મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન (પાર્ટ-2) મંગળવારે પારણાં સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. જોકે ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની તેમની લડત હજુ સમાપ્ત થઈ નથી. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્રને ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે ખેડૂત વિરોધી અને કંપની હિતનો ગણાવી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે રાજ્યવ્યાપી લડત માટે આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરવાનો એલાન કરવામાં આવ્યો છે.
19 દિવસ બાદ ઉપવાસનો અંત, દીકરીઓ અને સંતોના હસ્તે કરાયા પારણાં
ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતીની જમીનમાં ઊભા કરવામાં આવતા વીજપોલ અને વીજ લાઈનો માટે યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. લાંબા સમયથી ચાલતા ઉપવાસને કારણે અનેક ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક મુશ્કેલીઓ વધી રહી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, વિવિધ ગામોના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓના પારણાં કરાવવામાં આવ્યા હતા. આ સાથે આંદોલનનો બીજો તબક્કો પૂર્ણ થયો, પરંતુ ઉપવાસ છાવણીમાંથી જ આગામી લડતની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી.
‘નવો પરિપત્ર ખેડૂત નહીં, કંપની હિતમાં’
આંદોલનના અગ્રણી નેહુલભાઈ અમૃતિયાએ સરકારની નવી નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વીજપોલના વળતર માટે બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર ખેડૂતો માટે ગંભીર આર્થિક નુકસાનકારક છે.
તેમણે દાવો કર્યો કે નવી નીતિ અમલમાં આવશે તો ખેડૂતોને મળવાનું યોગ્ય વળતર ઘટી જશે અને ખાનગી વીજ કંપનીઓને મોટો લાભ મળશે. તેમના જણાવ્યા મુજબ દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યારે કંપનીઓ માત્ર નામમાત્રનું વળતર ચૂકવી પોતાની જવાબદારી પૂર્ણ ગણાવશે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેતપર ગામના ખેડૂતો આ નવા પરિપત્રને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં અને તેમાં ખેડૂતોના હિતમાં સુધારા નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
હવે શરૂ થશે આંદોલન પાર્ટ-3
ખેડૂત આગેવાનોએ જાહેરાત કરી છે કે હવે આ લડત માત્ર જેતપુર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે લઈને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
તે માટે 8 અને 9 જુલાઈના રોજ મોરબીના જેતપર ગામે ગુજરાતના 23 જિલ્લાના ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સરકારના નવા પરિપત્રની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તેમજ ખેડૂતોને વધુ યોગ્ય વળતર મળે તે માટે જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
નવી કમિટીની થશે રચના
બેઠક બાદ ખેડૂતોના હિત માટે નવી રાજ્યસ્તરીય કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં વિવિધ જિલ્લાઓના નિષ્પક્ષ, પ્રમાણિક અને ખેડૂત હિતને પ્રાથમિકતા આપતા આગેવાનોને સ્થાન આપવામાં આવશે.
આ કમિટી સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે ચર્ચા કરશે તેમજ જરૂરી હોય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ રણનીતિ તૈયાર કરશે.
‘હક લઈને જ જંપીશું’
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેમની લડત કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે નહીં, પરંતુ ખેડૂતોને ન્યાય અપાવવા માટે છે. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો ખેડૂતોના હિતમાં પરિપત્રમાં ફેરફાર કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ખેડૂતો એક મંચ પર આવી રાજ્યવ્યાપી આંદોલન કરશે.
ખેડૂતોએ અંતમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “અમે અમારો હક લઈને જ જંપીશું. સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે હવે આખું ગુજરાત એક થઈને લડત આપશે.”
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group