આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 134 તાલુકામાં વરસાદ, બાલાસિનોર-ગોધરમાં 2 કલાકમાં દોઢ ઇંચ; અમદાવાદમાં જળબંબાકાર

ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના ગોધરમાં 2.30 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ચાર તાલુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

મંગળવારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહીસાગરના બાલાસિનોર અને ગોધરમાં આશરે દોઢ ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

13 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ઉપરાંત કલાકના 41 કિમી સુધીની ઝડપે પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં બે કલાકમાં એક ઇંચ સુધી વરસાદ

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, હંસપુરા, જશોદાનગર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

પશ્ચિમ અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. પ્રહલાદનગર, જોધપુર, આનંદનગર, સોલા અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

નિકોલમાં રસ્તા પર પાણી ભરાયા

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મનમોહન પાર્ક ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે ટુ-વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે અન્ય વાહનો પણ ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા.

સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતાં સ્થાનિકોમાં તંત્રની પાણીના નિકાલની વ્યવસ્થા સામે નારાજગી જોવા મળી હતી. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

મહીસાગરમાં સતત બીજા દિવસે મેઘમહેર

મહીસાગર જિલ્લામાં આશરે 10 દિવસના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સતત બીજા દિવસે પણ લુણાવાડા, ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સતત બે દિવસના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુકાઈ રહેલા પાકને વરસાદથી નવજીવન મળ્યું છે. જોકે જળાશયો અને તળાવો પૂરતા ભરાય તે માટે ખેડૂતો હજુ સારા વરસાદની આશા રાખી રહ્યા છે.

છોટાઉદેપુરમાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદ

છોટાઉદેપુર જિલ્લામાં પણ એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો છે. છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી, નસવાડી, સંખેડા, કવાંટ અને કદવાલ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

વરસાદથી જનજીવન પર થોડી અસર પડી હતી, પરંતુ ખેતરોમાં ઊભા પાકને પાણી મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગાંધીનગર-માણસા પંથકમાં પણ મેઘમહેર

ગાંધીનગર શહેર, માણસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો.

વરસાદથી ખેતરોમાં પાણી પહોંચતાં ખેડૂતોમાં રાહત જોવા મળી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગર જેવા ખરીફ પાક માટે આ વરસાદ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.

વાવ-થરાદમાં એક અઠવાડિયા બાદ વરસાદી ઝાપટાં

વાવ-થરાદ પંથકમાં પણ આશરે એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી આકાશ વાદળછાયું રહ્યું અને થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટાં પડ્યા.

આ વરસાદથી બાજરી, જુવાર અને એરંડા જેવા પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદ

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાતથી વરસાદી માહોલ રહ્યો હતો. અમરેલી શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતા.

બાબરા તાલુકાના લુણકી અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અંબાલાલ પટેલની આગાહી: 13 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

17થી 19 અને 22-23 ઓગસ્ટે ફરી વરસાદ વધવાની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. તેની અસર પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થઈ શકે છે. જ્યારે 22 અને 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધવાની શક્યતા છે.

સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાને લઈને પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 31 ઓગસ્ટ બાદ હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. જોકે ભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સમસ્યા ધરાવતા શહેરોમાં તંત્રને સતર્ક રહેવાની જરૂર છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video