દિલ્હી પોલીસે બુધવારે રાત્રે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના સાબરમતી હોસ્ટેલ બહાર પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ લગાવવામાં આવેલા વિવાદાસ્પદ નારાના મામલે FIR નોંધાવી છે. આ ફરિયાદ JNUના મુખ્ય સુરક્ષા અધિકારી (CSO) દ્વારા નોંધાવવામાં આવી હતી.
CSOના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે 30થી 35 વિદ્યાર્થીઓ હાજર હતા. શરૂઆતમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ હતો, પરંતુ 2020ના દિલ્હી રમખાણોના ષડયંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન ન મળતાં પરિસ્થિતિ ઉશ્કેરાઈ ગઈ અને ઉશ્કેરણીજનક નારા લગાવવામાં આવ્યા.
35 સેકન્ડનો વીડિયો થયો હતો વાયરલ
6 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર 35 સેકન્ડનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 5 જાન્યુઆરીની રાત્રે JNU કેમ્પસમાં ‘મોદી-શાહની કબર ખોદાશે, JNUની ધરતી પર’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ વીડિયો બાદ JNU પ્રશાસને પોલીસ પાસે FIR નોંધવાની માંગ કરી હતી.
CSOએ કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકીય પ્રતિક્રિયાઓ
BJP પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે આ પ્રદર્શન ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં થયું છે. તેમણે કહ્યું કે આ વિરોધ નહીં, પરંતુ રાષ્ટ્રવિરોધી વિચારધારાનો પ્રસાર છે.
બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે આ વિદ્યાર્થીઓના ગુસ્સો વ્યક્ત કરવાની રીત છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સાથે ધર્મના આધારે અન્યાય થઈ રહ્યો છે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે JNU હવે ‘ટુકડે-ટુકડે ગેંગ’નું કેન્દ્ર બની ગયું છે. જ્યારે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ નારાઓને દેશવિરોધી ગણાવ્યા.
CPI(M)ના નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે આવા નારા ન લગાવા જોઈએ અને વિરોધ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે.
JNU પ્રશાસનની કડક ચેતવણી
JNU મેનેજમેન્ટે નિવેદનમાં કહ્યું કે યુનિવર્સિટીને નફરત ફેલાવતી પ્રયોગશાળા નહીં બનવા દેવામાં આવે. આવા નારા યુનિવર્સિટીના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન છે અને કેમ્પસની શાંતિ અને સુરક્ષાને નુકસાન પહોંચાડે છે. આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સસ્પેન્શન પણ થઈ શકે છે.
સ્ટુડન્ટ્સ યુનિયનનો પક્ષ
JNU સ્ટુડન્ટ્સ યુનિયન અધ્યક્ષ અદિતિ મિશ્રાએ કહ્યું કે દર વર્ષે 5 જાન્યુઆરી 2020ની કેમ્પસ હિંસાની નિંદા માટે વિરોધ કરવામાં આવે છે. નારા વૈચારિક હતા, વ્યક્તિગત હુમલા માટે નહોતા અને કોઈને નિશાન બનાવીને લગાવવામાં આવ્યા ન હતા.
2020ની JNU હિંસા યાદ
5 જાન્યુઆરી 2020ના રોજ JNU કેમ્પસમાં નકાબપોશ લોકોએ ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. લાકડીઓ, પથ્થરો અને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં JNUSU અધ્યક્ષ આયશી ઘોષ સહિત ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા હતા.
દિલ્હી રમખાણો કેસનો સંદર્ભ
2020ના દિલ્હી રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. 750થી વધુ FIR નોંધાઈ હતી. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ UAPA હેઠળ કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટે 5 જાન્યુઆરી 2025ના રોજ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને એક વર્ષ સુધી નવી અરજી ન કરી શકાય તેવો આદેશ આપ્યો હતો.
તાજેતરમાં ચાર આરોપીઓને જામીન મળ્યા બાદ તેઓ તિહાર અને મંડોલી જેલમાંથી મુક્ત થયા હતા, જ્યારે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન મળ્યા નથી.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this