એન્ટરટેનમેન્ટ ક્રાઇમ પોલિટિક્સ

રાજકોટમાં ‘હું નાથુરામ ગોડસે’ નાટકનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસની તોડફોડ બાદ શો રદ

રાજકોટ શહેરમાં આજે ભારે રાજકીય તણાવ જોવા મળ્યો હતો. હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત ‘હું નાથુરામ ગોડસે’ નાટક શરૂ થાય તે પહેલા જ રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ હોલમાં ઘૂસી ગયા અને સ્ટેજ પર ચઢી સેટ તથા હોર્ડિંગ્સની તોડફોડ કરી હતી.

કોંગ્રેસનો આક્ષેપ છે કે નાટકના માધ્યમથી મહાત્મા ગાંધીના હત્યારાને હીરો તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, જે ગાંધીજીના અપમાન સમાન છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. તેમનું અપમાન કરીને ગોડસેને મહિમા આપવાનો પ્રયાસ અમે ચલાવી લેશું નહીં. ગુજરાતમાં ક્યાંય પણ આ નાટક થશે તો અમે તેનો વિરોધ કરીશું અને શો થવા દેશું નહીં.”

ભારે વિરોધના પગલે શો રદ

વિરોધ અને તોડફોડને કારણે પરિસ્થિતિ બેકાબૂ બનતા આયોજકોએ અંતિમ ઘડીએ નાટકનો શો રદ કરવાનો નિર્ણય લીધો. આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની જાહેરમાં ક્ષમા માગી અને ટિકિટની રકમ રિફંડ આપવાની જાહેરાત કરી. શો રદ થતા હોલમાં હાજર દર્શકોમાં નિરાશા ફેલાઈ હતી.

પોલીસ કાર્યવાહી, 40થી વધુની અટકાયત

વિરોધ દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓએ હોલમાં બેસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને વિરોધ કરી રહેલા અંદાજે 40 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી.

નિર્માતા અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી

નાટકના પ્રોડ્યુસર સેજલ પેઈન્ટરે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે, “પોતાને ગાંધીવાદી કહેનારા લોકો અહીં હિંસા અને તોડફોડ કરી રહ્યા છે. બાપુનો પ્રિય ચરખો જે સ્ટેજ પર હતો તેને પણ તોડવાની કોશિશ કરવામાં આવી. અમે નાટકમાં કોઈને ઉંચા-નીચા બતાવવાનો પ્રયાસ કર્યો નથી. નાટકમાં તો એ બતાવ્યું છે કે ગોડસે પોતે કહે છે કે ગાંધીજીની હત્યા બાદ તેને પણ મરવું પડશે. લોકો નાટક જોશે તો સમજાશે કે હકીકત શું છે.”

ગાંધીના ગુજરાતમાં ગોડસેનો વિરોધ

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, “ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બનવા નહીં દઈએ. ગાંધીજીના હત્યારાનું મહિમામંડન અહીં કેવી રીતે સહન કરી શકાય?”

જામનગરમાં પણ શો યોજાવાનો છે

ઉલ્લેખનીય છે કે ‘હું નાથુરામ ગોડસે’ નાટકનો શો આજે રાજકોટમાં યોજાવાનો હતો, જ્યારે આવતીકાલે જામનગરમાં પણ શોનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની ઘટનાને પગલે હવે જામનગરમાં પણ વિરોધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંવેદનશીલ વિષયોને લઈને રાજકીય વિવાદને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video