પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક *‘Four Stars of Destiny’*ને લઈને દેશની રાજનીતિ ગરમાઈ છે. પબ્લિશિંગ કંપની પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે પુસ્તક હજી સુધી પ્રકાશિત થયું નથી અને તેની તમામ પબ્લિશિંગ હકો કંપની પાસે જ છે. કંપની મુજબ અત્યાર સુધી ન તો કોઈ છપાયેલી નકલ બહાર આવી છે અને ન તો કોઈ સત્તાવાર ડિજિટલ વર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
અનઅધિકૃત લીકનો દાવો, દિલ્હી પોલીસમાં FIR
પેંગ્વિનની આ સ્પષ્ટતા એ સમયે આવી છે જ્યારે પુસ્તકની પ્રી-પ્રિન્ટ કોપી લીક થઈ હોવાના દાવા સોશિયલ મીડિયા અને કેટલાક ઓનલાઈન ફોરમ પર થયા હતા. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જ શીર્ષકવાળી ટાઈપસેટ PDF કેટલીક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ હતી. કેટલાક ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મ્સ પર પુસ્તકનું કવર એવી રીતે દર્શાવવામાં આવ્યું હતું કે જાણે એ વેચાણ માટે તૈયાર હોય.
પોલીસના જણાવ્યા અનુસાર, પુસ્તકના પ્રકાશન માટે સંરક્ષણ મંત્રાલયની જરૂરી મંજૂરી હજી મળી નથી. સ્પેશિયલ સેલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે કે અપ્રકાશિત સામગ્રી કેવી રીતે જાહેર થઈ અને કોણ તેના માટે જવાબદાર છે.
સંસદમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ, હોબાળો અને સસ્પેન્શન
લોકસભામાં 2-3 ફેબ્રુઆરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મેગેઝિનમાં છપાયેલા લેખનો ઉલ્લેખ કરી દાવો કર્યો કે તેમાં નરવણેના પુસ્તકના અંશો સામેલ છે. તેઓ એ અંશો વાંચવા માગતા હતા, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી આપી નહોતી. પરિણામે લોકસભામાં હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવી પડી. હોબાળો કરનારા આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
4 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી પુસ્તકની નકલ લઈને સંસદ પહોંચ્યા અને કહ્યું કે જો પીએમ હાજર રહેશે તો તેઓ તેમને આ પુસ્તક આપશે. તેમણે એ પાનું બતાવ્યું જેમાં લખ્યું હોવાનું કહેવાય છે કે વડાપ્રધાને આર્મી ચીફને કહ્યું હતું: “જે યોગ્ય લાગે એ કરો.” રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર પુસ્તકના અસ્તિત્વને નકારી રહી છે.
પુસ્તકમાં 2020ની ચીન અથડામણ અને અગ્નિવીર યોજના
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પુસ્તકના અંશો હોવાનું કહીને કેટલાક પાનાં શેર કર્યા. તેમાં 31 ઓગસ્ટ 2020ના રોજ લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિનો વિગતવાર ઉલ્લેખ હોવાનું દાવો કરવામાં આવ્યો છે.
દાવા મુજબ, તે રાત્રે ચીની ટેન્કો રેચિન લા તરફ આગળ વધી રહી હતી. નોર્ધર્ન કમાન્ડના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા જણાવી સેનાપ્રમુખ નરવણેને માહિતગાર કર્યા. ચેતવણીરૂપે રોશનીવાળો ગોળો છોડાયો હોવા છતાં ટેન્કો આગળ વધતી રહી. બાદમાં રક્ષામંત્રી, NSA, CDS અને વિદેશમંત્રી સાથે ચર્ચા થઈ. અંતે રક્ષામંત્રી દ્વારા જાણ કરવામાં આવી કે વડાપ્રધાન સાથે વાત થઈ છે અને નિર્દેશ હતો—“જે યોગ્ય લાગે એ કરો.”
આ પુસ્તકમાં 2020ની ચીન અથડામણોની સાથે અગ્નિવીર યોજનાની સમીક્ષા પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
પ્રકાશન માટે મંજૂરી બાકી
જનરલ નરવણે 2019થી 2022 સુધી સેનાપ્રમુખ રહ્યા હતા. ગયા વર્ષે કસૌલી ખાતે ખુશવંત સિંહ લિટરેચર ફેસ્ટિવલમાં તેમણે જણાવ્યું હતું કે પુસ્તક પેંગ્વિનને સોંપવામાં આવ્યું છે અને પ્રકાશન માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મંજૂરી મળ્યાની માહિતી નથી.
રાજકીય તાપમાન ઉંચું
પુસ્તક હજી સત્તાવાર રીતે પ્રકાશિત ન થયું હોવા છતાં તેના અંશો લીક થયા હોવાના દાવાએ રાજકીય તાપમાન વધાર્યું છે. એક તરફ પબ્લિશર પુસ્તક અપ્રકાશિત હોવાનું કહી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે પોલીસ તપાસ શું બહાર લાવે છે અને પુસ્તક ક્યારે સત્તાવાર રીતે પ્રકાશિત થાય છે તે પર સૌની નજર છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this