અયોધ્યામાં રામલલ્લા મંદિરને મળશે ભવ્ય સોનાની પ્રતિમા, અજાણ્યા ભક્તે કરી કરોડોની ભેટ
અયોધ્યામાં રામલલ્લા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અત્યંત ભવ્ય અને કીમતી પ્રતિમાની સ્થાપના થવાની છે. સોનાની ઝગમગ સાથે તૈયાર કરાયેલી આ પ્રતિમામાં હીરા, પન્ના સહિત અનેક કિંમતી રત્નો જડિત છે. કર્ણાટકના એક અજાણ્યા ભક્ત દ્વારા આ પ્રતિમા દાન કરવામાં આવી છે. મંગળવારે સાંજે આ પ્રતિમા કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી હતી.
આ પ્રતિમા અંદાજે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે, જ્યારે તેની અંદાજિત કિંમત 25થી 30 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ભારતની પરંપરાગત શિલ્પકળાની શૈલીમાં તૈયાર કરાયેલી આ પ્રતિમા તેની કલાત્મકતા અને ભવ્યતા માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ટ્રસ્ટે આપી માહિતી, વજન આશરે 5 ક્વિન્ટલ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રતિમા કોણે મોકલી છે તેની વિગતો હાલ ઉપલબ્ધ નથી. પ્રતિમાનું વજન કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જોકે અંદાજે તેનું વજન 5 ક્વિન્ટલ (500 કિલો) જેટલું હોવાનું માનવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
અંગદ ટીલા પર સ્થાપનાનો વિચાર
આ પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર નજીક આવેલા અંગદ ટીલા પર સ્થાપિત કરવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. સ્થાપના પહેલાં પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવશે, ત્યારબાદ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમારોહમાં દેશભરના સંતો અને મહંતોને આમંત્રિત કરવામાં આવશે.
6 દિવસની યાત્રા બાદ અયોધ્યા પહોંચેલી પ્રતિમા
કર્ણાટકથી અયોધ્યા સુધીનું અંતર લગભગ 1,750 કિમી છે. આ પ્રતિમાને ખાસ તૈયાર કરાયેલ સ્પેશિયલ વાન દ્વારા લાવવામાં આવી હતી. તેને અયોધ્યા પહોંચાડવામાં 5થી 6 દિવસ લાગ્યા. મંગળવારે સાંજે 3:30 વાગ્યે પ્રતિમા રામમંદિર પરિસરમાં પહોંચી હતી અને ત્યાં જ તેને ખોલવામાં આવી.
તંજાવુરના કારીગરોની મહેનત
સૂત્રો અનુસાર, આ પ્રતિમાને કર્ણાટકના કેટલાક શ્રદ્ધાળુઓએ સંયુક્ત રીતે તૈયાર કરાવી છે. નિર્માણકાર્યમાં તંજાવુરના કુશળ અને અનુભવી શિલ્પકારોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પ્રતિમા રત્ન અને સુવર્ણથી જડિત છે, જોકે તેમાં ઉપયોગમાં લેવાયેલી ધાતુનો ચોક્કસ પ્રકાર હજુ સ્પષ્ટ થયો નથી.
રામલલ્લાની મૂળ પ્રતિમાનું હૂબહૂ પ્રતિરૂપ
આ પ્રતિમા રામ જન્મભૂમિમાં સ્થાપિત રામલલ્લાની નવનિર્મિત મૂર્તિની હૂબહૂ નકલ હોવાનું જણાવવામાં આવ્યું છે. સોનાની સાથે હીરા, પન્ના અને નીલમ જેવા કિંમતી પથ્થરોના ઉપયોગથી તેની ભવ્યતા અને આધ્યાત્મિક ગરિમા વધુ ઊભરી આવે છે.
પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની તૈયારી
અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવી હતી. પંચાંગ અનુસાર, તેની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બરે ઉજવાશે, જેને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 સુધી અંગદ ટીલા પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન કર્યું છે, ત્યારબાદ પંડાલ, મંચ અને સજાવટનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન શ્રીરામ અભિષેક, શૃંગાર, ભોગ અને આરતી સહિતના ધાર્મિક આયોજનો યોજાશે.
આ ભવ્ય પ્રતિમા રામમંદિરની શોભા વધારશે અને ભક્તો માટે શ્રદ્ધા તથા આસ્થા નું એક નવું કેન્દ્ર બનશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this