રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી ‘સનાતન સેતુ હનુમાન કથા’ પહેલા જ વિવાદ ગરમાયો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ તંત્ર-મંત્ર અને ચમત્કારના દાવાઓ પર સવાલો ઉઠાવતાં ખુલ્લો પડકાર ફેંક્યો હતો. હવે આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં બાબા બાગેશ્વરે વિરોધીઓને સીધું દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5, 6 અને 7 જૂન દરમિયાન ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 6 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર’ યોજાશે.
‘ચેલેન્જ કરવી હોય તો દરબારમાં આવો’
કથાના આયોજક મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો કાર્યક્રમ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાણ કરવામાં આવતા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જેમને કોઈ ચેલેન્જ કરવી હોય અથવા સવાલ પૂછવો હોય તેઓ રૂબરૂ દરબારમાં આવી શકે છે.
મંગેશ દેસાઈએ કહ્યું કે 2023માં પણ બાબા બાગેશ્વરના રાજકોટ આગમન પહેલા વિરોધ જોવા મળ્યો હતો અને આ વખતે પણ કેટલાક લોકો એ જ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. તેમના મતે, મોટા ધાર્મિક કાર્યક્રમો કે VIP આગમન દરમિયાન આવો વિરોધ સામાન્ય બની ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત આ કથાનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, સનાતન મૂલ્યો અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ ફેલાવવાનો છે.
પરસોત્તમ પીપળીયાનો ખુલ્લો પડકાર
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ અને ચમત્કારના દાવાઓ અંગે જાહેરમાં સવાલો ઉઠાવ્યા.
પીપળીયાએ કહ્યું કે કોઈપણ વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે અને ધાર્મિક કાર્યક્રમો સામે તેમને કોઈ વાંધો નથી. પરંતુ ધર્મના નામે અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારના દાવાઓથી લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવવામાં આવે છે, જેનો તેઓ વિરોધ કરે છે.
તેમણે વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરતા દાવો કર્યો કે આધુનિક યુગમાં ચમત્કાર, તાંત્રિક વિદ્યા અથવા મેલીવિદ્યા જેવી બાબતોનું કોઈ અસ્તિત્વ નથી અને આ પ્રકારના દાવાઓ લોકોનું ધ્યાન ભટકાવવાનું સાધન બની રહ્યા છે.
પીપળીયાએ વધુમાં ખુલ્લો પડકાર આપતા કહ્યું કે જો કોઈ પોતાની પાસે ચમત્કારિક અથવા તાંત્રિક શક્તિ હોવાનો દાવો કરે છે, તો તે ખુલ્લેઆમ તેમની સામે આવી તેમની પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ.
તેમણે દાવો કર્યો કે આવા પડકારનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો સામે સત્ય બહાર આવે અને ભયના આધારે થતું આર્થિક કે માનસિક શોષણ અટકે.
‘અંધશ્રદ્ધાથી સમાજમાં કૂપ્રથાઓ વધે છે’
પરસોત્તમ પીપળીયાએ જણાવ્યું કે અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓને કારણે સમાજમાં અનેક કૂપ્રથાઓ અને ખતરનાક માન્યતાઓ જન્મે છે.
તેમણે દલીલ કરી કે લોકો ભય અને અંધવિશ્વાસના કારણે ગેરમાર્ગે દોરાય છે, જેના કારણે સામાજિક અને આર્થિક નુકસાન થાય છે. સાથે જ તેમણે રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની અમલવારી અંગે પણ સવાલો ઉઠાવ્યા અને રાજકીય કારણોસર કડક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો.
ત્રણ વર્ષમાં બીજીવાર રાજકોટ આવશે બાબા બાગેશ્વર
જૂન 2023 બાદ હવે જૂન 2026માં ધીરેન્દ્ર શાસ્ત્રી બીજી વખત રાજકોટ આવી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, કથા સ્થળે હજારો ભક્તોને ધ્યાનમાં રાખીને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
રેસકોર્સ મેદાનને 24 અલગ-અલગ બેઠક ખંડોમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ખંડમાં લગભગ 1800 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
જાહેર જનતા, આમંત્રિત મહેમાનો, સાધુ-સંતો અને પ્રોટોકોલ માટે અલગ પ્રવેશદ્વાર નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ પાર્કિંગ માટે ચૌધરી હાઈસ્કૂલ, પોલીસ હેડક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
ઈંધણ બચત અને ઈ-વ્હીકલ ઉપયોગ પર ભાર
આયોજકો દ્વારા ભક્તોને વાહન શેરિંગ સિસ્ટમ અપનાવવા અને શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
આગમન સ્વાગત યાત્રામાં પણ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરાશે અને રાજકોટ મનપા સાથે સંકલન કરીને ખાસ ઈ-વી બસ રૂટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
કથાના આગલા દિવસે સમગ્ર શહેરમાં મોટી કળશયાત્રા કાઢવાના બદલે અલગ-અલગ ઝોનમાં સ્થાનિક સ્તરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેથી ટ્રાફિક અને ઈંધણ વપરાશ બંનેમાં ઘટાડો થાય.
રાજકોટમાં કથા પહેલા શરૂ થયેલો આ વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. એક તરફ આયોજકો અને બાબા બાગેશ્વર સમર્થકો તેને આધ્યાત્મિક કાર્યક્રમ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓને લઈને ઉઠેલા પ્રશ્નોએ ચર્ચાને નવી દિશા આપી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this