બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરનું ભોજન લીધા બાદ 38 વિદ્યાર્થિનીઓને માથામાં દુખાવો, ઊલટી અને અશક્તિ જેવી તકલીફો શરૂ થઈ હતી. ત્યારબાદ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પહેલા 10, પછી વધતી ગઈ સંખ્યા
પ્રાથમિક માહિતી મુજબ, શરૂઆતમાં લગભગ 10 વિદ્યાર્થિનીઓમાં ફૂડ-પોઇઝનિંગના લક્ષણો દેખાયા હતા. તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીઓમાં પણ સમાન લક્ષણો જણાતા સંખ્યા વધીને 38 થઈ ગઈ.
વાલીઓનો આક્ષેપ: અમને જાણ પણ ન કરી
વિદ્યાર્થિનીના ભાઈ મુકેશ ખરાડી એ જણાવ્યું કે સ્કૂલ સંચાલન દ્વારા કોઈ વાલીને સમયસર જાણ કરવામાં આવી નહોતી. “મને મારી બીજી બહેન દ્વારા ખબર પડી. સ્કૂલ સંચાલકો બેદરકારી દાખવી રહ્યા છે. 35થી વધુ છોકરીઓની તબિયત બગડી હોવા છતાં વાલીઓને જાણ ન કરવી ગંભીર બેદરકારી છે. આમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ,” તેમ તેમણે જણાવ્યું.
હોસ્પિટલનું નિવેદન
બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. સુનિલ જોશીએ જણાવ્યું કે, “એક-બે વિદ્યાર્થિની સિવાય તમામની તબિયત હાલ સારી છે. તમામને જરૂરી દવાઓ અને ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. કુલ 38 વિદ્યાર્થિનીઓને દાખલ કરવામાં આવી હતી.”
આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભરમાલભાઈએ જણાવ્યું કે ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ-પોઇઝનિંગની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે તરત જ ભોજનના નમૂનાઓ લીધા છે અને પાણીજન્ય રોગચાળાની શક્યતા અટકાવવા ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે. હોસ્ટેલમાં 600થી વધુ બાળકો અને સ્ટાફ રહે છે, જેમાંથી હાલ 38 વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત છે.
સ્કૂલ પ્રિન્સિપાલનું નિવેદન
એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય મિશ્રાએ જણાવ્યું કે સાંજે 5:30 વાગ્યે પ્રથમ 10 વિદ્યાર્થિનીઓને માથામાં દુખાવો અને ઊલટીની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભોજન બપોરે 12:30 વાગ્યે લેવાયું હતું અને ત્યારબાદ સાંજે સમસ્યા શરૂ થઈ હતી.
તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર
પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર છે અને સારવાર ચાલી રહી છે. સ્કૂલ સ્ટાફ પણ હોસ્પિટલમાં હાજર રહી બાળકોની દેખરેખ રાખી રહ્યો છે. ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
NSUIનો આક્ષેપ
NSUI પ્રદેશ મહામંત્રી ઈશ્વર ડામોરે જણાવ્યું કે જગાણા એકલવ્ય મોડેલ સ્કૂલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે. અહીં વારંવાર ભોજન અને સુવિધાઓ અંગે ફરિયાદો આવતી રહી છે. “દાંતાની વેકરી આશ્રમશાળામાં પણ આવી ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. તંત્ર બાળકોના આરોગ્ય સાથે શા માટે બેદરકારી રાખે છે?” તેમ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
તપાસ શરૂ
હાલ જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડ સેમ્પલ રિપોર્ટ બાદ જ ફૂડ-પોઇઝનિંગનું સાચું કારણ સામે આવશે. વાલીઓ અને સામાજિક સંગઠનો સ્કૂલ સંચાલન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this