નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં કેન્દ્રીય બજેટ પર પોતાની વિગતવાર રજૂઆત કરી. ચર્ચા દરમિયાન TMC સાંસદ અભિષેક બેનર્જીએ GST મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા, જેના જવાબમાં સીતારમણે કડક પ્રતિક્રિયા આપી.
સીતારમણે જણાવ્યું કે અભિષેક બેનર્જીની સ્પીચ સાંભળીને તેમને દુઃખ થયું. “માહિતી તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જન્મથી લઈને મૃત્યુ સુધી લોકો GST ચૂકવે છે. આ વાતો ક્યાંથી આવી રહી છે? દૂધ પર ક્યારે GST લાગ્યો? શિક્ષણ પર ક્યારે GST લાગ્યો?” એમ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો.
આ દરમિયાન પાછળ બેઠેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટિપ્પણી કરી કે “ત્યાં કટ મની લાગે છે,” જેને સીતારમણે પણ દોહરાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર ઇચ્છે તો સ્ટેટ GSTમાં રાહત આપી શકે છે. “તમને પૈસા પણ જોઈએ છે અને કેન્દ્ર સરકારને બદનામ પણ કરવી છે. જો બંગાળમાં લોકોને બોજ ઓછો કરવો હોય તો પેટ્રોલના ભાવ દિલ્હી કરતાં 10 રૂપિયા વધુ કેમ છે? તેને ઓછા કરો,” એમ સીતારમણે કહ્યું.
રાહુલ ગાંધી પર નિશાન
નાણા મંત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર પણ કડક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને બજેટ સંપૂર્ણ રીતે વાંચીને સંસદમાં આવવું જોઈએ. “તેમના આરોપો ખોટા છે. ડેટા અંગે તેમને પૂરતી જાણકારી નથી. તેઓ અહીં આવીને ખોટા આંકડા આપે છે. મોંઘવારી સંપૂર્ણપણે નિયંત્રણમાં છે,” એમ સીતારમણે જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના સભ્યોમાં જવાબ સાંભળવાની ક્ષમતા હોવી જોઈએ. “તેઓ કહે છે કે મોદીએ સરેન્ડર કરી દીધું. પરંતુ હું જણાવું છું કે ભારતને કોણે વેચ્યું? કોંગ્રેસે વેચ્યું. બાલીમાં જઈને સોદા કર્યા, ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ પર સહી કરી, જેમાં ભારતના હિતમાં કંઈ નહોતું. ખેડૂતોના અધિકારો સાથે સમજૂતી કરનાર કોંગ્રેસ છે,” એમ તેમણે આક્ષેપ કર્યો.
સંસદમાં થયેલી આ તીખી શબ્દયુદ્ધ બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને બજેટ મુદ્દે સત્તારૂઢ અને વિપક્ષ વચ્ચે ટકરાવ વધુ તેજ બન્યો છે.
Leave feedback about this