રાજ્યમાં આગામી ડિલિમિટેશન (સીમાંકન) અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023ના અમલીકરણને લઈને ગુજરાતના રાજકીય નકશામાં છેલ્લા પાંચ દાયકામાં સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો પ્રસ્તાવિત સીમાંકન અમલમાં આવશે તો રાજ્યમાં લોકસભાની બેઠકો હાલની 26થી વધીને 39 કે 40 થઈ શકે છે, જ્યારે વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફેરફાર માત્ર બેઠકોની સંખ્યા વધારશે એટલું જ નહીં, પરંતુ અનેક મતવિસ્તારોની સીમાઓ બદલાતા સમગ્ર રાજકીય સમીકરણ પણ બદલાઈ શકે છે.
ગુજરાતમાં ડિલિમિટેશનની તૈયારી તેજ
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય ચૂંટણી પંચ અને વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં સંભવિત સીમાંકનને લઈને પ્રાથમિક કવાયત શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ હાલ મતદારોની સંખ્યા, વસ્તી વૃદ્ધિ અને ભૌગોલિક વિસ્તારના આધારે નવા મતવિસ્તારોની સંભાવનાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
અધિકારીઓનું માનવું છે કે આગામી ડિલિમિટેશનમાં દરેક લોકસભા બેઠક દીઠ આશરે 12થી 15 લાખ મતદારોનું પ્રમાણ રાખવાનો પ્રયાસ થઈ શકે છે. હાલ અનેક બેઠકોમાં મતદારોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ હોવાથી નવી બેઠકોનું સર્જન લગભગ અનિવાર્ય બની શકે છે.
અનેક લોકસભા બેઠકોમાં 20 લાખથી વધુ મતદારો
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ 4.99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સરેરાશ 19 લાખ જેટલા મતદારો છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અનેક બેઠકોમાં આ આંકડો 20 લાખથી વધુ છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવી બેઠકોમાં પણ 19થી 20 લાખ વચ્ચે મતદારો નોંધાયા છે. આ કારણે આગામી સીમાંકનમાં આ બેઠકોના વિભાજનની સંભાવના વધુ મજબૂત બની રહી છે.
અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં સૌથી મોટા ફેરફાર
સંભવિત સીમાંકન હેઠળ અમદાવાદમાં હાલની પૂર્વ અને પશ્ચિમ એમ બે લોકસભા બેઠકો ઉપરાંત ત્રીજી બેઠક ઉમેરાઈ શકે છે. બંને બેઠકોમાં મળીને 37 લાખથી વધુ મતદારો હોવાથી નવી બેઠકની માંગ મજબૂત બની છે.
ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ 21 લાખથી વધુ મતદારો છે. જેના આધારે કલોલ, દહેગામ અને ગાંધીનગર વિસ્તારને કેન્દ્રમાં રાખીને નવી બેઠક રચાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં ઝડપથી વધેલી વસ્તીને કારણે એકથી બે નવી લોકસભા બેઠકો ઉમેરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોને પણ મળશે લાભ
બનાસકાંઠા અને સાબરકાંઠામાં મળીને લગભગ 40 લાખ જેટલા મતદારો હોવાથી ઉત્તર ગુજરાતમાં નવી લોકસભા બેઠક રચાઈ શકે છે. પંચમહાલ અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ પ્રતિનિધિત્વ વધારવાના હેતુથી નવા મતવિસ્તારો બનાવવાની ચર્ચા ચાલી રહી છે.
રાજકોટમાં પણ 21 લાખથી વધુ મતદારો હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારને અલગ કરીને નવી બેઠક રચવાની સંભાવના છે.
વિધાનસભામાં 91 બેઠકોનો વધારો શક્ય
ડિલિમિટેશન બાદ ગુજરાત વિધાનસભાની બેઠકોમાં પણ મોટો વધારો થઈ શકે છે. હાલની 182 બેઠકો વધીને 273 સુધી પહોંચી શકે છે, એટલે કે લગભગ 91 નવી બેઠકો ઉમેરાઈ શકે છે.
સંભવિત અંદાજ પ્રમાણે અમદાવાદ જિલ્લામાં હાલની 21 બેઠકો વધીને 29 થઈ શકે છે. સુરતમાં 16થી વધીને 18, વડોદરામાં 10, રાજકોટ અને બનાસકાંઠામાં 8-8, મહેસાણા, આણંદ અને ભાવનગરમાં 7-7 બેઠકો થઈ શકે છે.
તે ઉપરાંત કચ્છ, ખેડા અને દાહોદમાં 6-6 બેઠકો જ્યારે ગાંધીનગર, પંચમહાલ, ભરૂચ, વલસાડ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 5-5 બેઠકો થવાની શક્યતા છે.
મહિલા અનામતથી ચૂંટણીનું ગણિત બદલાશે
સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ લોકસભા અને વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કાયદાનો અમલ આગામી ડિલિમિટેશન બાદ જ થશે. એટલે કે નવી બેઠકો સાથે મહિલા અનામત લાગુ થતાં રાજકીય પક્ષોને ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણીની વ્યૂહરચના સુધી સંપૂર્ણ નવા સમીકરણો બનાવવાની જરૂર પડશે.
રાજકીય પક્ષો સામે નવા પડકાર
નવા સીમાંકન બાદ માત્ર બેઠકોની સંખ્યા જ નહીં વધે પરંતુ અનેક જૂના મતવિસ્તારોની સીમાઓ બદલાશે. કેટલીક બેઠકો સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે, જ્યારે નવી બેઠકોનું સર્જન થશે.
આ ફેરફારોના કારણે વર્ષોથી ચાલતા જ્ઞાતિ આધારિત, સામાજિક અને રાજકીય સમીકરણોમાં પણ મોટો બદલાવ આવશે. અનેક વર્તમાન ધારાસભ્યો અને સાંસદોને નવા મતવિસ્તારોમાં રાજકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે.
1975 પછીનો સૌથી મોટો રાજકીય બદલાવ બની શકે
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી ડિલિમિટેશન અને મહિલા અનામત કાયદાનો અમલ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં 1975 પછીનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.
જોકે, લોકસભા અને વિધાનસભાની અંતિમ બેઠકોની સંખ્યા, નવા મતવિસ્તારોની રચના અને અનામત બેઠકો અંગેનો અંતિમ નિર્ણય આગામી વસ્તી ગણતરી, ડિલિમિટેશન કમિશનની ભલામણો અને સંસદની મંજૂરી બાદ જ લેવામાં આવશે. ત્યાં સુધી હાલ ચર્ચાઈ રહેલા તમામ આંકડા અને સંભાવનાઓને પ્રાથમિક અંદાજ તરીકે જ જોવામાં આવી રહી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this