વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે “પરીક્ષા પે ચર્ચા 2026”ના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે ખુલ્લી અને પ્રેરણાદાયક ચર્ચા કરી. આ સંવાદમાં ગુજરાત, તામિલનાડુ, છત્તીસગઢ અને આસામના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન PM મોદીએ અભ્યાસ, ટેક્નોલોજી, સ્વાસ્થ્ય, શિસ્ત, લીડરશિપ અને જીવનના મૂલ્યો અંગે બાળકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આપણે ટેક્નોલોજીના ગુલામ બનવાનું નથી. ટેક્નોલોજી આપણો માલિક નહીં બને, આપણે તેના માલિક બનીશું.” તેમણે કહ્યું કે ઘણા બાળકો માટે મોબાઇલ ફોન જ માલિક બની જાય છે, મોબાઇલ વગર તેઓ ખાવાનું પણ ખાતા નથી. ટેક્નોલોજીનો ઉપયોગ ક્ષમતાઓ વધારવા માટે કરો, તેના પર નિર્ભર ન બની જાવ.
સ્ટાર્ટઅપ અને આત્મવિશ્વાસનો સંદેશ
બાળકોને પ્રોત્સાહિત કરતાં PM મોદીએ કહ્યું કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ઉંમર 25 વર્ષની હોવી જરૂરી નથી. “જો તમને ટેક્નોલોજીમાં હોશિયાર ચાર લોકો મળે, તો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કરો,” એમ તેમણે કહ્યું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે, “તમે જે કંઈ ભણ્યા છો, તે ક્યારેય વ્યર્થ નથી જતું.”
ભણતર સાથે લેખનની ટેવ
PM મોદીએ વિદ્યાર્થીઓને વાંચવાની સાથે લેખનનો અભ્યાસ કરવાની સલાહ આપી. વેકેશન વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પહેલા પોતાના જિલ્લામાં અને પછી સમગ્ર દેશમાં જોવા જેવી જગ્યાઓની યાદી બનાવો અને જ્યાં પણ ફરો ત્યાં વિદ્યાર્થીની દૃષ્ટિથી શીખો.
તણાવ, પરીક્ષા અને પરિવારનું દબાણ
એક વિદ્યાર્થીએ પહેલગામ હુમલા પછી દેશની પરિસ્થિતિ અંગે પૂછેલા સવાલ પર PM મોદીએ કહ્યું કે પ્રેક્ટિસ તણાવને દૂર કરે છે અને સફળતા સુનિશ્ચિત કરે છે. પરિવારના ભણતર માટેના દબાણ અંગે તેમણે સલાહ આપી કે, “ક્યારેય ઓછા પર સેટલ ન કરો, તમારી જાત સાથે સ્પર્ધા કરો અને આત્મવિશ્વાસ રાખો.”
2047માં વિકસિત ભારતનું સ્વપ્ન
PM મોદીએ કહ્યું કે ભારત 2047માં વિકસિત દેશ બનશે અને તેમાં દરેક નાગરિકનો ફાળો જરૂરી છે. સ્વચ્છતા, શિસ્ત અને જવાબદારીને વિકસિત ભારતના પાયા તરીકે તેમણે ગણાવ્યા.
AI અને ટેક્નોલોજી પર દૃષ્ટિકોણ
AI વિશે બોલતાં PM મોદીએ કહ્યું કે નવી ટેક્નોલોજીથી ડરવું નહીં, પરંતુ તેના ગુલામ પણ ન બનવું. AI પાસેથી માહિતી લેવો યોગ્ય છે, પરંતુ દરેક નિર્ણય તેને સોંપવો યોગ્ય નથી.
મેડ ઇન ઇન્ડિયા અને શિસ્ત
PM મોદીએ બાળકોને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અપનાવવાની અપીલ કરી અને જીવનમાં શિસ્તને અનિવાર્ય ગણાવી. “શિસ્ત સાથે પ્રેરણા હોય તો તે સોનામાં સુગંધ સમાન છે,” એમ તેમણે જણાવ્યું.
સ્વાસ્થ્ય અને આહાર પર ભાર
PM મોદીએ કહ્યું કે આપણે શરીરને લાસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ, જે ખોટું છે. “પેટ ભરીને નહીં, મન ભરીને જમો અને શરીરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો,” એમ તેમણે સલાહ આપી.
મિત્રતા, લીડરશિપ અને મૂલ્યો
ભણવામાં નબળા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કરવા અંગે તેમણે કહ્યું કે તેમને ભણાવવાથી પોતાનું જ ભણતર મજબૂત બને છે. લીડરશિપ અંગે તેમણે સમજાવ્યું કે નેતા બનવા માટે પહેલા લોકોને સમજવું જરૂરી છે.
‘પરીક્ષા પે ચર્ચા’નું મહત્વ
2018થી શરૂ થયેલું ‘પરીક્ષા પે ચર્ચા’ આજે એક જન આંદોલન બની ગયું છે. 2025ની 8મી આવૃત્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં કરોડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાયા હતા.
PM મોદીએ અંતમાં કહ્યું કે પેશન અને અભ્યાસ બંનેનું સંતુલન જ સફળતાની ચાવી છે. “શાંત મનથી પરીક્ષા આપો, તમે જે ભણ્યા છો તે ક્યાંય ગયું નથી,” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આપ્યો.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this