‘આતંકવાદ મુદ્દે કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં’: મલેશિયામાં PM મોદીની કડક ટિપ્પણી, ભારત–મલેશિયા સંબંધોને નવી ઊંચાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ રહ્યો. આજે PM મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં સુરક્ષા, આતંકવાદ, વેપાર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન PM મોદીએ આતંકવાદ મુદ્દે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યું.
PM મોદીએ કહ્યું,
“આતંકવાદ અંગે અમારો સંદેશ સ્પષ્ટ છે – કોઈ બેવડા ધોરણો નહીં, કોઈ બાંધછોડ નહીં. ભારત અને મલેશિયા આતંકવાદ વિરુદ્ધ મળીને મજબૂતીથી કામ કરશે.”
તમિલ ભાષાએ ભારત–મલેશિયાને જોડ્યા
પ્રેસ બ્રીફિંગ દરમિયાન PM મોદીએ તમિલ ભાષા અને સંસ્કૃતિના મહત્વ પર પણ વિશેષ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે તમિલ ભાષા પ્રત્યેનો સહિયારો પ્રેમ ભારત અને મલેશિયાને મજબૂત રીતે જોડે છે.
મોદીએ જણાવ્યું,
“મલેશિયામાં તમિલ ભાષાની જીવંત ઉપસ્થિતિ શિક્ષણ, મીડિયા અને સાંસ્કૃતિક જીવનમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.”
ઓડિયો-વિઝ્યુઅલ કરારથી સિનેમા અને સંગીતને વેગ
PM મોદીએ આજે થયેલા ઓડિયો-વિઝ્યુઅલ સહયોગ કરારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કરારથી ફિલ્મો અને સંગીત, ખાસ કરીને તમિલ ફિલ્મો, બંને દેશોના લોકોને ભાવનાત્મક રીતે વધુ નજીક લાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કરાર સાંસ્કૃતિક જોડાણને વધુ ગાઢ બનાવશે.
‘મિત્રને આપેલું વચન પાળવા આવ્યો છું’
મલેશિયાના PM અનવર ઈબ્રાહિમને પોતાનો મિત્ર ગણાવતા PM મોદીએ જણાવ્યું કે ગયા વર્ષે ASEAN શિખર સંમેલન સમયે મલેશિયા આવી શક્યા ન હતા, પરંતુ તેમણે અનવરને વચન આપ્યું હતું કે તેઓ વહેલી તકે મલેશિયાની મુલાકાત લેશે.
મોદીએ કહ્યું,
“2026ની મારી વિદેશ યાત્રા માટે હું મલેશિયા આવ્યો છું – મિત્રને આપેલું વચન પાળવા.”
CEO ફોરમમાં ભાગ, વેપાર સંબંધો પર ચર્ચા
PM મોદીએ આજે 10મા ભારત–મલેશિયા CEO ફોરમમાં ભાગ લીધો અને મલેશિયાના ચાર અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. તેમણે ભારત અને મલેશિયા વચ્ચે વધતા B2B સંબંધોની પ્રશંસા કરી અને ભારતની વિકાસ યાત્રા પ્રત્યે મલેશિયન કંપનીઓના રસને આવકાર્યો.
11 મહત્વપૂર્ણ MoU, સહયોગને મળશે વેગ
બન્ને દેશો વચ્ચે આજે MoU સહિત કુલ 11 દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી. તેમાં કૃષિ, મેન્યુફેક્ચરિંગ, સ્વચ્છ ઊર્જા, AI, ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય, ખાદ્ય સુરક્ષા અને સુરક્ષા સહયોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
2025માં ભારત–મલેશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 18.59 અબજ ડોલર સુધી પહોંચ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું.
ભારતીય શ્રમિકો અને પર્યટન પર ફોકસ
PM મોદીએ જણાવ્યું કે મલેશિયામાં ભારતીય શ્રમિકોની સુરક્ષા માટે સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ, મફત ઈ-વિઝા, અને UPI ડિજિટલ ઈન્ટરફેસ જેવી વ્યવસ્થાઓ લોકોના જીવનને સરળ બનાવશે. પર્યટન વધારવા માટે સ્થાનિક ચલણમાં વેપાર અને ડિજિટલ પેમેન્ટ્સ પર પણ સહમતિ થઈ છે.
ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક ઝલક
મલેશિયાના PM અનવર ઈબ્રાહિમે PM મોદી માટે લંચનું આયોજન કર્યું હતું, જેમાં તમિલ ફિલ્મનું પ્રસિદ્ધ ગીત ‘નાલાઈ નમાઠે’ વગાડવામાં આવ્યું. પેરદાના પુત્રા ભવનમાં PM મોદીને રેડ કાર્પેટ સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. પ્રેસ બ્રીફિંગ બાદ બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવી મિત્રતાનો સંદેશ આપ્યો.
બે દિવસીય પ્રવાસ પૂર્ણ
મલેશિયાની બે દિવસીય યાત્રા પૂર્ણ કર્યા બાદ PM મોદી કુઆલાલમ્પુર એરપોર્ટથી ભારત માટે રવાના થયા. આ પ્રવાસને ભારત–મલેશિયા સંબંધોમાં નવો માઈલસ્ટોન ગણાવવામાં આવી રહ્યો છે, જેમાં આતંકવાદ સામે કડક વલણ અને સાંસ્કૃતિક–આર્થિક સહયોગને મજબૂતી મળી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this