ભારતીય રેલવેએ લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરો માટે ભાડામાં વધારાની જાહેરાત કરી છે. રેલવેનું નવું ભાડું 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. આ નિર્ણય મુજબ 215 કિલોમીટરથી વધુ અંતરની યાત્રા કરનાર મુસાફરોને હવે પ્રતિ કિલોમીટર 1થી 2 પૈસા વધારાના ચૂકવવા પડશે.
રેલવેના અંદાજ પ્રમાણે, આ ફેરફારથી તેને દર વર્ષે આશરે ₹600 કરોડની વધારાની આવક થશે. જોકે, 215 કિલોમીટરથી ઓછી દૂરીની મુસાફરી કરનારાઓ અને માસિક સિઝન ટિકિટ (MST) ધરાવનાર મુસાફરોને કોઈ વધારાનો બોજ નહીં પડે.

કયા વર્ગમાં કેટલો વધારો?
રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા ભાડા મુજબ—
- લોકલ ટ્રેનો અને MST ધરાવતા મુસાફરો માટે ભાડામાં કોઈ ફેરફાર નહીં
- 215 કિમી સુધીના સામાન્ય (ઓર્ડિનરી) ક્લાસમાં ભાડામાં વધારો નહીં
- 215 કિમીથી વધુની મુસાફરી માટે
- સામાન્ય વર્ગમાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો
- મેલ/એક્સપ્રેસ નોન-એસી ટ્રેનોમાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો
- એસી ક્લાસમાં પણ પ્રતિ કિમી 2 પૈસાનો વધારો
મુસાફરો પર કેટલી પડશે અસર?
રેલવે અનુસાર, આ વધારો સામાન્ય મુસાફરો માટે ખૂબ ઓછો રહેશે.
- જો કોઈ મુસાફર નોન-એસી ટ્રેનમાં 500 કિમીની મુસાફરી કરે, તો તેને માત્ર ₹10 જેટલો વધારાનો ખર્ચ આવશે.
- અમદાવાદથી દિલ્હી (986 કિમી) વચ્ચે એસી ક્લાસમાં મુસાફરી કરવા પર લગભગ ₹19 વધારાના ચૂકવવા પડશે.
ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર નોન-એસી એક્સપ્રેસ ટ્રેનથી 500 કિમીની યાત્રા કરે છે, તો પહેલા 215 કિમી પર કોઈ વધારો લાગુ નહીં થાય. બાકી 285 કિમી પર પ્રતિ કિમી 2 પૈસા મુજબ કુલ અંદાજે ₹5.70 વધારાના ચૂકવવા પડશે.
નાના રૂટ અને દૈનિક મુસાફરોને રાહત
રેલવેએ નાના રૂટ પર મુસાફરી કરતા લાખો મુસાફરોને મોટી રાહત આપી છે.
215 કિમીથી ઓછી દૂરી માટે ભાડામાં કોઈ વધારો ન થતા ટૂંકા અંતરની મુસાફરી પહેલાની જેમ સસ્તી રહેશે.
તે ઉપરાંત, સબ-અર્બન (લોકલ) ટ્રેનો અને માસિક સિઝન ટિકિટના ભાડામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ જેવા મહાનગરોમાં રોજિંદા લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પર કોઈ વધારાનો ભાર પડશે નહીં.
રેલવેને ભાડું વધારવાની જરૂર કેમ પડી?
રેલવે મંત્રાલયના સૂત્રો મુજબ, ઓપરેશનલ ખર્ચમાં સતત વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે નાણાંની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે નવી ટ્રેનો, સ્ટેશન આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે સતત રોકાણ કરી રહી છે.
ભાડામાં થયેલા વધારાથી મળનારી ₹600 કરોડની વધારાની આવકનો ઉપયોગ આ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય રેલવે દેશનો બીજો સૌથી મોટો નોકરીદાતા છે અને તેના વિશાળ નેટવર્કને જાળવવા માટે મોટો ખર્ચ થાય છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this