બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નહીં આવે. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે પોતાની ટીમના તમામ મેચ શ્રીલંકામાં યોજવાની માંગ પણ કરી છે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના આદેશ પર બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવામાં આવ્યા બાદ ઊભો થયેલો વિવાદ માનવામાં આવી રહ્યો છે.
BCBએ જણાવ્યું છે કે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે આ સંદર્ભમાં ICCને સત્તાવાર ઇમેઇલ મોકલી પોતાની માંગ રજૂ કરી છે. હવે ICCએ નક્કી કરવાનું રહેશે કે બાંગ્લાદેશના મેચ શ્રીલંકામાં ખસેડવામાં આવશે કે નહીં.
બાંગ્લાદેશની યુનુસ સરકારમાં રમતગમત સલાહકાર (મંત્રી) આસિફ નઝરુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને BCBના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બોર્ડે યોગ્ય નિર્ણય લીધો છે.
શેડ્યૂલ બદલવો ICC માટે મુશ્કેલ
T-20 વર્લ્ડ કપ 2026નું આયોજન 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં થવાનું છે. તમામ ટીમોની ફ્લાઇટ, હોટેલ અને અન્ય વ્યવસ્થાઓ અગાઉથી બુક થઈ ચૂકેલી હોવાથી શેડ્યૂલમાં ફેરફાર કરવો ICC માટે મોટો પડકાર બની શકે છે.
બાંગ્લાદેશના ગ્રુપ સ્ટેજના તમામ ચાર મેચ ભારતમાં જ શેડ્યૂલ છે. તેમાં ત્રણ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં અને એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની છે. હવે જો બાંગ્લાદેશની માંગ સ્વીકારવામાં આવે તો આ મેચો શ્રીલંકામાં ખસેડવી પડશે.
BCBનું સત્તાવાર નિવેદન
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સરકાર સાથે પરામર્શ કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે અમારી ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. અમે ICCને વિનંતી કરી છે કે અમારા તમામ મેચ શ્રીલંકામાં યોજવામાં આવે.”

મુસ્તફિઝુર વિવાદથી વધ્યો તણાવ
ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીના રોજ IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દીધા હતા. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા વચ્ચે તેમને ટીમમાંથી હટાવવાની માંગ ઉઠી હતી. બાદમાં BCCIએ KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ
બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં ચાર હિંદુઓની હત્યા થવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. આ તમામ પરિબળોએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણયને વધુ મજબૂતી આપી છે.
ગ્રુપ સૌથી મુશ્કેલ
T-20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બાંગ્લાદેશ જે ગ્રુપમાં છે તેમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમો સામેલ છે. આ ચારેય ટીમો વર્લ્ડ કપ ફાઇનલ રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હજુ સુધી કોઈ ફાઇનલમાં પહોંચી શક્યા નથી.
T20 વર્લ્ડ કપ 2026 – ગ્રુપ ટેબલ
| ગ્રુપ A | ગ્રુપ B | ગ્રુપ C | ગ્રુપ D |
|---|---|---|---|
| ભારત | ઓસ્ટ્રેલિયા | ઇંગ્લેન્ડ | સાઉથ આફ્રિકા |
| પાકિસ્તાન | શ્રીલંકા | વેસ્ટ ઇન્ડિઝ | ન્યૂઝીલેન્ડ |
| USA | ઝિમ્બાબ્વે | ઇટાલી | અફઘાનિસ્તાન |
| નામીબિયા | આયરલૅન્ડ | બાંગ્લાદેશ | UAE |
| નેધરલેન્ડ્સ | ઓમાન | નેપાળ | કેનેડા |
વર્લ્ડ કપનો શેડ્યૂલ
ગ્રુપ સ્ટેજ 7 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં દરરોજ ત્રણ મેચ રમાશે. 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડ શરૂ થશે. ટૂર્નામેન્ટ દરમિયાન મેચો સવારે 11, બપોરે 3 અને સાંજે 7 વાગ્યે શરૂ થશે.
હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર ICCના નિર્ણય પર છે, જે નક્કી કરશે કે બાંગ્લાદેશની માંગ સ્વીકારવામાં આવશે કે નહીં.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this