આપણું ગુજરાત

ગુજરાતના 68 ડેમ તળિયાઝાટક: વરસાદ ખેંચાતા સંકટના વાદળો ઘેરાયા, સૌરાષ્ટ્ર-કચ્છના ડેમમાં સૌથી ઓછું પાણી

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ હોવા છતાં જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ પણ ચિંતાજનક સ્થિતિમાં છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ માત્ર 36.78 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રહેલા 41.22 ટકાની સરખામણીએ નોંધપાત્ર ઓછો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે.

રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલ 65.36 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમોમાં સરેરાશ 48 ટકા પાણી ઉપલબ્ધ છે. હાલની સ્થિતિ મુજબ રાજ્ય પાસે જુલાઈના અંત સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

126 ડેમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી

રાજ્યના 206 ડેમોમાંથી એક પણ ડેમ હાલમાં સંપૂર્ણ ભરાયેલો નથી. માત્ર 7 ડેમોમાં 70થી 100 ટકા પાણી છે, જ્યારે 20 ડેમોમાં 50થી 70 ટકા પાણી ઉપલબ્ધ છે. 53 ડેમોમાં 25થી 50 ટકા પાણી છે, જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે 126 ડેમોમાં માત્ર 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ બચ્યો છે.

ઝોનવાર આંકડાઓ મુજબ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 53 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 40 ટકા પાણી ઉપલબ્ધ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 35 ટકા, સૌરાષ્ટ્રમાં 27 ટકા અને કચ્છમાં પણ માત્ર 27 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ વધુ ગંભીર

સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયો રાજ્યમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિમાં છે. સૌરાષ્ટ્રની 141 યોજનાઓમાં હાલ માત્ર 27.21 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગયા વર્ષે આ જ સમયે અહીં 46.71 ટકા પાણી હતું. એટલે કે એક વર્ષમાં જળસંગ્રહમાં મોટો ઘટાડો નોંધાયો છે.

કચ્છની 20 યોજનાઓમાં 27.09 ટકા પાણી છે, જ્યારે મધ્ય ગુજરાતની 17 યોજનાઓમાં 52.62 ટકા અને ઉત્તર ગુજરાતની 15 યોજનાઓમાં 40.87 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ નબળી બની છે. અહીંની 13 યોજનાઓમાં હાલ 34.79 ટકા પાણી છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 41.77 ટકા પાણી ઉપલબ્ધ હતું.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની માંગ વધી

ગયા વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી અને ભૂગર્ભ જળસ્તર પણ સુધર્યું હતું. જોકે આ વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પાણીની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત લિંક-2, લિંક-3 અને લિંક-4 મારફત નર્મદાનું પાણી છોડીને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સૂચના આપી છે. જરૂર પડ્યે સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કયા જિલ્લામાં કેટલી સ્થિતિ?

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે.

  • રાજકોટના જળાશયોમાં સરેરાશ 24 ટકા પાણી
  • મોરબીના જળાશયોમાં 23 ટકા પાણી
  • જામનગરના જળાશયોમાં 12 ટકા પાણી
  • સુરેન્દ્રનગરના જળાશયોમાં 28 ટકા પાણી
  • દ્વારકાના જળાશયોમાં માત્ર 2.85 ટકા પાણી

ખાસ કરીને દ્વારકાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક માનવામાં આવી રહી છે, જ્યાં ડેમોમાં પાણીનો જથ્થો લગભગ ખાલી થવાની કગાર પર પહોંચી ગયો છે.

આગામી વરસાદ પર રાજ્યની નજર

રાજ્યમાં પાણીની સ્થિતિ હવે આગામી દિવસોમાં પડનારા વરસાદ પર નિર્ભર બની ગઈ છે. જો આગામી અઠવાડિયાઓમાં સારો વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પડકાર ઉભો થઈ શકે છે.

જળાશયોના ઘટતા જળસંગ્રહે રાજ્યના જળ વ્યવસ્થાપન અને વરસાદી પરિસ્થિતિ અંગે નવી ચિંતા ઊભી કરી છે. સરકાર અને સ્થાનિક તંત્ર આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે સારો વરસાદ જ હાલની સ્થિતિમાં સૌથી મોટો રાહતનો સ્ત્રોત બની શકે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video