દેશમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ઇંધણ વેચાણ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે સામાન્ય ગ્રાહક એક દિવસમાં વધુમાં વધુ 200 લિટર ડીઝલ જ ખરીદી શકશે, જ્યારે ફેક્ટરીઓ, મોટા ઉદ્યોગો અને અન્ય કોમર્શિયલ યુઝર્સને રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ કે પેટ્રોલ ખરીદવાની મંજૂરી નહીં હોય.
પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂન, 2026ના રોજ ‘મોટર સ્પિરિટ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ (ટેમ્પરરી રેગ્યુલેશન ઓફ સપ્લાય થ્રુ રિટેલ આઉટલેટ્સ) ઓર્ડર, 2026’ જાહેર કરીને આ નિયમો અમલમાં મૂક્યા છે. આ પ્રતિબંધ શરૂઆતમાં 90 દિવસ માટે લાગુ રહેશે.
સામાન્ય ગ્રાહકો માટે શું બદલાશે?
નવા નિયમો અનુસાર રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં અથવા PESO દ્વારા મંજૂર કરાયેલા કન્ટેનરોમાં જ થઈ શકશે. કોઈપણ ગ્રાહક અથવા વાહનને એક દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ આપવામાં આવશે નહીં.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખરીદવામાં આવેલા ડીઝલનું પુનઃવેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
કોમર્શિયલ યુઝર્સને મોટો ફટકો
ફેક્ટરીઓ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, કન્સ્ટ્રક્શન ફર્મો, ટેલિકોમ ટાવર ઓપરેટર્સ અને મોટા ડીઝલ વપરાશકારો હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં. આવા ગ્રાહકોએ બલ્ક સપ્લાય પોઈન્ટ્સ અથવા પોતાના કન્ઝ્યુમર પંપ મારફતે જ ઇંધણ મેળવવું પડશે.
આ નિર્ણયના કારણે કોમર્શિયલ યુઝર્સ માટે ડીઝલનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે.
રિટેલ અને બલ્ક ભાવમાં ₹40નો તફાવત
દિલ્હીના ઉદાહરણ મુજબ હાલમાં રિટેલ પંપ પર ડીઝલની કિંમત લગભગ ₹95.20 પ્રતિ લિટર છે, જ્યારે બલ્ક ગ્રાહકો માટે આ જ ડીઝલનો ભાવ ₹134.50 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
એટલે કે બંને ભાવ વચ્ચે લગભગ ₹39.30 પ્રતિ લિટરનો તફાવત છે. આ જ કારણસર અનેક ઉદ્યોગો અને મોટા ગ્રાહકો બલ્ક ખરીદી છોડીને સીધા પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવા લાગ્યા હતા.
દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (રૂ./લિટર)
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
|---|---|---|
| દિલ્હી | 102.12 | 95.20 |
| મુંબઈ | 111.21 | 97.83 |
| કોલકાતા | 113.51 | 99.82 |
| ચેન્નાઈ | 107.77 | 99.55 |
| ભોપાલ | 114.65 | 99.74 |
| રાયપુર | 107.96 | 101.17 |
| જયપુર | 112.66 | 97.78 |
| પટના | 112.70 | 99.87 |
| ચંડીગઢ | 101.53 | 89.63 |
| લખનૌ | 102.05 | 99.28 |
| દેહરાદૂન | 100.20 | 97.10 |
નોંધ: ભાવ રૂપિયા પ્રતિ લિટર મુજબ દર્શાવવામાં આવ્યા છે.
સરકારને આ પગલું કેમ ભરવું પડ્યું?
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશના વિવિધ વિસ્તારોમાં રિટેલ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનું વેચાણ અસામાન્ય રીતે વધી ગયું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે બલ્ક અને રિટેલ ભાવ વચ્ચેના મોટા તફાવતનો લાભ લેવા માટે કોમર્શિયલ યુઝર્સ સામાન્ય પેટ્રોલ પંપો તરફ વળી રહ્યા હતા. જેના કારણે સામાન્ય વાહનચાલકો માટે ઇંધણની અછત સર્જાવાનો ભય ઉભો થયો હતો.
વૈશ્વિક સંકટથી વધી સમસ્યા
ફેબ્રુઆરી 2026ના અંતથી પશ્ચિમ એશિયામાં ઉભા થયેલા ભૌગોલિક-રાજકીય સંકટના કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇન અને શિપિંગ ખર્ચમાં વધારો થયો હતો.
સરકારી તેલ કંપનીઓએ સામાન્ય ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે રિટેલ ભાવોમાં મર્યાદિત વધારો કર્યો હતો, પરંતુ જથ્થાબંધ ખરીદદારો માટે બજાર આધારિત ભાવ લાગુ રાખ્યા હતા. પરિણામે બલ્ક ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો.
કોને લાગુ પડશે નિયમ?
આ નવા નિયમો ખાસ કરીને નીચેના વર્ગોને અસર કરશે:
- મોટી ટ્રક અને બસ ફ્લીટ ઓપરેટર્સ
- ટેલિકોમ ટાવર કંપનીઓ
- ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ
- કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ
- ડીઝલ જનરેટરનો મોટા પાયે ઉપયોગ કરતી સંસ્થાઓ
નિયમોનું ઉલ્લંઘન કરશો તો કાર્યવાહી
સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંગ્રહખોરી, કાળાબજાર, ગેરકાયદેસર ખરીદી અને ડીઝલના ડાયવર્ઝન સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
IOC, HPCL, BPCL સહિતની જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને અન્ય અધિકૃત ફ્યુઅલ રિટેલર્સને પણ આ આદેશનો કડક અમલ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે આપી ખાતરી
સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી. જનતાને ગભરાઈને ઇંધણનો વધારાનો સંગ્રહ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
સરકારના મતે આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા જાળવી રાખવાનો અને રિટેલ પંપો પર વધતા દબાણને ઘટાડવાનો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this