ભારત-નેપાળ સંબંધોમાં છેલ્લા કેટલાક દિવસોથી નવી ચર્ચા શરૂ થઈ છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંસદમાં આપેલા નિવેદન બાદ સરહદ વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બાલેને દાવો કર્યો કે માત્ર ભારતે જ નહીં, પરંતુ નેપાળે પણ કેટલીક જગ્યાએ ભારતની જમીન પર કબ્જો કર્યો છે. તેમના આ નિવેદનથી નેપાળની રાજનીતિમાં જોરદાર હંગામો મચી ગયો અને આખરે વિદેશ મંત્રાલયને સ્પષ્ટતા આપવી પડી.
બાલેન શાહના નિવેદનથી કેમ મચ્યો વિવાદ?
જેન-ઝી આંદોલન બાદ માર્ચ 2026માં નેપાળમાં યોજાયેલી ચૂંટણીમાં પરંપરાગત પાર્ટીઓ અને નેતાઓને મોટો ફટકો પડ્યો હતો. બાલેન શાહની આગેવાની હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને બે-તૃત્યાંશ બહુમતી મળી અને 35 વર્ષના બાલેન દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા.
પદ સંભાળ્યાના લગભગ 65 દિવસ પછી, 31 મેના રોજ બાલેને સંસદમાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું. આ દરમિયાન સાંસદોએ ભારત-નેપાળ સરહદ વિવાદ અંગે સવાલ પૂછતા તેમણે બે મહત્વપૂર્ણ દાવા કર્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાન બન્યા પછી તેમને સમજાયું કે માત્ર ભારતે જ નહીં પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતની જમીન પર કબ્જો કર્યો છે. સાથે જ તેમણે આ મામલામાં બ્રિટનની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બ્રિટિશ ઇન્ડિયાના સમયથી જોડાયેલા આ મુદ્દામાં યુકેને પણ રસ લેવો જોઈએ.
આ નિવેદન બાદ સંસદમાં ભારે વિરોધ થયો. વિપક્ષી દળોએ પુરાવા માંગ્યા અને નિવેદનને કાર્યવાહીમાંથી હટાવવાની માંગ ઉઠાવી. પૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપાએ કહ્યું કે જો ખરેખર એવો કબ્જો થયો હોય તો વડાપ્રધાને સ્થળ અને પુરાવા જાહેર કરવા જોઈએ. નેપાળી કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ નિવેદનને બિનજવાબદાર ગણાવ્યું.
જોકે નેપાળના કેટલાક પત્રકારો અને રાજદ્વારીઓએ બાલેનની સ્પષ્ટવક્તા અને સરહદ મુદ્દે ખુલ્લેઆમ બોલવાની હિંમતની પ્રશંસા પણ કરી.
શું ખરેખર નેપાળે ભારતની જમીન પર કબ્જો કર્યો છે?
વિવાદ વધતા નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે વડાપ્રધાનનો અર્થ ભારતની જમીન પર સત્તાવાર કબજો નહીં, પરંતુ “ક્રોસ-બોર્ડર ઓક્યુપેશન” હતો.
ક્રોસ-બોર્ડર ઓક્યુપેશનનો અર્થ એ થાય છે કે સરહદી વિસ્તારોમાં એક દેશના નાગરિકો બીજા દેશની સરહદ નજીકની જમીન ખેતી, રહેવા કે અન્ય ઉપયોગ માટે વાપરે. ભારત અને નેપાળ વચ્ચે આશરે 1,751 કિમી લાંબી ખુલ્લી સરહદ છે. મોટાભાગના વિસ્તારોમાં ફેન્સિંગ નથી અને બોર્ડર પિલરોની વચ્ચે “નો-મેન્સ લેન્ડ” રાખવામાં આવે છે, જેને દસગજા પણ કહે છે.
આ પટ્ટીમાં કાયમી બાંધકામ કે ખેતી કરવાની મંજૂરી હોતી નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં ઘણા સ્થળોએ લોકો ખેતી અથવા અસ્થાયી કબ્જા કરતા હોવાના અહેવાલો સમયાંતરે સામે આવ્યા છે. બિહાર અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં અગાઉ આવા વિવાદોના અહેવાલો નોંધાયા હતા અને ભારતની SSB તથા નેપાળની સશસ્ત્ર પોલીસ મળીને આવા કબ્જા દૂર કરવાની કાર્યવાહી પણ કરતી રહી છે.
બાલેન શાહનું નિવેદન નેપાળને જ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે?
