ગઇકાલે અંબાજીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેરાલુના મલેકપુર ગામથી પ્રસ્થાન કરેલી ‘શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા’માં 108 ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભવાની ધામના ભવ્ય નિર્માણ માટે સંકલ્પ લેવો હતો. યાત્રાનું નેતૃત્વ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજિતસિંહ બારડે કર્યું હતું.
યાત્રામાં જોડાયેલા જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરએ જાહેર મંચ પરથી કહ્યું કે, સમાજના અનેક આગેવાનો રાજકારણમાં જોડાયેલા છે, અને “આજ નહીં તો કાલે હું પણ રાજકારણમાં જોડાઇશ.” તેમણે આગળ જણાવ્યું કે, “મારે દરેક પાર્ટીમાં સારા સંબંધ છે, અને કઈ પાર્ટીમાં જોડાઈશ એ પછી નક્કી કરીશ.”
‘સમાજનો મુખ્યમંત્રી હોય એ કોને ન ગમે?’
વિક્રમ ઠાકોરે ઉમેર્યું કે વર્ષ 2027માં આપણાં સમાજનો મુખ્યમંત્રી બનવાની આશા સમાજમાં છે. તેમણે કહ્યું, “કોઈપણ સમાજને પોતાના સમાજનો મુખ્યમંત્રી ગમે જ. અમારો મુખ્ય લક્ષ્ય સમાજની એકતા અને બાળકો માટે શિક્ષણના વિસ્તરણને પ્રોત્સાહન આપવું છે. રાજકારણમાં જોડાવાનું નિર્ણય સમય અનુસાર થશે.”
‘જય ભવાની’ના નારા સાથે યાત્રાનો પ્રારંભ
યાત્રા ખેરાલુના મલેકપુર ગામથી કાફલા સાથે નીકળી, અને જ્યાંથી પસાર થઈ ત્યાં લોકો અને આગેવાનો ‘જય ભવાની’ના નારા લગાવતા જોવા મળ્યા. આ યાત્રાને ઠાકોર સમાજની એકતા અને સંગઠન શક્તિ દર્શાવતું મહત્વપૂર્ણ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. યાત્રાનો અંતિમ ધ્યેય ભવાની ધામના ભવ્ય નિર્માણ માટે સમાજમાં સંકલ્પ જગાવવાનો હતો.
અભિજિતસિંહ બારડ: સમાજ માટે પાવરહાઉસ સાબિત થશે ભવાની ધામ
પ્રદેશ પ્રમુખ અભિજિતસિંહ બારડે મિડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભવાની ધામ માત્ર મંદિર નહીં, પરંતુ ઠાકોર સમાજ માટે ‘પાવર હાઉસ’ સાબિત થશે. “આધારથી સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. સાથે જ, સનાતન ધર્મની રક્ષા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ કટિબદ્ધ છે,” તેમણે ઉમેર્યું.
મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત
અંબાજી પહોંચ્યા બાદ યાત્રામાં જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોએ માતાજીના મંદિરમાં દર્શન કર્યા. દર્શન પછી દાંતા રોડ પર આવેલ ભગવતી પાર્ટી પ્લોટમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો ભેગા થયા. તેઓએ સમાજને આગળ વધારવા અને ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ લીધા.
આ યાત્રા અને કાર્યક્રમ દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની સંગઠન શક્તિ, સામાજિક એકતા અને ભવિષ્ય માટેના ઉદ્દેશ્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this