ગુજરાતમાં બાળકોમાં થતા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળ દર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સંપૂર્ણ સારવાર આપવામાં આવશે.
ડૉ. સ્મિતા જોશી 2018થી ગુજરાત અને સમગ્ર દેશમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે કાર્યરત છે. આ બીમારી માટે ભારતની વિધાનસભામાં બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે. ડૉ. સ્મિતા જોશી દ્વારા રાજ્ય સરકારને આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે પણ ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ડાયાબિટીસ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી છે.
રાજ્યની તમામ જિલ્લા-સિવિલ હોસ્પિટલોમાં સુવિધા
પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ જિલ્લા અને સિવિલ હોસ્પિટલોમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા તમામ બાળકોની નોંધણી તથા માસિક ફોલો-અપ RBSK પોર્ટલ મારફતે કરવામાં આવશે, જેથી તેમને સતત અને યોગ્ય સારવાર મળી રહે.
ટાઇપ-1 ડાયાબિટીસ: લાઈફસ્ટાઈલ નહીં, ઓટો ઇમ્યુન રોગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ટાઇપ-1 ડાયાબિટીસ લાઈફસ્ટાઈલ સંબંધિત નથી, પરંતુ ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ બીમારીમાં શરીરનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, જેના કારણે દર્દીને જીવનભર ઇન્સ્યુલિન લેવું જરૂરી બને છે. રાજ્ય સરકાર એવા બાળકોને શોધી યોગ્ય સમયે સારવાર આપવાની ખાસ યોજના લાવી રહી છે.
આરોગ્ય સુરક્ષા મજબૂત, યોગથી આયુષ્માન ભારત સુધી
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે યોગથી લઈને આયુષ્માન ભારત સુધીની યોજનાઓના કારણે રાજ્યની આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે. ગુજરાતમાં 10 લાખ રૂપિયાની નિઃશુલ્ક આરોગ્ય યોજનાથી ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર શક્ય બન્યું છે. 70 વર્ષથી ઉપરના નાગરિકો માટે આરોગ્ય કવર સુલભ બન્યું છે.
2.18 લાખ બાળકોને ગંભીર રોગ માટે નિઃશુલ્ક સારવાર
રાજ્યના શાળા આરોગ્ય અભિયાન હેઠળ અત્યાર સુધી 1 કરોડ 89 લાખ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 2.18 લાખ બાળકોને ગંભીર રોગ માટે નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં દર્દીઓના સગાઓને ભોજન પીરસ્યું
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ‘કુસુમબા અન્નક્ષેત્ર’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને પોતાના હાથે ભોજન પીરસ્યું. આ અન્નક્ષેત્રમાં એકસાથે લગભગ 200 લોકો બેસીને ભોજન લઈ શકે છે. વર્ષ 2022થી કાર્યરત આ સેવા દર્દીઓના સ્વજનો માટે આશીર્વાદરૂપ બની રહી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this