વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા અને હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે ભારતની મુલાકાત લીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી, જેમાં બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગ વધારવા અને તેલ સપ્લાય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને વેનેઝુએલા વચ્ચે ટૂંક સમયમાં મોટો તેલ પુરવઠા કરાર થઈ શકે છે.
આ પહેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ જયશંકરે જણાવ્યું હતું કે ભારત-વેનેઝુએલા સંબંધોને મજબૂત બનાવવામાં રોડ્રિગ્ઝે વર્ષોથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશોના સહયોગને વધુ નવી ઊંચાઈએ પહોંચાડશે.
ઊર્જા સુરક્ષા માટે ભારત શોધી રહ્યું છે નવા વિકલ્પો
અમેરિકાએ 4 જાન્યુઆરીએ વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તાથી દૂર કર્યા બાદ ડેલ્સી રોડ્રિગ્ઝ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત હોર્મુઝ સંકટને કારણે ઊર્જા સુરક્ષા અંગે પડકારોનો સામનો કરી રહ્યું છે અને વૈકલ્પિક તેલ સપ્લાયરોની શોધમાં છે.
વેનેઝુએલા બન્યો ભારતનો ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર
એનર્જી ટ્રેકિંગ એજન્સી કેપ્લરના તાજેતરના આંકડા મુજબ, મે 2026 દરમિયાન વેનેઝુએલાએ ભારતને તેલ સપ્લાયના મામલે સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછળ છોડી દીધા છે. હાલમાં માત્ર રશિયા અને UAE જ ભારતને વધુ તેલ સપ્લાય કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, એપ્રિલની સરખામણીએ મે મહિનામાં ભારતને વેનેઝુએલાથી થતો ક્રૂડ ઓઇલ પુરવઠો લગભગ 50 ટકા વધ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા પરના કેટલાક તેલ પ્રતિબંધોમાં છૂટછાટ આપ્યા બાદ એપ્રિલથી ભારતે ફરી વેનેઝુએલાનું તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું.
વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવે છે વેનેઝુએલા
વેનેઝુએલા પાસે અંદાજે 303 અબજ બેરલ તેલનો જથ્થો છે, જે વિશ્વમાં સૌથી મોટો માનવામાં આવે છે. આ ભંડાર સાઉદી અરેબિયા અને અમેરિકા કરતાં પણ વધુ છે. વિશ્લેષકોનું માનવું છે કે ભારત સાથે લાંબા ગાળાનો કરાર થવાથી વેનેઝુએલાના તેલ નિકાસમાં આવેલી તેજી યથાવત રહી શકે છે.
અગાઉ પણ ભારતના મુખ્ય સપ્લાયર્સમાં રહ્યું છે વેનેઝુએલા
વેનેઝુએલા વર્ષો સુધી ભારતના ટોચના તેલ સપ્લાયર્સમાં સામેલ રહ્યું છે. 2012માં તે ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બન્યો હતો અને લાંબા સમય સુધી ટોપ-5માં સ્થાન જાળવી રાખ્યું હતું.
2019 સુધી વેનેઝુએલા દર વર્ષે લગભગ 1.6 કરોડ ટન ક્રૂડ ઓઇલ ભારતને નિકાસ કરતું હતું. તે સમયે બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 6.4 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો, જેમાં તેલ વેપારનો સૌથી મોટો હિસ્સો હતો.
જો કે, અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતે લગભગ એક વર્ષ સુધી વેનેઝુએલાથી તેલની ખરીદી બંધ રાખી હતી. પરિણામે 2024-25 દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ઘટીને માત્ર 67.9 કરોડ ડોલર રહ્યો હતો.
ભારતીય રિફાઇનરીઓ માટે ફાયદાકારક છે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ
વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ભારે અને વધુ સલ્ફર ધરાવતું હોવાથી તેની પ્રક્રિયા કરવી સરળ નથી. પરંતુ ભારતની આધુનિક રિફાઇનરીઓ આ પ્રકારના ક્રૂડને સફળતાપૂર્વક ડીઝલ, જેટ ફ્યુઅલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકે છે.
ઉપરાંત, વેનેઝુએલાનું તેલ તુલનાત્મક રીતે સસ્તું હોવાથી ભારતીય રિફાઇનરીઓ માટે તે આર્થિક રીતે લાભદાયી સાબિત થાય છે. આ કારણસર ભારતીય કંપનીઓ વેનેઝુએલાથી વધુ તેલ આયાત કરવામાં રસ દાખવી રહી છે.
ભારતીય કંપનીઓનું વેનેઝુએલામાં રોકાણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વેનેઝુએલા ભારત માટે એક મહત્વપૂર્ણ ઊર્જા ભાગીદાર છે. તેમણે કહ્યું કે ભારતીય સરકારી તેલ કંપનીઓનું વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ છે અને ભવિષ્યમાં પણ રોકાણ વધારવાની તકો શોધવામાં આવી રહી છે.
છઠ્ઠી વખત ભારત આવ્યા રોડ્રિગ્ઝ
અહેવાલો અનુસાર, ડેલ્સી રોડ્રિગ્ઝ છઠ્ઠી વખત ભારત આવ્યા છે. આ પહેલાં ફેબ્રુઆરી 2025માં તેઓ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ અને તેલ મંત્રી તરીકે ભારત આવ્યા હતા. તે સમયે તેમણે નવી દિલ્હીમાં યોજાયેલા ‘ઇન્ડિયા એનર્જી વીક’માં ભાગ લીધો હતો.
તે મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે તેલ સપ્લાય વધારવા, રિફાઇનિંગ સહયોગ અને ઊર્જા ક્ષેત્રે રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ હતી. હવે તેમની નવી મુલાકાતથી ભારત અને વેનેઝુએલા વચ્ચે ઊર્જા ભાગીદારી વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this