વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 49 વર્ષ હતી. અગ્નિવેશ વેદાંતા ગ્રુપની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના બોર્ડના સભ્ય હતા અને ઉદ્યોગજગતમાં જાણીતા નામ હતા.
અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું કે તેમના પુત્ર અગ્નિવેશ અમેરિકામાં સ્કીઈંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બુધવારે તેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેમનું નિધન થયું.
અનિલ અગ્રવાલે X પર રાત્રે લગભગ 10 વાગ્યે પોસ્ટ કરતા લખ્યું,
“આ મારા જીવનનો સૌથી અંધકારમય દિવસ છે.”
તેમણે વધુમાં કહ્યું કે તેઓ પોતાના પુત્રને આપેલું વચન નિભાવતા પોતાની કમાણીનો 75% હિસ્સો સમાજસેવામાં સમર્પિત કરશે.
અગ્નિવેશ અગ્રવાલનો જીવનપરિચય
અગ્નિવેશ અગ્રવાલનો જન્મ 3 જૂન 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે અજમેરની માયો કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પછી સફળ વ્યાવસાયિક કારકિર્દી બનાવી હતી. તેઓ એક કુશળ રમતવીર, સંગીતપ્રેમી અને નેતૃત્વ ક્ષમતાવાળા વ્યક્તિત્વ તરીકે ઓળખાતા હતા.
અનિલ અગ્રવાલે પોતાના પુત્રને નમ્ર, દયાળુ અને જવાબદાર નેતા તરીકે યાદ કર્યા. અગ્નિવેશે ફુજૈરાહ ગોલ્ડની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના ચેરમેન તરીકે 2019 સુધી સેવા આપી હતી.
કોર્પોરેટ કારકિર્દી
કોમર્સ ગ્રેજ્યુએટ અગ્નિવેશે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં માઇનિંગ ટેક્નોલોજીને આધુનિક બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. તેમણે કંપનીને વિશ્વની ટોચની ઝિંક ઉત્પાદક કંપનીઓમાં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
તેઓ ફુજૈરાહ ગોલ્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા હતા. સાથે જ અલુવર્કસ લિમિટેડ અને વેદાંતા ગ્રુપની પાવર કંપનીઓના બોર્ડમાં પણ સામેલ હતા.
તેઓ નીચેની કંપનીઓમાં પણ ડિરેક્ટર રહ્યા હતા:
- તેંગપાની ટી કંપની લિમિટેડ
- ટ્વિન સ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ
- સ્ટર્લાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.
- સ્ટર્લાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ્સ પ્રા. લિ.
- સ્ટર્લાઇટ આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિ.
- પ્રાઇમેક્સ હેલ્થકેર એન્ડ રિસર્ચ પ્રા. લિ.
1995થી 2013 સુધી તેઓ મદ્રાસ એલ્યુમિનિયમ કંપની લિમિટેડના ડાયરેક્ટર રહ્યા હતા અને 2009થી સ્ટર્લાઇટ એનર્જી લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા.
| વિષય | વિગત |
|---|---|
| નામ | અગ્નિવેશ અગ્રવાલ |
| જન્મ તારીખ | 3 જૂન 1976 |
| જન્મ સ્થળ | પટના |
| પિતા | અનિલ અગ્રવાલ |
| માતા | કિરણ અગ્રવાલ |
| વ્યવસાય | પાવર કંપની TSPL ના ચેરમેન |
| સ્કૂલ | માયો કોલેજ, અજમેર |
| કોલેજ | BBA, મુંબઈ યુનિવર્સિટી |
વેદાંતા ગ્રુપ – મુખ્ય માહિતી
| વિષય | વિગત |
|---|---|
| કંપનીનું નામ | વેદાંતા ગ્રુપ |
| સ્થાપના | 1979 |
| સ્થાપક | અનિલ અગ્રવાલ |
| નાણાકીય વર્ષ 2024-25માં આવક | અંદાજે ₹1.5 લાખ કરોડ |
| NSE મુજબ માર્કેટ કેપ | આશરે ₹2.31 લાખ કરોડ |
| મુખ્ય વ્યવસાય ક્ષેત્ર | ઓઈલ અને ગેસ, માઇનિંગ, ઇલેક્ટ્રિક યુટિલિટી સેક્ટર |
| વૈશ્વિક હાજરી | ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, લાયબેરિયા અને નમીબિયામાં ઓપરેશન |
અનિલ અગ્રવાલ: સંઘર્ષથી ‘મેટલકિંગ’ સુધી
અનિલ અગ્રવાલનો જન્મ 1954માં પટનામાં થયો હતો. તેમના પિતા દ્વારકા પ્રસાદ અગ્રવાલ નાની એલ્યુમિનિયમ કંડક્ટરની દુકાન ચલાવતા હતા. મર્યાદિત આવક વચ્ચે અનિલે સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને પછી પિતાના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યા.
19 વર્ષની ઉંમરે તેઓ પટનાથી મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમણે 9 બિઝનેસ શરૂ કર્યા, પરંતુ બધા નિષ્ફળ રહ્યા. તેમ છતાં તેમણે હાર ન માની અને અંતે વેદાંતા રિસોર્સીસની સ્થાપના કરી.
વેદાંતા આજે ઝિંક, લેડ, એલ્યુમિનિયમ અને સિલ્વર ક્ષેત્રમાં દુનિયાની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. અનિલ અગ્રવાલને આજે ભારતના ‘મેટલમેન’ અથવા ‘મેટલકિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.
2001માં વેદાંતાએ BALCOમાં 51% અને ત્યારબાદ હિન્દુસ્તાન ઝિંકમાં 65% હિસ્સેદારી ખરીદી, જેના કારણે કંપનીએ માઇનિંગ સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું.
2003માં વેદાંતા રિસોર્સીસ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પહેલી ભારતીય કંપની બની હતી, જેના કારણે અનિલ અગ્રવાલની વૈશ્વિક ઓળખ બની.
| વિષય | માહિતી |
|---|---|
| નામ | અનિલ અગ્રવાલ |
| પદ | વેદાંતા ગ્રુપના ચેરમેન |
| દેશની અમીરોમાં રેન્ક | 16મું સ્થાન |
| કુલ નેટવર્થ | $3.3 બિલિયન |
| ભારતીય રૂપિયામાં સંપત્તિ | અંદાજે ₹29 હજાર કરોડ |
| 2025માં અનુમાનિત નેટવર્થ | $4.1 બિલિયન |
| યાદીમાં સમાવેશ | અમેરિકા ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 |
| દેશના ટોચના અમીર | ટોપ 100 અમીરોમાં સામેલ |
| પરિવાર પ્રોફાઇલ | Anil Agarwal & Family |
પરિવાર માટે અપૂરવ નુકસાન
અગ્નિવેશ અગ્રવાલના અવસાનથી વેદાંતા ગ્રુપ અને ઉદ્યોગજગતમાં શોકની લહેર ફરી વળી છે. અનિલ અગ્રવાલે પોતાના પુત્રને માત્ર એક બિઝનેસ લીડર નહીં, પરંતુ એક સંવેદનશીલ, માનવતાવાદી અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ તરીકે યાદ કર્યા છે.
તેમણે લખ્યું કે જીવનભરની આ ખોટને કોઈ શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી, પરંતુ તેઓ પોતાના પુત્રના આદર્શોને આગળ વધારવા સમાજસેવામાં વધુ સમર્પિત રહેશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this