NEET પેપર લીક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને વિપક્ષનો વિરોધ યથાવત છે. શુક્રવારે વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વાર બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં આવીને નિવેદન આપવાની માગ કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન રાત્રે નિવેદન જાહેર કરવાને બદલે ગૃહમાં આવીને વાત કરે, ત્યારે જ તેમની વાતને સાચી માનવામાં આવશે.
ખડગેએ કહ્યું- PM સદનમાં આવીને નિવેદન આપે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં નિવેદન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે વડાપ્રધાન રાત્રે 12 વાગ્યે નિવેદન બહાર પાડે તેના બદલે ગૃહમાં આવીને પોતાની વાત રજૂ કરે. વિપક્ષનું કહેવું છે કે આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ અને સરકાર જવાબ આપવો જોઈએ.
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા સ્થગિત
લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. જોકે, વિપક્ષી સાંસદોના હોબાળા બાદ લગભગ ચાર મિનિટમાં જ કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિપક્ષી સાંસદો NEET પેપર લીક, પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે.
ભાજપે NDA સાંસદોને વ્હીપ જારી કર્યો
આ તરફ ભાજપે શુક્રવારની સંસદની કાર્યવાહી દરમિયાન NDAના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. બપોરે 1 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક યોજાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે પેપર લીકના કેસોમાં સજા સંબંધિત પ્રસ્તાવ કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
કાયદા મંત્રીએ કહ્યું- પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનશે
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે વડાપ્રધાને પેપર લીક સંબંધિત કેસોમાં ઝડપી ન્યાય માટે મોટો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું કે જે કેસો અદાલતોમાં પેન્ડિંગ છે, તેમની ઝડપી સુનાવણી માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ કોર્ટમાં દરરોજ સુનાવણી થશે અને નિર્ધારિત સમયમર્યાદામાં ટ્રાયલ તથા તપાસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને યુવાનોને ઝડપથી ન્યાય મળી શકે.
સંસદ બહાર વિપક્ષી નેતાઓનું પ્રદર્શન
સંસદના મકર દ્વાર બહાર યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના અનેક નેતાઓ અને સાંસદો સામેલ થયા હતા. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ નારા લગાવીને NEET પેપર લીક મુદ્દે જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી.
TMC સાંસદ કલ્યાણ બેનર્જીનું પણ પ્રદર્શન
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ અલગથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે એવા 20 બળવાખોર સાંસદો વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેમણે અલગ જૂથ બનાવીને NDAને સમર્થન આપ્યું છે.
આ દરમિયાન સંસદની બહાર વિરોધ પ્રદર્શનને કારણે મોટી સંખ્યામાં સાંસદો અને સુરક્ષાકર્મીઓની ભીડ જોવા મળી હતી.
વિપક્ષની માગ- શિક્ષણ મંત્રી રાજીનામું આપે
વિપક્ષ સતત માગ કરી રહ્યો છે કે NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં કથિત ગેરરીતિઓની જવાબદારી નક્કી કરવામાં આવે. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માગ કરવામાં આવી રહી છે.
વિપક્ષનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.
અગાઉના દિવસોમાં પણ સંસદમાં થયો હતો હોબાળો
મોનસૂન સત્ર દરમિયાન અગાઉ પણ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદમાં પૂરતો સમય આપવામાં આવતો નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ કહ્યું હતું કે વિપક્ષને સંસદમાં બોલવા દેવામાં આવતું નથી અને લોકશાહીમાં આવું થવું યોગ્ય નથી.
જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ અંગે પણ ખડગેએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓના આંદોલનનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
આ તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ચર્ચા અને કામગીરીને વધુ પ્રોડક્ટિવ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હવે NEET પેપર લીક મુદ્દે સરકાર કેબિનેટમાં કયા નિર્ણયો લે છે અને સંસદમાં સરકાર તથા વિપક્ષ વચ્ચેની ટક્કર કઈ દિશામાં આગળ વધે છે, તેના પર સૌની નજર છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this