આપણું ગુજરાત પોલિટિક્સ

હકાભા ગઢવી સરકાર સામે ખુલ્લેઆમ બોલ્યા: ‘ખેડૂત ઉકલી જાય એ પહેલાં પ્રશ્ન ઉકેલો’

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ખુલ્લેઆમ ખેડૂતોનું સમર્થન કરીને ચર્ચા જગાવી છે. રવિવારે યોજાયેલા ડાયરામાં મંચ પરથી જ તેમણે સરકારને ખેડૂતોની માગણીઓ ઝડપથી સ્વીકારવાની અપીલ કરી હતી. હવે દિવ્ય ભાસ્કરને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં હકાભાએ ફરી એકવાર તડ ને ફડ અંદાજમાં ખેડૂતોની પડખે ઊભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

હકાભાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સરકારને ન ગમે તો એ સરકારનો વિષય છે, પરંતુ ખેડૂતોને ગમે એ મારા માટે મહત્વનું છે. ખેડૂત ઉકલી જાય એ પહેલાં પ્રશ્ન ઉકલી જાય તો સારું.”

‘મને અંદરથી અવાજ આવ્યો કે ખેડૂતોની સાથે ઊભો રહેવું જોઈએ’

ખેડૂતોના આંદોલનમાં જોડાવા પાછળનું કારણ જણાવતાં હકાભા ગઢવીએ કહ્યું કે ખેડૂતોની મુશ્કેલીઓ જોઈને તેમને અંદરથી અવાજ આવ્યો હતો.

તેમણે કહ્યું, “ખેડૂતો ખૂબ તકલીફમાં હતા. મને લાગ્યું કે જો ચારણ અને ગઢવી જેવી બોલતી જ્ઞાતિઓ ખેડૂતોની મદદે નહીં આવે તો કોણ આવશે? મને અંદરથી અવાજ આવ્યો કે તું પહેલાં પહોંચી જા અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ.”

તેમણે વધુમાં જણાવ્યું કે જો તેમના બોલવાથી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે અને ન્યાય મળે તો એ જ તેમના માટે સૌથી મોટું સંતોષ છે.

‘રાજકારણીઓ મને શું બોલવું એ કહી શકે નહીં’

ડાયરામાં ખેડૂતોના સમર્થનમાં કરેલા નિવેદનો બાદ કોઈ રાજકીય નેતાના ફોન આવ્યા હતા કે નહીં તે અંગે પૂછવામાં આવતા હકાભાએ કહ્યું કે તેમને માત્ર ખેડૂતોના આભારના ફોન આવ્યા હતા.

તેમણે કહ્યું, “હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. એટલે રાજકારણીઓ મને શું બોલવું અને શું ન બોલવું તે કહી શકે નહીં. હું કોઈને ધમકી આપતો નથી, માત્ર વિનંતી કરું છું.”

‘ખેડૂત ભૂખ્યો હોય તો આખો દેશ ભૂખ્યો છે’

હકાભાએ ખેડૂતોના ઉપવાસ આંદોલન અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે દિવસભર તડકામાં મહેનત કરનાર ખેડૂત હવે પોતાના હકો માટે ઉપવાસ કરવા મજબૂર બન્યો છે.

તેમણે કહ્યું, “ખેડૂત ભૂખ્યો બેસે એટલે આખો દેશ ભૂખ્યો બેઠો છે. આજે માત્ર ગુજરાત કે ભારત નહીં, પરંતુ આખું વિશ્વ આ ઘટનાને જોઈ રહ્યું છે.”

‘સરકાર માટે નાનો મુદ્દો, ખેડૂતો માટે જીવનમરણનો પ્રશ્ન’

વીજ થાંભલાના મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચેના વિવાદ અંગે હકાભાએ કહ્યું કે સરકાર કદાચ તેને નાનો મુદ્દો માને છે, પરંતુ ખેડૂતો માટે આ જીવનમરણનો પ્રશ્ન છે.

તેમણે કહ્યું કે નાના ખેડૂતોની જમીનમાં મોટા વીજ થાંભલા ઉભા કરવાથી ખેતીને સીધી અસર પડે છે. જો સરકાર થાંભલા નાખવા માંગે તો યોગ્ય વળતર આપવું જોઈએ.

“ખેડૂતોની સામાન્ય માંગ છે કે થાંભલા નાખો તો વળતર આપો, વળતર ન આપો તો થાંભલા ન નાખો. ખેડૂતો કોઈ અયોગ્ય માંગ કરી રહ્યા નથી,” એમ તેમણે ઉમેર્યું.

‘સરકારને વિનંતી કરું છું, ઝઘડો નથી કરતો’

સરકાર સામે બોલવાથી કાર્યક્રમો મળવાનું બંધ થઈ જશે કે નહીં તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હકાભાએ સ્પષ્ટ કહ્યું કે તેમને કોઈ ડર નથી.

તેમણે કહ્યું, “હું સરકાર સાથે ઝઘડવા ગયો નથી. હું માત્ર વિનંતી કરું છું. સરકારને ન ગમે તો એ તેમનો વિષય છે, પરંતુ ખેડૂતોને ગમે એ મારા માટે મહત્વનું છે.”

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકાર અંતે ખેડૂતોની માંગણીઓ સાંભળશે અને યોગ્ય નિર્ણય લેશે.

‘ખેડૂતોના નામે રાજકારણ કરવું સૌથી મોટો વિશ્વાસઘાત’

હકાભાએ ખેડૂતોના આંદોલનને રાજકીય લાભ માટે વાપરતા નેતાઓની પણ ટીકા કરી હતી.

તેમણે કહ્યું, “વર્ષોથી ખેડૂતોને આગળ કરીને ઘણા લોકોએ પોતાનો રાજકીય લાભ લીધો છે. ખેડૂતોને આસમાને ચઢાવીને પછી તેમને એકલા છોડી દેવામાં આવ્યા છે. હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને પોતાની લડત પોતે લડી રહ્યા છે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂતોના નામે કોઈ રાજકારણ કરવા માગતા નથી અને જીવનભર ખેડૂતોના પ્રશ્નો માટે મફતમાં પણ અવાજ ઉઠાવતા રહેશે.

‘ખેડૂતો માટે બોલીને જીવનમાં પહેલીવાર સારું કામ કર્યું’

ઇન્ટરવ્યૂના અંતે હકાભાએ ભાવુક નિવેદન આપતાં કહ્યું કે ખેડૂતોના મુદ્દે બોલીને તેમને વિશેષ સંતોષ મળ્યો છે.

“મને આમાં ખૂબ મજા આવી કારણ કે હું ઘણું સત્ય બોલી ગયો. જીવનમાં પહેલીવાર સારું કાર્ય કર્યું હોય તો તે ખેડૂતો માટે કર્યું છે. ખેડૂતો ઉપવાસ પર છે. જો કોઈ ખેડૂતને કંઈ થઈ જાય અને પછી ન્યાય મળે તો એથી ખરાબ કંઈ ન હોય.”

તેમણે ખેડૂતોને અહિંસક આંદોલન ચાલુ રાખવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંતે ખેડૂતોને ન્યાય મળશે અને સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેશે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video