ટૉપ ન્યૂઝ

T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ પણ સૂર્યકુમારની કેપ્ટનશીપ જોખમમાં! આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન પર પણ સવાલ

ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટી-20 ટીમ માટે નવા કેપ્ટનની પસંદગી અંગે વિચારણા કરી રહી છે. માત્ર કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ટીમમાં સૂર્યકુમારનું સ્થાન પણ જોખમમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ભારત આ મહિને આયર્લેન્ડ સામે બે ટી-20 મેચ રમશે, ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે. આ મહત્વપૂર્ણ પ્રવાસો પહેલાં ટીમમાં મોટા ફેરફારો થઈ શકે છે તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે.

વિશેષ વાત એ છે કે આ જ વર્ષે 8 માર્ચે અમદાવાદમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતે ઐતિહાસિક ખિતાબ જીત્યો હતો. તેમ છતાં, BCCI 2028ના આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. આ મુદ્દે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન

સૂર્યકુમાર યાદવ માટે IPL 2026 સિઝન ખાસ સફળ રહી નહોતી. તેણે સમગ્ર સિઝનમાં માત્ર 270 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 20.76 રહી હતી. સૂર્યાએ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે બે અડધી સદી ફટકારી હતી, પરંતુ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ પ્રદર્શનને કારણે તેની પસંદગી અને કેપ્ટનશીપ અંગે પ્રશ્નો ઊભા થયા હોવાનું માનવામાં આવે છે.

કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ

ભલે હાલમાં તેની કેપ્ટનશીપ જોખમમાં હોય, પરંતુ સૂર્યકુમાર યાદવનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. તેની આગેવાની હેઠળ ભારતે કુલ 52 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જેમાંથી 42 મેચોમાં જીત મળી, 8માં હાર થઈ અને 2 મેચોનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

તેની જીતની ટકાવારી 80.76 ટકા રહી છે, જે ભારતીય ક્રિકેટના સૌથી સફળ ટી-20 કેપ્ટનોમાંની એક ગણાય છે. તેની કપ્તાનીમાં ભારતે 2025નો એશિયા કપ અને 2026નો ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો.

બેટિંગમાં પણ નોંધપાત્ર આંકડા

સૂર્યકુમાર યાદવ ભારત માટે અત્યાર સુધી 113 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3,272 રન બનાવી ચૂક્યો છે. તેની સરેરાશ 36.35 અને સ્ટ્રાઈક રેટ 162.94 રહ્યો છે.

તેના નામે 4 સદી અને 25 અડધી સદી નોંધાયેલી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. ઉપરાંત તેણે 297 ચોગ્ગા, 179 છગ્ગા અને 58 કેચ પણ લીધા છે.

રોહિતના નિવૃત્તિ બાદ મળી હતી જવાબદારી

2024માં વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ BCCIએ સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપી હતી.

હવે, લગભગ બે વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટી-20 ટીમના નેતૃત્વમાં ફેરફારની ચર્ચા તેજ બની છે. જોકે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી આગામી દિવસોમાં પસંદગી સમિતિ શું નિર્ણય લે છે તેના પર તમામની નજર રહેશે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video