હાજર રહીને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ને મદદ કરી રહી છે.
નીરવ મોદી પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં 6,498 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ માટે વોન્ટેડ છે. તેને ભારતમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને બ્રિટનની કોર્ટ પહેલેથી જ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી ચૂકી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this