ગીરથી ઓળખાતું ગુજરાત હવે માત્ર એશિયાઈ સિંહોની ધરતી પૂરતું સીમિત રહ્યું નથી. ત્રણ દાયકા કરતાં વધુ સમય બાદ રાજ્યનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાઈ છે, જેને પગલે ગુજરાત ફરી એકવાર ‘ટાઇગર સ્ટેટ’ તરીકે ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) દ્વારા સત્તાવાર રીતે માન્ય કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત વિશ્વનું એવું પહેલું સ્થળ બન્યું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ—ત્રણેય બિગ કેટ એકસાથે હાજર છે.
NTCAની સત્તાવાર પુષ્ટિ
NTCAના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વાઘનું ટકી રહેવું એ ગુજરાતનાં જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો મજબૂત પુરાવો છે. આ સિદ્ધિ રાજ્યના વન સંરક્ષણ પ્રયાસોની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
NTCA રિપોર્ટ અને ગુજરાતમાં વાઘની હાજરી – મુખ્ય મુદ્દા
| મુદ્દો | વિગત |
|---|---|
| NTCA તરફથી સ્થિતિ | ગુજરાતના વન વિભાગને હજુ સત્તાવાર પત્ર મળ્યો નથી |
| પ્રાથમિક રિપોર્ટ | NTCAનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે |
| વાઘની હાજરી | રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની સ્થાયી હાજરીની પુષ્ટિ |
| રાષ્ટ્રીય ગણતરી | દેશમાં થનારી વાઘ વસતિ ગણતરીમાં ગુજરાતનો સમાવેશ |
| ઇકો સિસ્ટમ | રતનમહાલ વિસ્તાર વાઘ માટે યોગ્ય ઇકો સિસ્ટમ ધરાવે છે |
| નિવેદન આપનાર | અર્જુન મોઢવાડિયા |
| પદ | વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત |
2019માં વાઘ દેખાયો હતો, પરંતુ બચી શક્યો નહોતો: વન મંત્રી
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ પ્રત્યેક ગુજરાતી માટે ગર્વની વાત છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં વાઘની નોંધપાત્ર હાજરી હતી, પરંતુ સમય જતાં પ્રજાતિ લુપ્ત થઈ ગઈ.
રાજ્યમાં છેલ્લે 1989માં વાઘની સત્તાવાર વસતિગણતરી થઈ હતી, જેમાં પંજાના નિશાન મળ્યા હતા, પરંતુ વાઘ નજરે પડ્યો નહોતો. ત્યારબાદ 1992માં ગુજરાતને વાઘ ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યું અને ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો ગુમાવ્યો હતો. 2019માં ફરી વાઘ દેખાયો હતો, પરંતુ તે માત્ર 15 દિવસ જ જીવિત રહી શક્યો હતો.
22 ફેબ્રુઆરી 2025ે કેમેરા ટ્રેપમાં કેદ થયો વાઘ
હાલ રતનમહાલમાં વસવાટ કરતો વાઘ 22 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 2:40 વાગ્યે વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. બીજા દિવસે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગલાં જોવા મળ્યા હતા.
આ પગલાં સામાન્ય દીપડાથી મોટા હોવાથી કેમેરા ટ્રેપના ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં વાઘની સ્પષ્ટ હાજરી સામે આવી. ત્યારબાદ NTCAને જાણ કરાઈ અને ટીમે સ્થળ પર અભ્યાસ કરીને રતનમહાલમાં વાઘની સ્થાયી હાજરીની પુષ્ટિ કરી.
શરૂઆતમાં રખડતો માન્યો, હવે બનાવ્યું ઘર
વન વિભાગના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશની સરહદ પરથી ફેબ્રુઆરીમાં એક યુવાન વાઘ રતનમહાલમાં પ્રવેશ્યો હતો. શરૂઆતમાં તેને રખડતો વાઘ માનવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા દસ મહિનાથી એક જ વિસ્તારમાં સતત હાજરીથી સ્પષ્ટ થયું છે કે તેણે આ જંગલને પોતાનું કાયમી નિવાસ બનાવ્યું છે.
આ આધારે NTCAએ 2026ની અખિલ ભારતીય વાઘ વસતિગણતરીમાં ગુજરાતને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.
ત્રણ દાયકા બાદ ફરી ‘ટાઇગર સ્ટેટ’ બનવાની આશા
ગુજરાતમાં છેલ્લી સત્તાવાર વાઘ ગણતરી 1989માં થઈ હતી. ત્યારબાદ વાઘના પુરાવા ન મળતાં રાજ્યને ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યું હતું. હવે રતનમહાલમાં વાઘની સ્થિર હાજરી સાથે ત્રણ દાયકા લાંબી રાહ પૂર્ણ થતી દેખાઈ રહી છે.
વાઘ અને ગુજરાતનો 75 વર્ષનો સંબંધ:
| વર્ષ / સમયગાળો | મહત્વપૂર્ણ ઘટના |
|---|---|
| 1950–60 | ગુજરાતમાં અંદાજે 50 વાઘ હાજર હતા |
| 1960–63 | માત્ર 3 વર્ષમાં 5 વાઘોનો શિકાર થયો |
| 1972 | ગુજરાતમાં વાઘની ગણતરી થઈ, 8 વાઘ ડાંગના જંગલમાં નોંધાયા |
| 1983 | વલસાડ પાસે ડાંગના છેલ્લા વાઘનો શિકારીઓએ શિકાર કર્યો |
| 1989 | ગુજરાત સરકારે રાજ્યમાંથી વાઘને વિલુપ્ત જાહેર કર્યો |
| 2001 | વસ્તી ગણતરી વખતે ફરી વાઘની સંખ્યા ‘શૂન્ય’ નોંધાઈ |
| 2019 | મહિસાગર જિલ્લામાં વાઘ દેખાયો, પરંતુ બાદમાં તેનું મૃત્યુ થયું |
| 2025 | લાંબા સમય બાદ રતનમહાલમાં વાઘ હોવાનો સત્તાવાર પુરાવો મળ્યો |
રેડિયો કોલર અને વાઘણ લાવવાની તૈયારી
આગામી સમયમાં વાઘને રેડિયો કોલર પહેરાવવાની યોજના છે, જેથી તેની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. સાથે જ આસપાસના વિસ્તારોમાં શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા અને માદા વાઘ (વાઘણ) લાવવાની સંભાવના અંગે પણ સર્વે કરવામાં આવશે.
NTCA દ્વારા વાઘણ લાવતાં પહેલાં માનવ-વાઘ સંઘર્ષ, જિનેટિક સુસંગતતા, સુરક્ષા અને આવાસની વિગતવાર તપાસ કરવામાં આવશે. તમામ માપદંડ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.
ગીર પછી નવી ઓળખ
એક તરફ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો અને બીજી તરફ રતનમહાલમાં વાઘની હાજરી—આ બંને ઘટનાએ ગુજરાતને વન્યજીવન સંરક્ષણના રાષ્ટ્રીય નકશા પર નવી ઓળખ આપી છે. હવે રાજ્યનાં જંગલોમાં સિંહની ત્રાડ સાથે વાઘની ગર્જનાની પણ ગુંજ સંભળાવા લાગી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this