વિશ્લેષકો માને છે કે બાલેનના નિવેદનથી ત્રણ મુખ્ય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
1. નેપાળની કૂટનીતિક સ્થિતિ નબળી પડશે
નેપાળ વર્ષોથી લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાનો ભાગ ગણાવી ભારત પર કબ્જાનો આરોપ લગાવતું આવ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનનું “નેપાળે પણ કબ્જો કર્યો” કહેવું દેશની જ દલીલને નબળી બનાવી શકે છે. કારણ કે જો નેપાળ પોતે જ સરહદી અતિક્રમણ સ્વીકારે, તો પોતાને માત્ર ભોગ બનનાર તરીકે રજૂ કરવું મુશ્કેલ બની શકે.
2. બ્રિટનને જોડવાનો પ્રસ્તાવ વધુ ગૂંચવણ ઊભી કરી શકે
બાલેનના સલાહકારોએ બ્રિટિશ રાજદૂત સાથે પણ ચર્ચા કરી હતી, પરંતુ અહેવાલો મુજબ બ્રિટને આને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી દખલથી દૂર રહેવાનું વલણ અપનાવ્યું. ભારત પણ લાંબા સમયથી સરહદ વિવાદમાં ત્રીજા પક્ષની ભૂમિકા નકારી રહ્યું છે. તેથી બ્રિટનને સામેલ કરવાની વાત વ્યવહારિક કરતાં વધુ રાજકીય ગણાઈ રહી છે.
3. વડાપ્રધાનની વિશ્વસનીયતા પર સવાલ
બાલેનના નિવેદન પછી વિદેશ મંત્રાલયને સ્પષ્ટતા આપવી પડી, જેના કારણે તેમની કૂટનીતિક સમજ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પરની તૈયારી અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આંદોલનમાંથી ઉભરી આવેલા યુવા નેતા તરીકે તેમને ડિપ્લોમેટિક અનુભવની હજુ જરૂર છે.
ભારત માટે આ નિવેદનના અર્થ શું?
ભારતે હાલમાં બાલેનના નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જોકે અગાઉ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નેપાળના પ્રાદેશિક દાવાઓ ઐતિહાસિક પુરાવાઓ પર આધારિત નથી.
બાલેન સરકારે છેલ્લા બે મહિનામાં કેટલાક એવા સંકેતો આપ્યા છે, જેના કારણે ભારતના રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા વધી છે. તેમણે ભારતીય રાજદૂતને પરંપરાગત વિશેષ દરજ્જો ન આપવો, લિપુલેખ મારફતે માનસરોવર યાત્રા સામે વાંધો ઉઠાવવો અને ભારતીય વિદેશ સચિવ સાથેની મુલાકાત ટાળવી જેવી ઘટનાઓએ બંને દેશોના સંબંધો અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
ભારત-નેપાળ સરહદ વિવાદ શું છે?
ભારત અને નેપાળ વચ્ચેનો મુખ્ય સરહદ વિવાદ ઉત્તરાખંડના ત્રણ વિસ્તારો—લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની—ને લઈને છે. આશરે 338 ચોરસ કિમી વિસ્તાર પર બંને દેશો પોતાનો દાવો કરે છે.
આ વિવાદની શરૂઆત 1816ની સુગૌલી સંધિથી જોડાયેલી છે, જેમાં કાલી નદીના આધારે સરહદ નક્કી કરવામાં આવી હતી. પરંતુ નદીના ઉદ્ગમસ્થાન અંગે બંને દેશોની અલગ-અલગ વ્યાખ્યાઓ હોવાથી વિવાદ સતત રહ્યો છે.
ભારત કાલાપાનીને નદીનું ઉદ્ગમ માને છે, જ્યારે નેપાળ લિમ્પિયાધુરાને મૂળ સ્ત્રોત ગણાવે છે. 2020માં ભારતે લિપુલેખ સુધીનો માર્ગ બનાવતા વિવાદ વધુ ઊભો થયો અને ત્યારબાદ નેપાળે નવા નકશામાં આ વિસ્તારોને પોતાનો ભાગ દર્શાવ્યો હતો.
હાલ માટે નેપાળના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા બાદ મામલો થોડો શાંત દેખાય છે, પરંતુ બાલેન શાહના નિવેદને ફરી એકવાર ભારત-નેપાળ સરહદ અને બંને દેશોના રાજદ્વારી સંબંધોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચેની વાતચીત અને રાજકીય સંકેતો આ મુદ્દાની દિશા નક્કી કરશે.
Leave feedback about this