10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM) ના એક નવા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ થયો છે. આ મોડ્યૂલમાં એવા ડોકટરો, પ્રોફેસરો અને મહિલા સભ્યોનો સમાવેશ થતો હતો જેઓ પાકિસ્તાની હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્ક તબીબી વ્યાવસાયિકો અને શૈક્ષણિક સંસ્થાઓના આડમાં કાર્યરત હતું, અને તે હરિયાણાના ફરીદાબાદ, જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને ઉત્તર પ્રદેશના સહારનપુર સહિત અનેક વિસ્તારો સાથે જોડાયેલું હતું. વિસ્ફોટના 37 દિવસ પહેલા 4 ઓક્ટોબરના રોજ સહારનપુરમાં એક લગ્નમાં તેનું પ્લાનિંગ થયું હતું. ત્યારબાદ નેટવર્કે સૈનિકોને ધમકી આપતા પોસ્ટરો વહેંચવાનું, શસ્ત્રો, વિસ્ફોટકો એકઠા કરવાનું અને ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું.
19 ઓક્ટોબરના રોજ કાશ્મીરમાં જૈશના પોસ્ટર દેખાયા ત્યારે સુરક્ષા એજન્સીઓને મોડ્યૂલના સક્રિય થવાનો સંકેત મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે નેટવર્કની સૌથી મહત્ત્વપૂર્ણ મહિલા સભ્ય ડૉ. શાહીન સઈદ હતી, જે જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સાથે સંકળાયેલી હતી.
દિલ્લી બ્લાસ્ટ મામલામાં મોટો ખુલાસો: 4 ઓક્ટોબરે સક્રિય થયું આતંકી મોડ્યૂલ
દિલ્લી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન એજન્સીઓએ ચોંકાવનાર માહિતી હાથે મેળવી છે. જાણવા મળ્યું છે કે આતંકી નેટવર્કનો આ મોડ્યૂલ 4 ઓક્ટોબરના રોજ સક્રિય થયો હતો, એ દિવસે જ ડૉ. આદિલે સહારનપુરમાં ડૉ. રુકૈયા સાથે લગ્ન કર્યા હતા.
માહિતી મુજબ, આ લગ્ન સમારંભમાં કેટલાક “ખાસ મહેમાનો“ પણ હાજર રહ્યા હતા, જેમની ઓળખ હાલ એજન્સીઓ કરી રહી છે.
લગ્નના બીજા જ દિવસે આ મોડ્યૂલે પોતાનું કામ શરૂ કર્યું હતું. નેટવર્કનો મુખ્ય હેતુ હતો — લશ્કરને ધમકી આપતા પોસ્ટર લગાવવાના, હથિયારોની સપ્લાય કરવી અને ફંડની વ્યવસ્થા કરવી.
ડૉ. આદિલ આ સમગ્ર નેટવર્કમાં લોજિસ્ટિક અને ફાઇનાન્શિયલ ચેનલ સંભાળતો હતો. એજન્સીઓના જણાવ્યા મુજબ, આતંકી ગૃપની યોજના એવી હતી કે મેડિકલ પ્રોફેશનની આડમાં ફંડિંગ અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક તૈયાર કરવું.
દિલ્લી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: પોસ્ટર કાંડથી ખુલ્યો આતંકી મોડ્યૂલનો પર્દાફાશ
દિલ્લી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન એજન્સીઓને આ આતંકી નેટવર્ક સુધી પહોંચવામાં પહેલી કડી પોસ્ટર કાંડ દ્વારા મળી હતી.
19 ઓક્ટોબરે, કાશ્મીરના નૌગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટરો દેખાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ, 27 ઓક્ટોબરે ફરીથી 25થી વધુ પોસ્ટરો લગાવવામાં આવ્યા, જેના પછી તપાસની દિશા વધુ ગંભીર બની.
પોલીસે 50 અધિકારીઓની ખાસ ટીમ બનાવી, અને 60 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. 31 ઓક્ટોબરે, ફૂટેજમાં ડૉ. આદિલ તે વિસ્તારોમાં ફરતો જોવા મળ્યો, જ્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
ફોન સર્વેલન્સ દરમિયાન જાણવા મળ્યું કે ડૉ. આદિલ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતો. તેનું લોકેશન સહારનપુરમાં ટ્રેસ થયું, અને 6 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી.
ધરપકડ સમયે, પોલીસને તેની પાસેથી એક AK-47 રાઇફલ, ગ્રેનેડ અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન, ડૉ. આદિલે ખુલાસો કર્યો કે ફરીદાબાદમાં ભણાવતા ડૉ. મુઝમ્મિલ પાસે મોટી માત્રામાં વિસ્ફોટકો છે.
તેના આધારે, જમ્મુ અને કાશ્મીર પોલીસ 9 નવેમ્બરે ફરીદાબાદ પહોંચી, અને 10 નવેમ્બરના રોજ ડૉ. મુઝમ્મિલની ધરપકડ કરી.
બે મિત્રો પહેલા ડોક્ટર બન્યા, પછી આતંકવાદી
દિલ્લી બ્લાસ્ટ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. કાશ્મીરના પુલવામા જિલ્લાના કોઇલ ગામના બે મિત્રો – ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર નબી – જેઓ સાથે મેડિકલ અભ્યાસ કરતા હતા, ડોક્ટર બન્યા પછી આતંકવાદના માર્ગે વળી ગયા.
🔹 બંનેનાં ઘરો વચ્ચે ફક્ત 800 મીટરનું અંતર છે. હાલ ડૉ. મુઝમ્મિલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ડૉ. ઉમર નબી વિસ્ફોટમાં મોતને ભેટ્યો છે.
ગામમાં બંને પરિવારો શોક અને આઘાતમાં છે. ઉમરના સાળાએ જણાવ્યું કે, “તેને છેલ્લે શુક્રવારે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ચાર દિવસમાં ઘરે પાછો આવશે.” ગામલોકોએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું – “જે લોકોને લઈને એક સમયે ગર્વ અનુભવતા હતા, એ જ લોકો હવે ગામ માટે શરમનું કારણ બની ગયા છે.”
ડૉ. શાહીન સઈદ: નેટવર્કની સૌથી મહત્વપૂર્ણ કડી
આ આતંકી મોડ્યૂલમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ડૉ. શાહીન સઈદની હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ, તે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સાથે સીધા સંપર્કમાં હતી. શાહીન મહિલા આતંકી સંગઠન ‘જમાત ઉલ મોમિનાત’ સાથે પણ સંકળાયેલી હતી, જે સાદિયાએ તેના પતિ યુસુફ અહેમદના મોત બાદ રચ્યું હતું.
શાહીનને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરવામાં આવી અને શ્રીનગર લઈ જવામાં આવી હતી. શાહીને અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ કાનપુર મેડિકલ કોલેજમાં 7 વર્ષ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. 2021માં તેણે નોકરી છોડી દીધી અને ગાયબ થઈ ગઈ. તે પછી તે ડૉ. મુઝમ્મિલના સંપર્કમાં આવી, અને પાકિસ્તાની હેન્ડલરના માર્ગદર્શન હેઠળ મહિલાઓને કટ્ટરપંથી બનાવવાનું શરૂ કર્યું.
ડૉ. શાહીનનો ભાઈ, ડૉ. પરવેઝ અંસારી, જે ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતો, તેની પણ ધરપકડ કરી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this