ગ્લોબલ ન્યુઝ

જાપાનમાં 7.1 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર: કુમામોટોમાં ધ્રુજારીથી લોકોમાં દહેશત, બુલેટ ટ્રેન સેવા સ્થગિત

જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટો વિસ્તારમાં મંગળવારે 7.1 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની અસર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી અને લોકો ભયભીત થઈને ઘરો તેમજ ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA)એ ભૂકંપ બાદ તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની સપાટીથી આશરે 10 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં રાહત તથા બચાવ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી. હાલ સુધી કોઈ મોટા જાનહાનિ કે ભારે નુકસાનના સત્તાવાર અહેવાલ મળ્યા નથી, પરંતુ પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આંચકા એટલા પ્રચંડ કે લોકો ઊભા પણ રહી શક્યા નહીં

જાપાન સરકારે કુમામોટો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રાંતોમાં એલર્ટ જાહેર કર્યું છે. સ્થાનિક અહેવાલો મુજબ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે અનેક લોકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. અનેક ઇમારતો જોરશોરથી હલતી જોવા મળી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભૂકંપ બાદ રાહત અને બચાવ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે, જ્યારે સ્થાનિક પ્રશાસન નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

બુલેટ ટ્રેન સેવા બંધ, હાઈવે પર પણ પ્રતિબંધ

ભૂકંપ બાદ સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ ક્યુશુ શિંકાનસેન (Kyushu Shinkansen) બુલેટ ટ્રેનની સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. અનેક હાઈવે પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.

કેટલાક વિસ્તારોમાં વીજળી અને પાણીના પુરવઠામાં ખલેલ પડ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉપરાંત, વિસ્તારમાં આવેલા પરમાણુ ઊર્જા મથકોની સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે હાલ સુધી કોઈ અસામાન્ય સ્થિતિ નોંધાઈ નથી.

સુનામીની ચેતવણી બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી

JMAએ ભૂકંપ બાદ સુનામીની શક્યતાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. સ્થાનિક લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બચાવ એજન્સીઓ સતત પરિસ્થિતિનું મોનીટરીંગ કરી રહી છે.

જાપાનમાં વારંવાર કેમ આવે છે ભૂકંપ?

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનું એક છે. તેનું મુખ્ય કારણ એ છે કે દેશ ‘પ્રશાંત રિંગ ઓફ ફાયર’ (Pacific Ring of Fire) વિસ્તારમાં આવેલો છે, જ્યાં ચાર મોટી ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે. આ કારણે ધરતીની અંદર સતત ભૂસ્તરીય હલચલ ચાલતી રહે છે.

વિશ્વમાં આવતા મોટા ભૂકંપોમાંથી અંદાજે 18 ટકા ભૂકંપ એકલા જાપાનમાં નોંધાય છે. આ જ કારણસર જાપાને વિશ્વની સૌથી અદ્યતન ભૂકંપ અને સુનામી ચેતવણી પ્રણાલી વિકસાવી છે, જે લોકો સુધી સેકન્ડોમાં એલર્ટ પહોંચાડે છે.

હાલમાં જાપાન સરકાર, હવામાન વિભાગ અને બચાવ એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video