અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે સોમવારથી ફરી રાજદ્વારી વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ચર્ચા મધ્યસ્થીઓ દ્વારા આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકા જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી કરી શકે છે, પરંતુ તેનો હેતુ યુદ્ધ નહીં, શાંતિપૂર્ણ ઉકેલ છે.
ટ્રમ્પે જણાવ્યું કે, “અમે જ્યારે ઇચ્છીએ ત્યારે કાર્યવાહી કરી શકીએ છીએ, પરંતુ હું લોકોને મારવા માંગતો નથી. જો સમજૂતી થશે તો અનેક લોકોના જીવ બચી શકશે. હવે જોવાનું એ છે કે વાટાઘાટોનું પરિણામ શું આવે છે.”
રાજદ્વારી પ્રયાસો બાદ હુમલો ટાળ્યો
ટ્રમ્પના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયા, કતર, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઈરાન સાથે થયેલા રાજદ્વારી સંપર્કો બાદ અમેરિકાએ ઈરાન પર પ્રસ્તાવિત મોટો હુમલો હાલ પૂરતો ટાળી દીધો છે. ચર્ચામાં હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ વાતચીત થવાની શક્યતા છે. જોકે ઈરાને ટ્રમ્પના દાવાઓને નકારી કાઢતાં કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક સમજૂતી થઈ નથી.
ઈરાનની ચેતવણી- હુમલો થયો તો અમેરિકી ઠેકાણા નિશાન બનશે
ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈરાન માત્ર ખાડી વિસ્તાર જ નહીં પરંતુ વિશ્વભરમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવશે. આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે વાતચીત
આ દરમિયાન ટ્રમ્પ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ફોન પર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ તણાવ ઘટાડવા માટે વાતચીત અને યુદ્ધવિરામને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અમેરિકાની મિસાઈલ ડિફેન્સ ક્ષમતા અંગે ચિંતા
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS)ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત સૈન્ય અભિયાનોને કારણે અમેરિકાના પેટ્રિયટ અને THAAD ઇન્ટરસેપ્ટર મિસાઈલોનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે. નિષ્ણાતોના મતે ભવિષ્યમાં અન્ય કોઈ મોટા સંઘર્ષની સ્થિતિ સર્જાય તો અમેરિકા માટે આ પડકારરૂપ બની શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ પર વિચાર
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર રહેવું યોગ્ય નથી. તેમણે વૈકલ્પિક દરિયાઈ માર્ગો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રક્રિયા સરળ નહીં હોય.
તેલના ભાવમાં ઘટાડો
ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત હુમલો ટાળવાની જાહેરાત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી છે.
વાટાઘાટો પર વિશ્વની નજર
અમેરિકા અને ઈરાન વચ્ચે આજથી શરૂ થનારી નવી વાટાઘાટો પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી થાય તો હોર્મુઝ સ્ટ્રેટ, પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર લાંબા સમયથી ચાલતા તણાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે બંને પક્ષોના વિરોધાભાસી નિવેદનોને કારણે આ ચર્ચાઓનું પરિણામ શું આવશે તે અંગે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this