વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ભાજપના ધારાસભ્યો વચ્ચેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ વિકાસકાર્યોને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ ‘લેટર બોમ્બ’ બાદ આજે, 17 જાન્યુઆરીએ યોજાયેલી વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરીએ રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે.
આ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર હાજર રહ્યા નહોતા. ત્રણેય ધારાસભ્યોએ જૂનાં વિકાસકામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
“આગળનાં કામ કેમ પૂર્ણ થતાં નથી?” – કેતન ઇનામદાર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે,
“જૂનાં વિકાસકામો પૂર્ણ ન થાય ત્યાં સુધી હું જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહું. સંકલન બેઠકમાં વારંવાર એક જ પ્રશ્નો મૂકવામાં આવે છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળતું નથી. આ બેઠક મહત્વની છે તો પછી કામ આગળ કેમ વધતું નથી?”
તેમણે વહીવટી વિભાગના વલણ સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંકલનમાં માત્ર પ્રશ્ન પૂછવા અને જવાબ લઈને ઘરે જવાનું કોઈ અર્થ નથી.
અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાની ગેરહાજરી
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે તેઓ શહેર બહાર હોવાના કારણે બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સ્થાનિક કામગીરીને કારણે બેઠકમાં હાજરી આપી ન શક્યા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં, ત્રણ ધારાસભ્યોની ગેરહાજરીએ સંકલન સમિતિની પ્રથમ બેઠકને ચર્ચાનો વિષય બનાવી દીધો.
કલેક્ટરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
આ સમગ્ર મામલે કલેક્ટર ડો. અનિલ ધામલિયા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને પોતાની કેબિનમાં પ્રવેશ કરી ગયા હતા.
શૈલેષ મહેતા અને હેમાંગ જોશીની અલગ બેઠક
બીજી તરફ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક યોજી હતી. આ બેઠક જિલ્લા સંકલન સમિતિ શરૂ થાય તે પહેલાં યોજાઈ હતી, જેને લઈ પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.
બહિષ્કાર અંગે પૂછતાં શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, “મને કોઈ બહિષ્કાર અંગે માહિતી નથી.” જોકે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ આંતરિક વિવાદ વડોદરા જિલ્લાના વિકાસકાર્યોને અસર કરી શકે છે.
પાંચ ધારાસભ્યોએ CMને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના પાંચ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી. આ પત્રમાં અધિકારીઓની માનસિકતા અને વહીવટી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પત્ર ‘વંદે માતરમ્’થી શરૂ કરીને અધિકારીઓની કાર્યશૈલી પર આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જૂના વિવાદોની પુનરાવૃતિ
આ પહેલાં પણ 2024માં કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું મોકલી પ્રેશર પોલિટિક્સ કરી હતી, જેના કારણે વડોદરા ભાજપમાં જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું.
તે જ રીતે, 2022માં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતાં મુખ્યમંત્રીને પત્ર લખી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વિકાસકાર્યો પર અસરની આશંકા
હાલની સ્થિતિમાં વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ભાજપના પાંચ ધારાસભ્યો વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ત્રણ ધારાસભ્યો દ્વારા સંકલન બેઠકનો બહિષ્કાર અને નેતાઓની અલગ બેઠકોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપની અંદર આંતરિક ખેંચતાણ વધી રહી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે જો આ વિવાદનો વહેલો ઉકેલ ન આવે તો વડોદરા જિલ્લાના વિકાસકાર્યો પર તેની સીધી અસર પડી શકે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this