લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત–અમેરિકા ટ્રેડ ડીલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ અમેરિકન ટ્રેડ ડીલમાં દેશના હિતોનું સમર્પણ કરી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતના લોકોની મહેનત અને લોહી–પરસેવો વેચી દેવામાં આવ્યો છે, કારણ કે વડાપ્રધાન “કોમ્પ્રોમાઈઝ્ડ” સ્થિતિમાં છે.
રાહુલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ગભરાયેલા છે, કારણ કે જેમણે અત્યાર સુધી તેમની છબી બનાવી હતી, તેઓ જ હવે તેને તોડી રહ્યા છે. અમેરિકામાં અદાણી ગ્રુપ સામે ચાલતો કેસ વાસ્તવમાં મોદી પરનો કેસ છે. તેમણે દાવો કર્યો કે આ કેસ દ્વારા મોદીજીના ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે.
‘એપસ્ટીન ફાઇલ્સથી પણ પીએમ પર દબાણ’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે એપસ્ટીન ફાઇલ્સમાં હજુ ઘણું એવું છે, જે અમેરિકાએ જાહેર કર્યું નથી. આ મુદ્દાને કારણે પણ વડાપ્રધાન પર દબાણ છે. તેમણે કહ્યું કે આ બે મોટા “પ્રેશર પોઈન્ટ્સ” છે અને દેશે સમજી લેવું જોઈએ કે વડાપ્રધાન કોમ્પ્રોમાઈઝ્ડ છે.
રાહુલે એવો પણ આરોપ લગાવ્યો કે ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષના નેતાને બોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જે લોકશાહી માટે ચિંતાજનક છે.
સરકારનો જવાબ: ‘રાહુલ દેશને ગુમરાહ કરી રહ્યા છે’
રાહુલ ગાંધીના આ આરોપો પર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલથી ભારતને મોટો ફાયદો થશે અને દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ રહી છે.
પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ ડીલમાં કૃષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ટ્રેડ ડીલ અંગે ભારત અને અમેરિકા ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન જાહેર કરશે.
પીયૂષ ગોયલના નિવેદનની 4 મોટી વાતો
- વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના મજબૂત સંબંધોના આધારે ભારત માટે શ્રેષ્ઠ ટ્રેડ ડીલ હાંસલ કરી છે, જે પડોશી અને સ્પર્ધાત્મક દેશોની તુલનામાં વધુ લાભદાયી છે.
- આ ટ્રેડ ડીલ ભારતની અર્થવ્યવસ્થા અને 140 કરોડ નાગરિકો માટે નવી તકો લાવશે, ખાસ કરીને ગરીબો, ખેડૂતો, માછીમારો, યુવાનો અને મહિલાઓ માટે.
- કૃષિ અને ડેરી સેક્ટર સંપૂર્ણ સુરક્ષિત છે. એક્સપોર્ટ, ટેકનોલોજી, રોકાણ અને રોજગાર ક્ષેત્રોમાં ભારે ઉત્સાહ છે.
- આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે, જ્યારે વિપક્ષ રાજકીય અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જયરામ રમેશનો તીખો પ્રહાર
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “વોશિંગ્ટનમાં મોગેમ્બો ખુશ હુઆ.” તેમણે દાવો કર્યો કે PM મોદીએ અંતે હાર માની લીધી છે.
કોંગ્રેસે અમેરિકાના કૃષિ મંત્રી બ્રુક રોલિન્સના નિવેદનનો ઉલ્લેખ કરીને સરકારને સવાલ કર્યો કે હવે અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં વેચાશે, જેનાથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે. કોંગ્રેસે આને ભારતીય ખેડૂતો માટે ચિંતાજનક ગણાવી છે.
કોંગ્રેસનો આરોપ છે કે આ ડીલથી ભારતીય ખેડૂતોને નુકસાન થશે અને હવે તેમને પોતાના જ દેશમાં અમેરિકન ખેડૂતો સાથે સ્પર્ધા કરવી પડશે.
ટ્રમ્પનો દાવો: ભારત 500 અબજ ડોલરનો સામાન ખરીદશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને ટ્રેડ ડીલની માહિતી આપી. તેમણે લખ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. સાથે જ ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુના ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય ઉત્પાદનો ખરીદશે.
PM મોદીએ વ્યક્ત કર્યો આભાર
ટ્રમ્પની પોસ્ટ બાદ PM મોદીએ X પર લખ્યું કે તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો છે. તેમણે જણાવ્યું કે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરવો ભારત માટે મોટો લાભ છે અને આ નિર્ણય બદલ તેમણે 1.4 અબજ ભારતીયોની તરફથી ટ્રમ્પનો આભાર માન્યો.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this