કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોને લઈને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક ટિપ્પણી કરી હતી. ખડગેએ કહ્યું કે, “મને સમજાતું નથી કે મોદી ટ્રમ્પ સામે શા માટે ઝુકી રહ્યા છે. આ દેશ માટે યોગ્ય નથી. વડાપ્રધાન તરીકે તમારે દેશના હિત માટે ઊભા રહેવું જોઈએ. દેશે તમને માત્ર માથું હલાવવા માટે વડાપ્રધાન પસંદ કર્યા નથી.”
ખડગેનું આ નિવેદન ટ્રમ્પના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાની નારાજગી બાદ ભારતે રશિયાથી તેલની આયાત ઘટાડીને ટ્રમ્પને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પના કહેવા પ્રમાણે, મોદી જાણતા હતા કે રશિયાથી તેલ ખરીદવા પર અમેરિકા નારાજ છે, એટલે તેમણે આયાત ઘટાડવાનો નિર્ણય લીધો.
ખડગેએ આ મુદ્દે સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા ત્રણ પ્રશ્નો કર્યા. તેમણે પૂછ્યું કે શું હવે ભારતની વિદેશ નીતિ અમેરિકા નક્કી કરી રહ્યું છે? શું રશિયાથી તેલ આયાત ઘટાડવાનો નિર્ણય માત્ર ટ્રમ્પને ખુશ કરવા માટે લેવાયો હતો? અને ટ્રમ્પના ધમકીભર્યા નિવેદનો પર વડાપ્રધાન મોદી મૌન કેમ છે?
આ સાથે જ ખડગેએ ટ્રમ્પ દ્વારા વારંવાર કરવામાં આવતા ભારત-પાકિસ્તાન શાંતિના દાવા પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે ટ્રમ્પ ઓછામાં ઓછા 70 વખત કહી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાવી છે. “શું તેનો અર્થ એ થાય છે કે આખી દુનિયા તેમની સામે ઝૂકી જાય? દુનિયા નહીં ઝૂકે,” એમ ખડગેએ સ્પષ્ટ કહ્યું.
ખડગેએ વેનેઝુએલાની હાલની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ત્યાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે વિશ્વ માટે સારી નથી. ડરાવવાની અને વિસ્તરણવાદી નીતિ લાંબા સમય સુધી ટકી શકતી નથી. “હિટલર અને મુસોલિની જેવા લોકો ઇતિહાસ બની ચૂક્યા છે. વૈશ્વિક શાંતિને બગાડતી વિચારસરણી યોગ્ય નથી,” એમ ખડગેએ જણાવ્યું.
5 જાન્યુઆરીએ ટ્રમ્પે ફરી એકવાર ભારતની રશિયા પાસેથી તેલ આયાત ઘટાડવાના નિર્ણય પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી તેમને ખુશ કરવા માંગતા હતા. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, “વડાપ્રધાન મોદી ખૂબ સારા માણસ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નહોતો. અમે વેપાર કરીએ છીએ અને તેમના પર ટેરિફ વધારી શકીએ છીએ.”
યુક્રેન યુદ્ધ બાદ ભારત રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર બની ગયો હતો. આ મુદ્દે અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયાથી તેલ ખરીદી યુક્રેન પર થઈ રહેલા હુમલાઓને આડકતરી રીતે ભંડોળ પૂરુ પાડે છે. આ કારણે ટ્રમ્પ પ્રશાસને ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો.
શરૂઆતમાં રશિયાએ ક્રૂડ ઓઇલ પર 20થી 25 ડોલર પ્રતિ બેરલ સુધીની મોટી છૂટ આપી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 130 ડોલર પ્રતિ બેરલ હતી. જોકે હવે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને આશરે 63 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે અને રશિયાએ પોતાની છૂટ ઘટાડીને માત્ર 1.5થી 2 ડોલર પ્રતિ બેરલ કરી દીધી છે.
આટલી ઓછી છૂટ અને ઉપરથી વધુ શિપિંગ તથા વીમા ખર્ચને કારણે રશિયાથી તેલ ખરીદવું ભારત માટે પહેલાં જેટલું ફાયદાકારક રહ્યું નથી. આ જ કારણોસર ભારત હવે સાઉદી અરેબિયા, UAE અને અમેરિકા જેવા સ્થિર અને ભરોસાપાત્ર સપ્લાયર્સ પાસેથી તેલ ખરીદી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અત્યાર સુધી ભારત પર કુલ 50% ટેરિફ લગાવી ચૂક્યું છે. તેમાં 25% રેસિપ્રોકલ ટેરિફ અને 25% રશિયન તેલ ખરીદવાના કારણે લગાવવામાં આવેલી પેનલ્ટીનો સમાવેશ થાય છે. આ ટેરિફના કારણે ભારતની અમેરિકામાં નિકાસ પર નકારાત્મક અસર પડી રહી છે.
બન્ને દેશો વચ્ચે આ ટેરિફ વિવાદ ઉકેલવા માટે ટ્રેડ ડીલ પર વાતચીત ચાલી રહી છે. ભારત ઈચ્છે છે કે કુલ ટેરિફ ઘટાડીને 15% કરવામાં આવે અને રશિયન તેલ અંગેની વધારાની 25% પેનલ્ટી સંપૂર્ણપણે હટાવવામાં આવે. સરકારને આશા છે કે નવા વર્ષમાં આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય આવશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this