કેન્દ્ર સરકારે તમામ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સને અશ્લીલ અને ગેરકાયદેસર કન્ટેન્ટ બાબતે કડક ચેતવણી આપી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરાયું છે કે જો કંપનીઓ આવા કન્ટેન્ટ પર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો તેમની સામે કાનૂની પગલાં લેવામાં આવશે.
સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ અશ્લીલ, અભદ્ર, પોર્નોગ્રાફિક, બાળકોના જાતીય શોષણ સંબંધિત તેમજ અન્ય ગેરકાયદેસર કન્ટેન્ટને તરત જ ઓળખીને દૂર કરવું ફરજિયાત છે. આ એડવાઈઝરી સોમવારે જાહેર કરવામાં આવી હતી, જેનો અહેવાલ PTI ન્યૂઝ એજન્સીએ મંગળવારે આપ્યો છે.
એડવાઈઝરીમાં ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સને IT એક્ટ અને IT નિયમો, 2021 હેઠળના તેમના કમ્પ્લાયન્સ ફ્રેમવર્કની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરીઓ કાયદેસર રીતે ‘યોગ્ય સાવચેતી’ રાખવા બંધાયેલા છે, જેથી તેમને ત્રીજા પક્ષ દ્વારા અપલોડ થતી સામગ્રીની જવાબદારીમાંથી મુક્તિ મળી શકે.
મંત્રાલયે વધુમાં કહ્યું કે ઘણી વખત ઇન્ટરમીડિયરીઓ દ્વારા સામગ્રીને ઓળખવા, તેની જાણ કરવા અને દૂર કરવા મામલે જરૂરી સાતત્ય જોવા મળતું નથી, ખાસ કરીને જ્યારે વાત અશ્લીલ અથવા ગેરકાયદેસર કન્ટેન્ટની હોય.
એડવાઈઝરીની મુખ્ય બાબતો મુજબ:
- IT એક્ટ અને IT નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી થશે
- પ્લેટફોર્મ્સ તેમજ યુઝર્સ સામે IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય ફોજદારી કાયદાઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે
- યુઝર્સ કોઈપણ અશ્લીલ, પોર્નોગ્રાફિક, બાળકો માટે હાનિકારક અથવા ગેરકાયદેસર સામગ્રી અપલોડ કે શેર ન કરે તે સુનિશ્ચિત કરવાનું પ્લેટફોર્મ્સનું કર્તવ્ય છે
સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ગેરકાયદેસર અને અશ્લીલ કન્ટેન્ટને કોઈ પણ રીતે બરદાશ્ત કરવામાં આવશે નહીં.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this