ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધના ભણકારા! પાણી માટે તરફડિયા મારતું PAK, LoC પર 35 ડ્રોન યુનિટ તૈનાત
ભારતે સિંધુ નદીનું પાણી રોકવાના પગલાં બાદ પાકિસ્તાન પર દબાણ સતત વધી રહ્યું છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારતે શરૂ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ અને ત્યારબાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ ખાસ રાહત ન મળતાં હવે પાકિસ્તાન તરફથી ફરી યુદ્ધના સંકેતો જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર એલઓસી (LoC) પર સૈન્ય ગતિવિધિઓ તેજ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાની 8 બ્રિગેડ દ્વારા એલઓસી પર 35 એન્ટી-ડ્રોન યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેન્સિંગ સિસ્ટમ પણ ઉભી કરવામાં આવી છે, જેના માધ્યમથી ટાર્ગેટિંગ અને સર્વેલન્સ ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અફઘાન સરહદેથી સૈનિકોને LoC પર ખસેડ્યા
માહિતી મુજબ પાકિસ્તાને તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વોરફેર અને કાઉન્ટર-ડ્રોન ગ્રીડ તૈયાર કર્યું છે. ઉપરાંત, અફઘાનિસ્તાન સાથેની સરહદ પરથી પાંચ બટાલિયનને હટાવીને રાવલાકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે આ વિસ્તારોમાંથી અગાઉ પણ ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાં આવતી રહી છે.
ચીન તરફથી અદ્યતન ફાઇટર જેટની મદદ
ઓપરેશન સિંદૂર પછી ચીને પાકિસ્તાનને 36 મલ્ટી-રોલ J-સીરીઝ ફાઇટર જેટ સપ્લાય કર્યા હોવાનું કહેવાય છે. પેન્ટાગોનના અહેવાલો અનુસાર અમેરિકાના F-35 જેટના ચીની વર્ઝન J-35 પણ વર્ષના અંત સુધીમાં પાકિસ્તાનને મળવાની શક્યતા છે. આ અદ્યતન વિમાનોની ટેસ્ટ ફ્લાઇટ્સ પૂર્ણ થઈ ચૂકી હોવાનું જણાવવામાં આવે છે.
તુર્કીયે બનાવશે ડ્રોન અને સબમરીન
પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા બાદ હવે તુર્કીયેએ કરાચી નજીક સંયુક્ત કોમ્બેટ ડ્રોન એસેમ્બલી પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટમાં દર વર્ષે અંદાજે 700 ડ્રોનનું ઉત્પાદન થશે. પાકિસ્તાને આ ડ્રોનની નિકાસ માટે બાંગ્લાદેશ સાથે પણ સમજૂતી કરી હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત તુર્કીયે પાકિસ્તાન માટે MILGEM ક્લાસ સબમરીનનું નિર્માણ કરી રહ્યું છે, જેની ડિલિવરી વર્ષના અંત સુધીમાં મળી શકે છે.
રક્ષામંત્રી ખ્વાજા આસિફની યુદ્ધની ધમકી
બે દિવસ અગાઉ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવાના મુદ્દે ભારતને ખુલ્લી ધમકી આપી હતી. ARY ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાનની જળ સુરક્ષાને જોખમ લાગશે તો ભારત સામે યુદ્ધનો વિકલ્પ પણ અપનાવવામાં આવી શકે છે.
આસિફે આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાનના હિસ્સાના પાણીના પ્રવાહમાં દખલ કરી રહ્યું છે અને પાણીનો વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં આ મામલે થયેલા તમામ વિકાસની તેમને સંપૂર્ણ માહિતી નથી.
પહેલગામ હુમલા બાદ ભારતનો કડક નિર્ણય
એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારત સરકારે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સંધિ ફરી અમલમાં લાવવામાં નહીં આવે.
શું છે સિંધુ જળ સંધિ?
સિંધુ નદી પ્રણાલીમાં કુલ છ નદીઓ—સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ—નો સમાવેશ થાય છે. આ નદી પ્રણાલીનો વિસ્તાર આશરે 11.2 લાખ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેમાં 47 ટકા વિસ્તાર પાકિસ્તાન, 39 ટકા ભારત, 8 ટકા ચીન અને 6 ટકા અફઘાનિસ્તાનમાં આવે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીનો વિવાદ દેશના ભાગલા પહેલાંથી જ ચાલી રહ્યો હતો. વર્ષ 1960માં વર્લ્ડ બેંકની મધ્યસ્થી હેઠળ કરાચીમાં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી આ સંધિ બંને દેશો વચ્ચે પાણી વહેંચણીનો મુખ્ય આધાર રહી છે.
ભારત દ્વારા સંધિ સ્થગિત કર્યા બાદ હવે પાણીનો મુદ્દો બંને દેશો વચ્ચેના સંબંધોમાં સૌથી મોટો વિવાદ બની રહ્યો છે. LoC પર વધતી સૈન્ય ગતિવિધિઓ અને પાકિસ્તાનના આક્રમક નિવેદનોને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this