અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બનેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ હવે એક મોટો વિવાદ સામે આવ્યો છે. લંડનના જાણીતા અખબાર ધ ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટ મુજબ એર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વધારાના વળતર બદલ કેસ કરવાનો અધિકાર છોડવાની ઓફર કરી છે.
રિપોર્ટ અનુસાર એરલાઇન પરિવારોને અંતિમ સમજૂતી રૂપે ₹10 લાખ વધારાની રકમ આપવાની ઓફર કરી રહી છે, જ્યારે કેટલાક કેસોમાં આ રકમ ₹20 લાખ સુધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ રકમ સ્વીકારવા માટે પરિવારજનોને એ શરત માનવી પડશે કે તેઓ ભવિષ્યમાં આ દુર્ઘટના અંગે કોઈ કોર્ટ કે દેશમાં કેસ નહીં કરે અને કંપનીને તમામ કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરશે.
લીગલ ટીમે ઓફરનો કર્યો કડક વિરોધ
આ પ્રસ્તાવનો લગભગ 130 પીડિત પરિવારોની લીગલ ટીમે વિરોધ કર્યો છે. વકીલોનું કહેવું છે કે હજુ સુધી દુર્ઘટનાની તપાસ પૂર્ણ થઈ નથી અને જવાબદારી નક્કી થઈ નથી. આવી સ્થિતિમાં પરિવારોને કેસ કરવાનો અધિકાર છોડવા કહેવું અયોગ્ય છે. કેટલાક ઘાયલ લોકોની સારવાર હજુ ચાલુ હોવાથી તેમને સંપૂર્ણ ન્યાય મળવો જરૂરી છે.
બીજી તરફ એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની દરેક પ્રભાવિત પરિવારને સહાય કરવા પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું કે પ્રારંભિક વચગાળાના વળતર પછી આપવામાં આવતી અંતિમ રકમ કાયદા અને નિયમો મુજબ યોગ્ય રીતે નક્કી કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ માગ્યો
આ સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 11 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિમાન દુર્ઘટનાની તપાસના પ્રોસિજરલ પ્રોટોકોલ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. સરકારે કોર્ટને માહિતી આપી હતી કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) દ્વારા તપાસ અંતિમ તબક્કામાં છે.
સેફ્ટી મેટર્સ નામની NGO તરફથી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે આટલી ગંભીર દુર્ઘટનામાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરી થવી જોઈએ. જોકે કોર્ટએ કહ્યું કે પહેલા AAIBનો રિપોર્ટ આવે ત્યાર બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
270 લોકોના મોત, માત્ર એક મુસાફર બચ્યો
આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેક-ઓફના થોડા જ સમય પછી વિમાન એક મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા હતા, જેમાં મુસાફરો, ક્રૂ સભ્યો અને જમીન પર હાજર લોકોનો સમાવેશ થાય છે. માત્ર એક મુસાફર આ ભયાનક અકસ્માતમાંથી જીવતો બચ્યો હતો.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર વિમાન બપોરે 1:39 વાગ્યે રનવે પરથી ઉડ્યું હતું. ઉડાન ભર્યા બાદ પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલને ‘મેડે કોલ’ મોકલ્યો હતો, પરંતુ ત્યાર બાદ સંપર્ક તૂટી ગયો હતો.
દુર્ઘટના બાદ વળતર અને જવાબદારી પર વધતા પ્રશ્નો
આ ઘટનાએ દેશ અને વિશ્વમાં ભારે ચિંતા ઉભી કરી છે. હવે પીડિત પરિવારોને સમજૂતી માટે પૈસાની ઓફર કરવાના દાવા સામે આવ્યા બાદ એર ઇન્ડિયા પર વધુ પ્રશ્નો ઊભા થયા છે. તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ અને જવાબદારી સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ મામલો કાનૂની અને જાહેર ચર્ચાનો કેન્દ્ર બની રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this