રાજકોટ: બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલાં જ શહેરમાં વિવાદ ગરમાયો છે. એક તરફ આજે 5 જૂનથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ત્રણ દિવસીય કથા, સત્સંગ અને દિવ્ય દરબારનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ પોલીસ સમક્ષ રજૂઆત કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના કથિત ‘દિવ્ય દરબાર’ પર સવાલો ઉઠાવ્યા છે.
પીપળીયાએ પીપળીયા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ અરજીઓ આપી છે. પ્રથમ અરજીમાં તેમણે દિવ્ય દરબાર બંધ કરવાની માંગ કરી છે, જ્યારે બીજી અરજીમાં ચમત્કારોના દાવાઓનો પર્દાફાશ કરવા આવનારા લોકો માટે પણ પોલીસ સુરક્ષા આપવા માંગણી કરી છે.
‘કથા સામે વાંધો નથી, દિવ્ય દરબારનો વિરોધ છે’
પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની અરજીઓ અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને હનુમાન કથા કે ધાર્મિક કાર્યક્રમ સામે કોઈ વાંધો નથી.
તેમણે કહ્યું, “કથા ચોક્કસ ચાલુ રહેવી જોઈએ, પરંતુ કથાના નામે યોજાતા કથિત દિવ્ય દરબારનો અમે વિરોધ કરીએ છીએ. જો ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તો તેમના દાવાઓને પડકારવા જનાર લોકોને પણ સમાન સુરક્ષા મળવી જોઈએ.”
પીપળીયાના જણાવ્યા મુજબ, તેમને દરબારમાં આવવા માટે માત્ર મીડિયા મારફતે આમંત્રણ મળ્યું છે અને તેથી તેઓ સામાન્ય નાગરિક તરીકે કાર્યક્રમમાં હાજર રહેશે.
રાજકોટમાં ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ
Dhirendra Krishna Shastriના કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં કથા, સત્સંગ અને દિવ્ય દરબાર સહિતના કાર્યક્રમો યોજાશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, સનાતન સંસ્કારોનું જતન, હનુમાન ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો પ્રસાર કરવાનો છે.
સોશિયલ મીડિયા પર પણ થયો હતો વિરોધ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને ચર્ચા અને વિવાદ બંને જોવા મળ્યા હતા. કેટલાક વિરોધીઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપો લગાવી ખુલ્લી ચેલેન્જ આપી હતી.
આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેરમાં કહ્યું હતું કે જે કોઈને શંકા કે વિરોધ હોય તેઓ ખુલ્લા મનથી તેમના દરબારમાં આવી શકે છે. તેમણે તમામ પડકારો સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
એરપોર્ટથી કથા સ્થળ સુધી માત્ર EV વાહનોનો ઉપયોગ
કાર્યક્રમના આયોજકોએ પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન કર્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના એરપોર્ટથી લઈને કથા સ્થળ સુધીના સમગ્ર સ્વાગત કાફલામાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ઉપયોગ કરવામાં આવશે.
ભક્તોને પણ શક્ય હોય ત્યાં સુધી શેરિંગ વાહનો અથવા ઇલેક્ટ્રિક વાહનોમાં આવવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરીને ખાસ ઇલેક્ટ્રિક બસ સેવાઓ પણ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘વિજ્ઞાન જાથા’ સાથે જોડાયેલા જયંત પંડ્યા અને પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારના દાવાઓને ખુલ્લો પડકાર આપ્યો હતો.
વિરોધીઓનું કહેવું છે કે આવા દાવાઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. પીપળીયાએ તો વર્ષ 1997ના એક રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવી બતાવવાની ચેલેન્જ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી છે.
બીજી તરફ, ધીરેન્દ્ર શાસ્ત્રી અને કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ પ્રકારનો વિરોધ સનાતન ધર્મના સંગઠનાત્મક અને ધાર્મિક કાર્યક્રમોને નિશાન બનાવવાનો પ્રયાસ છે.
હવે રાજકોટમાં શરૂ થયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ અને સમર્થકો વચ્ચેની ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this