અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. ભારે વરસાદના બદલે હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ અંદાજે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, સાયક્લોનિક સર્ક્યુલેશન, સક્રિય મોન્સૂન ટ્રફ અને અન્ય હવામાન પરિબળોના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. બીજી તરફ સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો મોટા પ્રમાણમાં હટી ગયાં હોવાથી હાલ અત્યંત ભારે વરસાદની સંભાવના ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દરિયાકાંઠે ભારે પવનની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે રાજ્યના અનેક બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-3 (LCS-3) ફરકાવવામાં આવ્યું છે.
સિઝનમાં સામાન્ય કરતાં 21 ટકા વધુ વરસાદ
આ વર્ષે ચોમાસું રાજ્યમાં સક્રિય રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 21 ટકા વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક જળાશયો અને ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાન પણ થયું છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં: રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદ શહેર માટે હવામાન વિભાગે દિવસભર સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે.
શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ સિઝનમાં કુલ વરસાદ 21.75 ઇંચ (552.4 મિમી) સુધી પહોંચ્યો છે, જે સામાન્ય કરતાં 6.03 ઇંચ (153.1 મિમી) વધુ છે.
રાજ્યમાં વરસાદની અસર હજુ યથાવત્
ભલે હાલમાં ભારે વરસાદમાં ઘટાડો થયો હોય, પરંતુ અગાઉ પડેલા વરસાદની અસર હજુ પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે.
- આણંદના ગામડી તળાવ ઓવરફ્લો થતાં ભરવાડ ટેકરી, હિના પાર્ક અને કોહીનૂર સોસાયટીમાં પાણી ઘૂસી ગયાં, જેના કારણે સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
- આમરણ નજીક ડાયવર્ઝન તૂટી જતાં જામનગર-માળિયાને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો.
- રાજ્યના અનેક પર્વતીય વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધુમ્મસ અને હરિયાળી વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઊઠતાં પ્રવાસીઓ ઉમટી પડ્યા.
- સારોલી વિસ્તારમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર આવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.
- ભાથરીયા ગામના ડેમમાંથી પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું.
આગામી દિવસો માટે સાવચેતી જરૂરી
હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદની સંભાવના હાલ ઓછી હોવા છતાં રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે રાજ્યમાં ચોમાસાનું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this