ગ્લોબલ ન્યુઝ પોલિટિક્સ

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા ઐતિહાસિક સમજૂતી, 19 જૂને જિનીવામાં થશે હસ્તાક્ષર; હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને અંત આપવા માટે બંને દેશો શાંતિ કરાર (Peace Deal) પર સહમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે. બીજી તરફ ઈરાને પણ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું કે અનેક મહિનાઓ સુધી ચાલેલી કઠિન અને જટિલ વાટાઘાટો બાદ બંને દેશોએ સમજૂતી કરાર (MoU)ને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

ટ્રમ્પે જણાવ્યું કે આ કરારના ભાગરૂપે વિશ્વ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે. સાથે જ ઈરાનના બંદરો પર અમેરિકી નૌકાદળ દ્વારા લાગુ કરવામાં આવેલી નાકાબંધી પણ હટાવી દેવામાં આવશે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, “દુનિયાના જહાજો, તમારા એન્જિન શરૂ કરો. તેલને વહેવા દો.”

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં સત્તાવાર શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. જો આ બેઠક યોજાશે તો તે 1979 પછી તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક ગણાશે.

હસ્તાક્ષર પહેલાં ઈરાને મૂકી ત્રણ મહત્વપૂર્ણ શરતો

ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા MoUનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમજૂતીમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કરારમાં યુદ્ધ અને તમામ સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવું, અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના ફ્રીઝ કરાયેલા ભંડોળનો એક ભાગ મુક્ત કરવો તેમજ પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પ્રતિબંધોને લઈને આગામી 60 દિવસ સુધી ચર્ચા માટે માળખું તૈયાર કરવું સામેલ છે.

ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું કે MoU પર હસ્તાક્ષર થયા બાદ શરૂ થનારી 60 દિવસની ચર્ચા અમેરિકાની કાર્યવાહી પર આધારિત રહેશે. તેમના જણાવ્યા અનુસાર અમેરિકા પહેલા ત્રણ વચનોનું પાલન કરે તે જરૂરી છે.

ઈરાને અમેરિકા સમક્ષ ત્રણ મુખ્ય શરતો મૂકી છે:

  • ઈરાન વિરુદ્ધ લાગુ કરાયેલી નૌકાદળની નાકાબંધી સંપૂર્ણપણે હટાવવી.
  • યુદ્ધ અને તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવી.
  • ઈરાનના ફ્રીઝ કરાયેલા ભંડોળને મુક્ત કરવું.

છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ

1. શાહબાઝ શરીફે સૌથી પહેલા જાહેરાત કરી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતી અંગે સૌથી પહેલા માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે લેબનાન સહિતના તમામ મોરચાઓ પર સૈન્ય કાર્યવાહી કાયમી રીતે બંધ કરવા અંગે સહમતિ બની છે.

2. ટ્રમ્પે લેબનાન પર ઇઝરાયેલના હુમલાની ટીકા કરી
ટ્રમ્પે બેરૂત પર થયેલા ઇઝરાયેલી હુમલાની ટીકા કરતાં જણાવ્યું કે શાંતિ કરારની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવા છતાં આ હુમલાએ સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી હતી.

3. ઇઝરાયેલી હુમલાના કારણે પીસ ડીલમાં વિલંબ
ટ્રમ્પના જણાવ્યા અનુસાર લેબનાન પર ઇઝરાયેલી હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા કરારના હસ્તાક્ષરમાં થોડા કલાકોનો વિલંબ થયો હતો.

4. ભારતીય જહાજના 14 ક્રૂ મેમ્બર સુરક્ષિત બચાવાયા
ઓમાનના દરિયાકાંઠા નજીક મુશ્કેલીમાં ફસાયેલા ભારતીય ધ્વજવાળા જહાજ ‘MSV વિરાટ-1’ના તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું હોવાનું જણાવ્યું છે.

5. ઈરાનમાં સમજૂતીનો વિરોધ ઉગ્ર બન્યો
અમેરિકા સાથેની સંભવિત શાંતિ સમજૂતીનો ઈરાનમાં કેટલાક કટ્ટરપંથી સંગઠનો, રૂઢિચુસ્ત નેતાઓ અને સરકારી મીડિયાના એક વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધીઓનું માનવું છે કે આ કરાર ઈરાન માટે નમતું જોખવા જેવું પગલું બની શકે છે અને યુદ્ધ દરમિયાન પ્રાપ્ત થયેલા વ્યૂહાત્મક ફાયદાઓને નબળા પાડી શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર પર પડશે મોટી અસર

વિશ્લેષકોના મતે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ સમજૂતી સફળતાપૂર્વક અમલમાં આવે તો વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા આવી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાથી ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠામાં સુધારો થશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારત સહિત તેલ આયાત પર નિર્ભર દેશોને પણ આથી મોટી રાહત મળવાની શક્યતા છે.

હવે સમગ્ર વિશ્વની નજર 19 જૂને જિનીવામાં થનારી બેઠક પર છે, જ્યાં બંને દેશો ઐતિહાસિક શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video