ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કોલકાતામાં યોજાયેલી રેલીમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા. તેમણે 2014થી 2025 દરમિયાન યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા મત અને બેઠકોના આંકડા રજૂ કરીને દાવો કર્યો કે એપ્રિલ 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે.
અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીથી પરેશાન છે, પરંતુ મમતા સરકાર ચૂંટણી લાભ માટે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે ઉમેર્યું કે ભાજપ સત્તામાં આવશે તો ઘૂસણખોરોને ઓળખીને માત્ર રોકશે જ નહીં, પરંતુ તેમને બહાર પણ કાઢશે.
ગૃહમંત્રીએ રાજ્યની અર્થવ્યવસ્થાને લઈને પણ ગંભીર આક્ષેપ કર્યા. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે અને ઉદ્યોગો રાજ્ય છોડીને જઈ રહ્યા છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર ભય અને હિંસાનું રાજકારણ કર્યાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આ મામલે તૃણમૂલે ડાબેરીઓને પણ પાછળ છોડી દીધા છે.
અમિત શાહે દાવો કર્યો કે ભાજપ 2026માં સરકાર બનાવીને પૂર્વીય સરહદો પરથી ઘૂસણખોરી બંધ કરશે અને રાજ્યના સર્વાંગી પુનરુત્થાનને સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં ન આવવા દેવી, તૃષ્ટિકરણની નીતિ, ગરીબી, ઉદ્યોગોનુ પલાયન, રોજગારી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને મુખ્ય ચૂંટણી મુદ્દા બનાવશે.
આ તમામ મુદ્દાઓને એક પછી એક રજૂ કરીને અમિત શાહે મમતા બેનર્જી સરકારની આકરી ટીકા કરી હતી.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this