ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ તેના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલ નજીક એક સંભાવિત લેન્ડિંગ સાઇટ ઓળખી કાઢી છે. ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેવામાં આવેલી હાઇ-રિઝોલ્યુશન તસવીરોના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન (Mons Mountain) વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ ગણાવ્યો છે.
મોન્સ માઉટન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવેલો અંદાજે 6,000 મીટર ઊંચો પર્વત છે. તેની ટોચ મોટેભાગે સપાટ હોવાથી લેન્ડિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. જોકે ISROએ સ્પષ્ટ કર્યું છે કે લેન્ડિંગ સાઇટ અંગેનો અંતિમ નિર્ણય મિશનના લોન્ચિંગની નજીક લેવામાં આવશે.
શા માટે મોન્સ માઉટન મહત્વપૂર્ણ છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મોન્સ માઉટન વિસ્તારનું મહત્વ માત્ર લેન્ડિંગ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ માટે પણ ખૂબ વધારે છે. અહીં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળવાની શક્યતા છે, જે સોલર પાવર આધારિત સિસ્ટમ્સ માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત, આ વિસ્તારમાં વોટર આઇસ (પાણીના બરફ)ની હાજરી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મોન્સ માઉટનને અગાઉ લીબનિટ્ઝ બીટા તરીકે ઓળખવામાં આવતું હતું. બાદમાં તેનું નામ નાસાની ગણિતશાસ્ત્રી અને કોમ્પ્યુટર પ્રોગ્રામર મેલ્બા રોયના નામ પરથી રાખવામાં આવ્યું.
ચંદ્રયાન-2ની તસવીરોથી મળી મહત્વની માહિતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અભ્યાસ લુનર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ (LPSC) 2026માં રજૂ કરવામાં આવ્યો હતો. લેન્ડિંગ સાઇટ પસંદ કરવા માટે ચંદ્રયાન-2 ઓર્બિટર પર લાગેલા ઓર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા (OHRC)ની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો.
OHRC કેમેરા ચંદ્રની સપાટીને લગભગ 32 સેન્ટિમીટર પ્રતિ પિક્સેલના અતિસૂક્ષ્મ રિઝોલ્યુશનમાં દર્શાવે છે. તેના કારણે નાના ખાડા, પથ્થરો, ઢોળાણ અને સપાટીની રચનાની ચોક્કસ ઓળખ શક્ય બની છે, જેથી લેન્ડિંગ માટે જોખમી વિસ્તારો પહેલેથી જ ઓળખી શકાયા.
MM-4 સાઇટ કેમ સૌથી સુરક્ષિત?
અભ્યાસ દરમિયાન મોન્સ માઉટન વિસ્તારમાં ચાર સંભવિત લેન્ડિંગ સાઇટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાંથી MM-4 સાઇટને સૌથી સુરક્ષિત ગણાવવામાં આવી છે.
- MM-4 સાઇટ પર સરેરાશ ઢોળાણ લગભગ 5 ડિગ્રી છે, જ્યારે ચંદ્રયાન-4નો લેન્ડર 10 ડિગ્રી સુધીના ઢોળાણ પર ઉતરવામાં સક્ષમ છે.
- અહીં મોટા પથ્થરોની સંખ્યા ઓછી છે અને મોટાભાગના બોલ્ડર 0.3 મીટરથી નાના છે, જે લેન્ડિંગના જોખમને ઓછું કરે છે.
- આ સાઇટ પર સતત 11થી 12 દિવસ સુધી સૂર્યપ્રકાશ મળવાની શક્યતા છે.
- પૃથ્વી સાથે રેડિયો સંચાર પણ અહીં સ્પષ્ટ રહેવાની શક્યતા છે, જેથી મિશન દરમિયાન સંપર્કમાં મોટી અડચણ ન આવે.
₹2104 કરોડનું મિશન, ચંદ્ર પરથી સેમ્પલ લાવશે પૃથ્વી પર
ચંદ્રયાન-4 મિશનની કુલ કિંમત અંદાજે ₹2104 કરોડ છે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પરથી માટી અને ખડકોના નમૂનાઓ એકત્ર કરી તેમને પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ માટે ISRO બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરશે—હેવી લિફ્ટર LVM-3 અને વિશ્વસનીય PSLV.
મિશનને બે સ્ટેકમાં વહેંચવામાં આવ્યું છે.
- સ્ટેક-1માં ડિસેન્ડર મોડ્યૂલ (લેન્ડિંગ અને સેમ્પલ કલેક્શન માટે) અને એસેન્ડર મોડ્યૂલ (ચંદ્ર પરથી ઉડાન માટે) સામેલ છે.
- સ્ટેક-2માં પ્રોપલ્શન મોડ્યૂલ, સેમ્પલ ટ્રાન્સફર મોડ્યૂલ અને પૃથ્વી પર સેમ્પલ લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યૂલ સામેલ છે.
ચંદ્રયાન-4ને ISROનું અત્યાર સુધીનું સૌથી જટિલ અને પડકારજનક ચંદ્ર મિશન માનવામાં આવી રહ્યું છે. સફળતા મળ્યા પછી ભારત ચંદ્ર પરથી સેમ્પલ લાવનાર વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થઈ જશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this